Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ગુજરાતનાં રાજકારણમાં ભૂકંપ

ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું રાજીનામું

પ્રદેશ પ્રમુખને પત્ર લખી જાણ કરીઃ ભુલોને કારણે પક્ષને નુકશાન ન પહોંચે તે માટે રાજીનામું આપ્યું હોવાનું દાવો

અમદાવાદ, તા.૨૯: ભાજપના સાંસદ અને અવારનવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં આવનારા મનસુખ વસાવાએ પક્ષમાંથી રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને લખેલા પત્રમાં મનસુખ વસાવાએ જણાવ્યું છે કે, 'મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ના પહોંચે તે કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું, જે બદલ મને ક્ષમા કરશો.'

આ પત્રમાં વસાવાએ એમ પણ જણાવ્યું છે કે બજેટ સત્ર દરમિયાન તેઓ લોકસભા સભ્ય પદેથી પણ સ્પીકરને રુબરુ મળીને રાજીનામું આપી દેશે. તેમણે પોતાના નિર્ણયની કેન્દ્રિય નેતાગીરીને જાણ કરવા પણ અરજ કરી છે. વસાવાએ પત્રમાં રાજીનામું આપવાનું સ્પષ્ટ કારણ આપવાનું ટાળ્યું છે. તેમણે લખ્યું છે કે પક્ષે મને ક્ષમતા કરતાં દ્યણું બધું આપ્યું છે, જે માટે પક્ષ તેમજ નેતાગીરીનો હું આભાર માનું છું.પોતે પક્ષ પ્રત્યે શકય તેટલી વફાદારી બતાવી હોવાનો દાવો કરતા તેમણે લખ્યું છે કે, પક્ષના મૂલ્યો, જીવનના મૂલ્યો પણ અમલમાં મૂકવા કાળજી રાખી છે. પરંતુ આખરે તો હું પણ એક માનવી છું. મનુષ્યના નાતે જાણે-અજાણે પણ ભૂલ થતી હોય છે, અને મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ના થાય તે માટે હું રાજીનામું આપું છું. જે બદલ મને ક્ષમા કરશો.

હજુ થોડા દિવસ પહેલા જ મનસુખ વસાવાએ ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ઘ કાયદો લાવવાની માગ સાથે આદિવાસી છોકરીઓનું વેચાણ અટકાવાય તેવી પણ માગ કરીને સૌને ચોંકાવી દીધા હતા.

ભૂતકાળમાં પણ મનસુખ વસાવા ગુજરાત સરકાર સામે નારાજગી વ્યકત કરી ચૂકયા છે. તેમણે સરકારમાં અધિકારીઓનું જ રાજ ચાલતું હોવાના આક્ષેપ કર્યા હતા, અને તેવી ચીમકી પણ આપી હતી કે સરકાર ભલે ગમે તેની હોય, આદિવાસીઓના હક્ક માટે અમે લડી લઈશું. તેમણે દબાણનું જ રાજકારણ ચાલતું હોય તો આદિવાસીઓ પણ સરકાર પર દબાણ લાવશે તેવું તેમણે કહ્યું હતું. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે ઘણા નેતાઓ સરકારથી નારાજ છે, પરંતુ બોલી નથી શકતા.

વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા વસાવાએ એકવાર એવો દાવો પણ કર્યો હતો કે ગુજરાતમાં ભલે દારુબંધી હોય, પરંતુ આખી દુનિયા જાણે છે કે ગુજરાતમાં દારુ મળે છે. તેમના આ નિવેદનથી સરકાર પણ ભીંસમાં આવી ગઈ હતી. તેમણે તો આ નિવેદન આપતા એવું પણ કહ્યું હતું કે ગુજરાતમાં દારુ નથી મળતો તેવું હું કહું તો હું ખોટો પડું. વસાવાએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે ઈગ્લિશ દારુ કેમિકલવાળો હોય છે, અને તે શરીરમાં જાય તો શરીરને ખતમ કરી દે છે, અને કેટલાક તો પાછા ગાંજો પીવા પણ જાય છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટ અંગે પણ વસાવાએ સરકાર પર દ્યણીવાર પ્રહારો કર્યા હતા. ગયા વર્ષે SoU પાસેથી લારી-ગલ્લા હટાવાતા વસાવા સરકાર પર વરસ્યા હતા, અને નર્મદા નિગમના એમડી રાજીવ ગુપ્તાને તેમણે વાઈસરોય ગણાવી દીધા હતા.

(3:50 pm IST)