Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

માત્ર ત્રણ દિવસમાં ઓક્સિજન સુવિધા-તબીબી સાધનોથી સજ્જ ૧પ૦ એમ્બ્યુલન્સ સેવાઓ કચ્છથી ડાંગ સુધીના સમગ્ર જિલ્લાઓમાં કાર્યરત

મુખ્યમંત્રીએ કોર કમિટીમાં એક અઠવાડિયા પૂર્વે લીધેલા નિર્ણયનું ત્વરિત સઘન-પારદર્શી અમલીકરણ

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્ય્ક્ષસ્થાને મળતી કોર કમિટીની બેઠકમાં લેવાયેલ નિર્ણંયનો ત્વરિત અમલ કરતા રાજ્યમાં માત્ર ત્રણ દિવસમાં ઓક્સિજન સુવિધા-તબીબી સાધનોથી સજ્જ ૧પ૦ એમ્બ્યુલન્સ  સેવાઓ કચ્છથી ડાંગ સુધીના સમગ્ર જિલ્લાઓમાં કાર્યરત કરાઈ છે

 મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કચ્છથી ડાંગ સુધીના સમગ્ર વિસ્તારના કોરોના દર્દીઓને વેળાસર એમ્બ્યુલન્સ સેવા મળી રહે તે માટે આ નવી ૧પ૦ એમ્બ્યુલન્સને ગાંધીનગરથી જિલ્લાઓમાં પ્રસ્થાન કરાવ્યું હતું.
 મુખ્ય મંત્રીએ એક સપ્તાહ પહેલાં કોર કમિટિની બેઠકમાં ત્વરિત નિર્ણય લઇને નવી ૧૫૦ એમ્બ્યુલન્સ તાત્કાલિક મળી જાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા આરોગ્યતંત્રને આપેલા દિશાનિર્દેશોને પગલે રાજ્ય સરકારે ર૬.૩૮ કરોડના કુલ ખર્ચે માત્ર એક જ અઠવાડિયામાં સમગ્ર પ્રક્રિયાઓ પૂરી કરી આ એમ્બ્યુલન્સ  આરોગ્ય સેવા કાફલામાં સેવારત કરી દીધી છે.
 આ નવી ૧પ૦ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સુવિધા, જરૂરી તબીબી સાધનો અને પેરામેડીકલ સ્ટાફ સહિતની સગવડો માત્ર ત્રણ જ દિવસના વિક્રમસર્જક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ૧પ૦ એમ્બ્યુલન્સ  સેવાઓ માત્ર સપ્તાહના સમયગાળામાં ખરીદીથી માંડી રજીસ્ટ્રેશન અને સુવિધા સજ્જતા સાથે કાર્યરત થઇ જ ન શકે તેવી દલીલો-તર્ક ગુજરાત સરકાર સામે કરનારા લોકો માટે મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વની પારદર્શી નિર્ણાયક સરકારે આ અશકયને શકય બનાવીને કોરોનાના કપરા કાળમાં જનસેવા-પ્રજાલક્ષી સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડયું છે.
 કોરોના સંક્રમણની વ્યાપકતાના આ સમયમાં રાજ્યમાં ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારથી માંડી કચ્છના સરહદી ક્ષેત્ર સુધી જરૂરતમંદ દર્દીઓની સારવાર માટે આ એમ્બ્યુલન્સ  સેવાઓ સુસજ્જ છે.  એટલું જ નહિ, જી.પી.એસ સિસ્ટમ, સ્માર્ટ ફોન, અનુભવી અને તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા આ સેવાઓનું પેપરલેસ ડિઝીટલી મોનિટરીંગ સી.એમ ડેસ્ક બોર્ડ દ્વારા થઇ શકશે.
 આ નવી ૧પ૦ એમ્બ્યુલન્સ  સેવાઓ આજથી જ કાર્યરત થઇ જતાં રાજ્યમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર માટેની સજ્જતામાં વધુ સગવડ જોડાઇ જવાથી સમયસર, ત્વરિત સુવિધા મળશે અને આ આરોગ્ય સેવા જીવનરક્ષક બની રહેશે.
 મુખ્ય મંત્રીએ મુખ્ય મંત્રી નિવાસસ્થાનેથી આ ૧પ૦ એમ્બ્યુલન્સને જિલ્લામાં સેવારત થવા પ્રસ્થાન કરાવ્યું તે અવસરે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ,  આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ તેમજ વરિષ્ઠ સચિવો-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(8:42 pm IST)