Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

સુરતમાં રેમડેસિવીર ઇન્જેકશનના કાળાબજાર કરનાર બંને તબીબોને ફરજનું ભાન કરાવવા કોવિડ હોસ્પિટલમાં કામ કરવા કોર્ટની સજા

સુરત: કોરોનાની મહામારી વધતા મેડિકલ સુવિધાઓની અછત સર્જાઈ છે. આ વચ્ચે ઈન્જેક્શનથી લઈને અનેક દવાઓની કાળાબજારી થઈ રહી છે. ખાસ કરીને રેમડેસિવિર ઈન્જેક્શન. પરંતુ સુરતમાં રેમડેસિવિરની કાળાબજારી કરનાર ડોક્ટરોને કોર્ટે અનોખી સજા આપી છે. સુરતમાં રેમડેસિવિરની કાળાબજારી કરતા પકડાયેલા બે તબીબોને   દિવસ સિવિલ હોસ્પિટલમાં કામ કરવાનો આદેશ આપ્યો છે. આ બંને તબીબોને મેડિકલ ફરજનું ભાન કરાવવા તેમને દિવસ કોવિડ હોસ્પિટલમાં સેવા કરવી પડશે.

હાલ કોરોના સંક્રમણના કારણે મેડિકલ સ્ટાફની પણ અછત છે, ત્યારે સુરત કોર્ટના નામદાર જજ આરએ અગ્રવાલે મહત્વનો નિર્ણય આપ્યો છે. સુરતમાં રેમડેસિવિર ઇન્જેકશનની કાળાબજારી કરનાર પાંચ પૈકી ત્રણ આરોપીઓના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. જ્યારે કે, બે આરોપી ડોકટરોના જામીન મંજુર કરી સજાના ભાગ રૂપે તેઓને હોસ્પિટલમાં મોકલ્યા છે. ડો.હિતેષ ડાભી અને ડો સાહિલ ગોધારીએ 15 દિવસ કોવિડ હોસ્પિટલમાં સેવા કરવી પડશે. સાથે જ સિવિલના સીએમઓએ બંનેની કામગીરીનો અહેવાલ કોર્ટને આપવો પડશે.

સુરતના લાલગેટ ભાગળ ચાર રસ્તા પાસે કેટલાક લોકો રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતા હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્સો કાળાબજારીમાં એક ઈન્જેક્શન 13થી 14 હજારમાં વેચતા હતા. જેમાં ડો.હિતેષ ડાભી અને ડો સાહિલ ગોધારી નામના બે તબીબો પણ સામેલ હતા. પરંતુ ઝડપાયેલા આરોપી તબીબો સામે નામદાર કોર્ટે પણ ઉદાહરણરૂપ સજા ફટકારી છે. જેને લોકોએ પણ આવકારી છે.

કોર્ટે આદેશ કર્યો કે, સિવિલમાં બંને ડોક્ટરોને યોગ્ય લાગે તે કોઈપણ કામગીરી સોંપી શકાશે. બંનેએ 15 દિવસ દરમિયાન કરેલી કામગીરી અંગે રિપોર્ટ તૈયાર કરીને કોર્ટમાં સોંપવાનો રહેશે. સાથે જ 15 દિવસ દરમિયાન તેઓ ગુજરાતની બહાર નહીં જઈ શકે. તેમણે જે સરનામું એફિડેવિટમાં રજૂ કર્યો છે. તેમણે ત્યાં જ રહેવાનું છે પોતાનું સરનામું બદલવાનું નથી અને જે રજીસ્ટર નંબર છે તે જ નંબરનો ઉપયોગ કરવાનો રહેશે.

(4:30 pm IST)