Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ભાજપ પક્ષ અને સરકાર સાથે કોઇ નારાજગી નથી-નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપ્યુ છેઃ રાજપીપળામાં મનસુખ વસાવાની પત્રકારો સાથે વાતચીત

રાજપીપળા: ભાજપ સાંસદ મનસુખ વસાવાએ અચાનક પાર્ટી માંથી રાજુનામું આપી દેતા ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.રાજીનામા પત્ર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મોકલ્યા બાદ તેઓ એકાએક ગાયબ થઈ જતા કાર્યકરો પણ ચિંતિત થયા હતા.

દરમીયાન ભાજપ સાંસદ મનસુખ વસાવા રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા.એમણે મીડિયા સાથેની વાતચિતમા જણાવ્યું હતું કે મારે ભાજપ પક્ષ અને સરકાર સાથે કોઈ નારાજગી નથી. મારી છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબિયત રહે છે એ મારા નજીકના મિત્રો પણ એ જાણે જ છે. મેં મામલે અગાઉ પાર્ટીમાં પણ જાણ કરી હતી.

મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે નાદુરસ્ત તબિયતને લીધે હું મારા મતવિસ્તાર વધુ પ્રવાસ કરી શકું એવી સ્થિતિમાં નથી, મારા વિસ્તારના લોકોના પ્રશ્નો પણ હું હલ કરી શકું એમ નથી. હું ભાજપ પક્ષ અને મારા મત વિસ્તારના લોકોને જો ન્યાય ન આપું તો મારે પક્ષમાં રહેવાનો કોઈ અધિકાર નથી.

મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ઈકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન સરકાર હલ કરવા માટે પ્રયાસ કરે જ છે, અને વહેલી તકે હલ પણ થઈ જશે.હું પક્ષમાંથી રાજીનામુ આપું છું પણ હું ભાજપ કાર્યકરોને માર્ગદર્શન આપતો રહીશ.હું કોઈ પણ સંજોગે મારુ રાજીનામુ પરત નહિ ખેચુ.આવનારી તાલુકા જિલ્લા પંચાયત ચુંટણીમાં હું પક્ષના લોકોને માર્ગદર્શન આપતો રહીશ.જો પાર્ટી મારુ રાજુનામું નહિ સ્વીકારે તો મારું રાજુનામું સ્વીકારવા હું પાર્ટીને સમજાવીશ.હું મારી ભાજપની વિચારધારા આજીવન નહિ છોડું.હું લોકસભા સાંસદ પદ પરથી પણ સ્પીકરને રૂબરૂ મળી રાજીનામુ આપી દઈશ, હું રાજીનામું આપવા બાબતે મક્કમ છું.

(5:27 pm IST)