Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

રાજ્યમાં કોરોના વેકસીનેશનનો પહેલો ડોઝ-પ્રથમ ડોઝ મેળવનારા લોકોની સંખ્યા બે કરોડે પહોચી

રસીકરણ પાત્રતા ધરાવતા ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર લોકોમાંથી ૪૧ ટકા - ર કરોડ ૬૧ હજાર લોકોને પ્રથમ ડોઝ અપાઇ ગયો:રાજ્યમાં ૩૦ મી જૂને ર લાખ ૮૪ હજાર વ્યક્તિઓને રસીકરણ કરાયું :સમગ્રતયા ર કરોડ પ૬ લાખ ૭૭ હજાર લોકોને અત્યાર સુધી વેકસીનનું સુરક્ષા કવચ મળ્યુ

અમદાવાદ : કોરોના મહામારી સામે રક્ષણાત્મક ઉપાય એવી કોરોના વેકસીનેશનની રાજ્યવ્યાપી સઘન કામગીરી અન્વયે ૩૦મી જૂન-ર૦ર૧ સુધીમાં રાજ્યમાં ૪૧ ટકા લોકોને વેકસીનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪,૯૩,ર૦,૯૦૩ લોકોમાંથી ૪૦.૭૭ ટકા એટલે કે ર કરોડ ૬૧ હજાર રપપ લોકોને અત્યાર સુધીમાં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે.
ગુજરાતમાં પ્રથમ ડોઝ લેનારા લોકોની સંખ્યા ૩૦ મી જૂન-ર૦ર૧ સાંજ સુધીમાં બે કરોડને પાર કરી ગઇ છે. એટલું જ નહિ, પ૬ લાખ ૧૬ હજાર ૭૩૬ લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના વેકસીનેશનની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા દરમ્યાન આ વિગતો આપવામાં આવી હતી.
સમગ્રતયા રાજ્યમાં ૩૦મી જૂનના દિવસે ર લાખ ૮૪ હજાર ૧રપ લોકોને કોરોના રસીથી સાંકળી લેવામાં આવ્યા છે.
આમ, મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સૌ કર્મીઓએ લોકોને કોરોના વેકસીનેશન આપવા માટે આદરેલી ઝૂંબેશના પરિણામે ૩૦મી જૂન સુધીમાં ર કરોડ પ૬ લાખ ૭૭ હજાર ૯૯૧ લોકોનું રસીકરણ સંપન્ન થયું છે
ગુજરાતમાં ૩૦મી જૂન સુધીમાં જે ર કરોડ ૬૧ હજાર રપપ લોકોને પ્રથમ ડોઝ અપાયો છે તેમાં ૧૯,૬૩,૦પ૮ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર, ૪પ થી વધુ વયના ૧,૦૮,૨૯,૪૫૨ તેમજ ૧૮ થી ૪૪ વયજૂથના ૭ર,૬૮,૪૭પ લોકોનો સમાવેશ થાય છે.
કોર કિમટીની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન, ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ  એમ. કે. દાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(8:39 pm IST)