Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન સામે હાઇકોર્ટમાં વધુ અેક અરજીઃ સુરતના ખેડૂતે ગુજરાત જમીન સંપાદન કાયદો ૨૦૧૬ને પડકાર્યો

અમદાવાદઃ સુરતના ખેડૂતે સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ કરીને જમીન સંપાદન કાયદા મુદ્દે હાઇકોર્ટમાં અરજી કરી છે.

ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે ગુજરાત સરકાર પાસે 2013ના કેંદ્ર સરકારના જમીન સંપાદન કાયદામાં કરેલા સુધારાને પડકારતી અરજી પર જવાબ માગ્યો છે. જેમાં ચોક્કસ પ્રોજેક્ટ માટે સોશિયલ ઈમ્પેક્ટ અસેસમેન્ટ (SIA) અને સંમિતની કલમો દૂર કરવામાં આવે છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે, જે અંતર્ગત સુરતના એક ખેડૂતે ગુજરાત જમીન સંપાદન કાયદા, 2016ને પડકાર્યો છે.

સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે થતા જમીન સંપાદન સામે આ પ્રકારે બીજીવાર દાવો માંડવામાં આવ્યો છે. આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતના એક ખેડૂતે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદિત કરવાની સરકારની સત્તા સામે વાંધો ઉઠાવ્યો હતો. આ અરજી હજુ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. ત્યારે આ નવી અરજીમાં ગુજરાત અમેન્ડમેન્ટ એક્ટ, 2016ની કલમ 10A અને સેક્શન 2(1)ની બંધારણીય માન્યતાને પડકારવામાં આવી છે.

ગુજરાત સરકારે કેંદ્ર સરકારના જમીન સંપાદન કાયદામાં સુધારો કર્યો છે. જેમાં પ્રોજેક્ટથી અસર થતાં લોકોની સંમતિ લેવી, ગેજની શક્યતા ચકાસવા માટે SIA કરવું, પ્રોજેક્ટથી અસર પામેલા લોકો માટે પુનર્વસનનું ખાસ પેકેજ તૈયાર કરવું તે આ મોખરે હતું. જો કે ગુજરાત સરકારે કરેલા સુધારામાં દેશની સુરક્ષા માટે જરૂરી પ્રોજેક્ટ, ગ્રામીણ માળખાકીય સુવિધાઓ, ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર, ગરીબો માટે આવાસ અને PPP ધરાવતી માળખાકીય વ્યવસ્થાને બાકાત રાખવામાં આવી. એટલે કે જાહેરહિતના નામે સરકાર કોઈપણ પ્રોજેક્ટને જમીન સંપાદનના કાયદામાંથી બાકાત કરી શકે તેવી સત્તા છે. જેના કારણે કેંદ્ર સરકારે 2013માં બનાવેલા જમીન સંપાદનનો કાયદો વ્યર્થ થઈ જાય છે, તેમ અરજીકર્તાના વકીલ આનંદ યાજ્ઞિકે કહ્યું.

અરજીકર્તાએ રજૂઆત કરી છે કે, રાજ્ય સરકારની જોગવાઈઓને કારણે 2013ના એક્ટનો હાર્દ નષ્ટ થઈ જાય છે. 2013નો એક્ટ અસરગ્રસ્ત લોકોની સહાય માટે છે. સાથે જ આ સુધારો બંધારણની કલમ 14ના વિરોધમાં છે. ગુજરાતમાં કાયદો ભ્રષ્ટ અને સ્વેચ્છાચારનો ભોગ બન્યો છે.

(7:19 pm IST)