News of Tuesday, 30th June 2020
ગાંધીનગરઃ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (Indian Institute of Teacher Education - IITE) ગાંધીનગર નવ વર્ષ પૂર્ણ કરીને ૩૦ જૂન, ૨૦૨૦ના રોજ દશાબ્દી વર્ષમાં પ્રવેશી છે. ટીચર યુનિવર્સિટી તરીકે જાણીતી આઇઆઇટીઇના સ્થાપના દિનની ઉજવણી સરકારશ્રીના સૂચનો અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને કરવામાં આવી. આ કાર્યક્રમના મુખ્ય અતિથી પદે ગુજરાત સરકારના શિક્ષણમંત્રીશ્રી માન. ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા અતિથી વિશેષ તરીકે ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક, લોકભારતી ગ્રામ વિદ્યાપીઠના મેનેજિંગ ટ્રસ્ટી અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન પ્રશિક્ષણ પ્રો. અરૂણ દવે ઉપસ્થિત રહ્યા હતા.
માન. શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આઇઆઇટીઇને સ્થાપનાના દશાબ્દી વર્ષમાં પ્રવેશ અને સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન કરીને સ્થાપના દિવસની ઉજવણી સમારંભનું આયોજન કરવા બદલ ઉમળકાભેર અભિનંદન આપ્યા. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વાયરસના ફેલાવાને કારણે અટકી પડેલું જનજીવન હવે ધીે ધીરે પુનઃ શરૂ થઇ રહ્યું છે. આવા સમયે સોશિયલ ડિસ્ટેન્સિંગ અને આરોગ્ય વિષયક પૂરતી તકેદારી સાથે આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું આઇઆઇટીઇને અભિનંદન આપું છું. આ કોરોના વેકેશન પછી યોજાયેલો સૌ પ્રથમ પ્રત્યક્ષ કાર્યક્રમ છે.
માન. શિક્ષણમંત્રીશ્રીએ કોવિડ-૧૯ બીમારીને કારણે ઊભી થગેલી નવી સ્થિતિમાં પણ શિક્ષણ પ્રક્રિયા જળવાઇ રહે તે માટે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે પ્રાથમિક શિક્ષણ માટે યોગ્ય ઉંમરે પહોંચેલ બાળકોના પ્રથમ વર્ગમાં પ્રવેશ માટે પ્રવેશોત્સવનું આયોજન થઇ રહ્યું છે. આ વર્ષે પણ શિક્ષણ વિભાગે સમગ્ર રાજ્યના શિક્ષકોની મદદથી શાળા પ્રવેશની યોગ્યતા ધરાવતા બાળકોની સલામતીના નિયમોનું પાલન કરીને પ્રત્યક્ષ યાદી તૈયાર કરીને અત્યાર સુધીમાં લગભગ ૬ લાખ બાળકોને ડિજિટલ ટેકનોલોજીના સમન્વયથી પ્રવેશ આપવામાં આવ્યો છે. બદલાયેલી પરિસ્થિતિમાં બ્લેન્ડેડ એજ્યુકેશન સિસ્ટમ જ આપણને આ ન્યુ નોર્મલમાં ઉપયોગી થશે.
તેમણે આઇઆઇટીઇના મંચથી રાજ્યથી તમામ યુનિવર્સિટીને આહ્વાન કર્યુ કે આગામી સમયમાં રાજ્યની મહત્તમ યુનિવર્સિટી ભારતની ટોચની ૧૦૦ યુનિવર્સિટીની યાદીમાં સ્થાન પામે. તેમણે કહ્યું કે, NIRFના રેન્કિંગમાં રાજ્યની ગુજરાત યુનિવર્સિટી સ્થાન પામી છે. તેને માટે હું આ જાહેર મંચ પરથી અભિનંદન આપું છું. અને આવતા વર્ષે આ યાદીમાં રાજ્યની એક કરતાં વધુ યુનિવર્સિટીને સ્થાન મળે તે માટે સૌ યુનિવર્સિટીના કુલપતિઓ સામુહિક ચર્ચા-વિચારણા કરે તે માર્ગે આગળ વધે.
આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન પ્રશિક્ષક, ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ કુલનાયક તથા લોકભારતી ગ્રામ વિદ્યાપીઠના મેનેજિંગ ટ્રસ્ટી પ્રો. અરૂણ દવેનું શિક્ષક પ્રશિક્ષકને વધુ અસરકારક બનાવવા માટે પોતાના વકવ્યમાં અસરકારક સૂચનો કર્યા હતા. તેમણે વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં શિક્ષણના સાધનને સાધ્યને સિદ્ધ કરવા માટે કયાં અને કેવી રીતે વાપરવું તે શીખવવાની જરૂર પર ભાર મૂકયો. તેમણે જણાવ્યું કે, આપણે શિક્ષણને માહિતી પ્રધાન બનાવી દીધું છે. જેને જીવનલક્ષી બનાવવાની જરૂર છે. આપણા પરિવાર, શેરી અને સમાજના પ્રશ્નોની ચર્ચા કલાસરૂમમાં થવી જોઇએ. પરંતુ તેથી ઉલટું થઇ રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું, શિક્ષણમભાં અનુભવ એ સૌથી મોટી એકડો છે અને માહિતીએ એકડા પાછળના મીંડા જેવો હોય છે. એકડા વિના એ મીંડાનું કોઇ મૂલ્ય નથી. શિક્ષણમાં જ્યાં સુધી સંશોધનાત્મક વલણોની કેળવણી ન અપાય ત્યાં સુધી એ શિક્ષણ ફળદાયી નથી થતું.
તેમણે ઇઝરાયલ, ફિનલેન્ડ જેવા દેશોના ઉદાહરણો ટાંકીને જણાવ્યું કે આપણું શિક્ષણ વિષય આધારિત છે. જેને હવે ઘટના આધારિત બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે, વિષયમાં બંધાઇ જવાને કારણે આપણે સમગ્રતાથી વિમુખ થઇ ગયા છીેએ. જો આપણે શિક્ષણને વિષય આધારિતને બદલે ઘટના આધારિત પદ્ધતિ તરીકે સ્વીકારીએ તો શિક્ષણ સોળેય કલાએ ખીલશે.
આઇઆઇટીઇના કુલપતિએ ડો. હર્ષદ પટેલે સ્થાપના દિને ટીચર યુનિવર્સિટીના પાંચ મહત્વપૂર્ણ સંકલ્પ જાહેર કર્યા. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ પ્રશિક્ષણના વિષયોમાં મેસિવ ઓપન ઓનલાઇન કોર્સિસ માટેનું વિશિષ્ટ પ્લેટફોર્મ ANGIRA (Academic Networked Global Instructional Resouces for Academicians) - 'અંગિરા'ની શરૂઆત કરવામાં આવશે. શિક્ષક પ્રશિક્ષકોના સમ્માન માટેનો વિશિષ્ટ પુરસ્કાર-ચાણકય આઇઆઇટીઇ દ્વારા દર વર્ષે આપવામાં આવશે. આઇઆઇટીઇ સાથે સંકળાયેલી સંસ્થાઓના શિક્ષક પ્રશિક્ષકો માટે ફેકલ્ટી એકસચેન્જ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. આઇઆઇટીઇના વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સુધીના ઓનલાઇન શિક્ષણને પણ ક્રેડિટમાં તબદીલ કરી શકાશે. આ ઉપરાંત લોકડાઉનને કારણે શિક્ષણ પ્રક્રિયામાં આવેલા બહુઆયામી સંશોધન આધારિત સૂચનોને એક દસ્તાવેજ સરકારશ્રીને એક મહિનાની સમયસીમામાં સોંપવામાં આવશે.
આ કાર્યક્રમમાં માન. શિક્ષણમંત્રીશ્રીના હસ્તે ગત વર્ષમાં સેવા નિવૃત્ત થયેલા ૬ શિક્ષક પ્રશિક્ષકોનું સમ્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આઇઆઇટીઇમાં નિયુકિત પામેલા બે શિક્ષક પ્રશિક્ષકોને માન. શિક્ષણમંત્રીના હસ્તે નિમણુંકપત્ર આપવામાં આવ્યા હતા.
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને ભારતના વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વૈશ્વિક કૌશલ્યો અને ભારતીય મૂલ્યો સાથે ઘડાયેલા શિક્ષકો તૈયાર કરવાના વિચારને સાકાર કરા માટે પ્રતિબદ્ધ આઇઆઇટીઇના સ્થાપના દિવસની ઉજવણી યુનિવર્સિટીના સંકુલમાં ૧૦૦૦ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.