Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનમાં સુટકેશમાં બૉમ્બ : 45 મિનિટમાં બોમ્બ ડિફ્યુઝ કરાયો: મોકડ્રિલ યોજાઈ

પ્લેટફોર્મ નંબર 1 પાસે પાણી પીવાની પરબ પાસે એક સૂટકેસમાં બૉમ્બ મળ્યાના મેસેજના પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બૉમ્બ સ્ક્વોડ, આર.પી.એફ તથા ગુજરાત રેલવે પોલીસે સાથે મળીને મોક ડ્રિલ યોજી હતી. મહત્વનું છે કે તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં આવેલા એરફોર્સના સ્ટેશન પર થયેલા આતંકી હુમલાના પગલે આજે મોકડ્રિલ યોજવામાં આવી હતી.

અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે આજે એક ખાસ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બૉમ્બ સ્ક્વોડની ભૂમિકા મોખરે રહી હતી. પ્લેટફોર્મ નંબર 1 પાસે પાણી પીવાની પરબ પાસે એક સૂટકેસમાં બૉમ્બ મળ્યાના મેસેજના પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને 45 મિનિટ સુધી બૉમ્બને ડિફ્યુઝ કરવામાં સમય લાગ્યો હતો અને આખરે બૉમ્બ સ્ક્વોડની સફળતા મળી હતી.

તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં એરફોર્સ સ્ટેશનમાં ડ્રોન મારફતે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. જેના પગલે સમગ્ર દેશમાં એલર્ટ આપવામાં આવ્યું હતું. ઉપરાંત અમદાવાદ શહેરમાં આવનારા દિવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ શકે છે તેના સંદર્ભે શહેર પોલીસ પણ એલર્ટ બની ગઈ છે. આ સાથે જ કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર આજે એક મોકડ્રિલ યોજાઈ હતી. જેમાં બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ દ્વારા એક નિર્જીવ બોમ્બને ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓની સતર્કતાને ચકાસવા માટે તંત્ર દ્વારા આજે એક મોકડ્રિલ યોજવામાં આવી હતી.

કાલુપુર રેલવે સ્ટેશન પર હાથ ધરાયેલ ચેકિંગમાં 50 કરતા વધુ એરપીએફના જવાનો, ગુજરાત પોલીસના જવાનો જોડાયા હતા. સાથે જ તમામ એજન્સી બોમ્બ સ્કવોડ, ડોગ સ્કોડ, આઈબીના કર્મચારી પણ જોડાયા હતા. જમ્મુ કાશ્મીર અને શ્રીનગરમાં આતંકી હુમલાને પગલે અમદાવાદ રેલવે સ્ટેશને એલર્ટ પર મૂકવામાં આવ્યુ છે. તેમજ જગન્નાથજીની રથયાત્રા પણ આવી રહી છે, જેને લઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. જેમા મુસાફરોના બેગ, સ્ટેશન પર બેસવા માટે મૂકવામાં આવેલા બેન્ચિસની તપાસ કરાઈ રહી છે. સાથે જ મુસાફરોની પણ પૂછપરછ કરાઈ રહી છે.

(1:32 pm IST)