Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ગુજરાતના ટૂર ઓપરેટરો આગબબુલા : ચીનને સબક શીખડાવવા ટૂરનું બુકીંગ બંધ

ચીનમાં આવેલ કૈલાશ માનસરોવર ખાતે દર વર્ષે હજ્જારો હિન્દુઓ દર્શન કરવા જાય છે : ચીન તેનો પણ ચાર્જ લે છે !

રાજકોટ,તા.૩૦: ભારત તથા ચીન વચ્ચે સરહદી વિવાદ ચાલી રહ્યો છે અને ચીનના સૈન્ય દ્વારા ભારત ઉપર હુમલો કરવાની તૈયારી ચાલી રહી હોવાનું સતત સંભળાઇ રહ્યું છે. કાયદેસર રીતે ભારતમાં આવતા વિસ્તારો ઉપર પણ ચીન ખોટી રીતે કબ્જો જમાવવા પ્રયાસ કરી રહ્યું છે. જે બાબતે ભારતીય સૈન્ય દ્વારા પણ ચીનને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. ભારત કોઇ પણ પડકારને પહોંચી વળવા સક્ષમ પણ છે.

આ તમામ ગતિવિધિઓ વચ્ચે ભારત સરકારે ગઇ કાલે સ્માર્ટ ફોન તથા ઇન્ટરનેટ મારફત ભારતમાં  વપરાતી ૫૯ ચાઇનીઝ એપ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. આવી જ રીતે ચીનની સામે નારાજગી તથા આક્રોશરૂપે ગુજરાતના ટૂર ઓપરેટર્સે પણ ચીનનો બહિષ્કાર કરવાનું નકકી કર્યું છે. જેના ભાગરૂપે ટૂર ઓપરેટર્સ ચીનની ટૂરનું બુકીંય કરશે નહીં.

હાલમાં કોરોના વાયરસ તથા તેના ભાગરૂપે સતત લોકડાઉનને કારણે ભારત સહિત સમગ્ર દેશમાં ચીન પ્રત્યે નફરત અને નારાજગી દેખાઇ રહી છે. સાથે-સાથે ચીન સામેની અથડામણમાં ભારતીય સૈનિકોની શહીદીને લઇને પણ દેશભરમાં ચીન સામે ભયંકર આક્રોશ દેખાય રહ્યો છે. જેના ભાગરૂપે ચીનથી આવતા માલ-સામાન-વસ્તુઓનો પણ બહિષ્કાર થવા માંડ્યો છે. કોરોના તથા લોકડાઉનની સૌથી વધુ અસર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના બિઝનેસ ઉપર પડી છે. ટૂર ઓપરેટર્સને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે.

કોરોના કહેરમાંથી ગુજરાત તથા દેશ બહાર આવી જાય અને સ્થિતી સામાન્ય થઇ જાય તો પણ ગુજરાતના ટૂર ઓપરેટર્સ ચીનની ટૂર માટેના બુકીંગ નહીં કરે તેવું ગુજરાત એસોસીએશન ઓફ ટૂર ઓપરેટર્સ (GATO)ના અધ્યક્ષ મનિષ શર્મા જણાવી રહ્યા છે.

કરોડો હિન્દુઓ માટેનું આસ્થાનું કેન્દ્ર કૈલાશ માનસરોવર કે જે હાલમાં ચીનના કબ્જા હેઠળ છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે જાય છે.

અહીં જવા માટે પણ ચીન દ્વારા 'અનુમતિ શુલ્ક' તથા અન્ય ફી ના નામે ચાર્જ લેવામાં આવતો હોવાનું જાણવા મળે છે.

ચીનના બહિષ્કાર સંદર્ભે રાજકોટના ટૂર ઓપરેટર્સ પણ તૈયાર હોવાનું જાણવા મળે છે. GATO ના રાજકોટ ખાતેના સભ્ય દિલીપભાઇ મસરાણીએ જણાવ્યું હતું કે હાલમાં તો કોરોના -લોકડાઉનને કારણે 'ટ્રાવેલ માર્કેટ' સાવ ઠપ્પ છે. પરંતુ સ્થિતી સામાન્ય થઇ જાય પછી પણ ચીનની ટૂરનું બુકીંગ કરતા પહેલા સો વખત વિચારવું પડે. ટૂર ઓપરેટર્સ માટે રાષ્ટ્રસેવા અને દેશપ્રેમ હંમેશા અગ્રેસર રહ્યા છે. અને ભવિષ્યમાં પણ રહેશેે આમ ગુજરાતના ટૂર ઓપરેટર્સ ચીન સામે આગબબુલા બની ગયા છે. ચીનને સબક શીખડાવવો જરૂરી હોવાનું કહી રહ્યા છે.

(11:59 am IST)