Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

અમદાવાદના ઘોડાસર વિસ્‍તારમાં પાર્ક કરાયેલ બ્રહ્માણી ટ્રાવેલ્‍સની 6 બસમાં આગ લાગતા ભસ્‍મીભૂતઃ કારણ અંગે તપાસ

અમદાવાદ: અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં ગઈકાલે રાત્રે ખાનગી બસોમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. કોઈ કારણોસર આગ ફાટી નીકળતા 7 ગાડીઓને ભારે નુકસાન થયું હતુ. ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. જોકે, આગ કન્ટ્રોલમાં આવે તે પહેલાજ બસો બળીને ખાખ થઈ ગઈ હતી. જેમાં બે બસોને ભારે નુકસાન થુયં હતું. જેમાં એક કાર પણ બળીને ખાખ થઈ ગઈ હતી.

  • પાર્ક કરાયેલી તમામ ગાડીમાં આગ પ્રસરી

પ્રાપ્ત માહિતી અનુસાર, મંગલેશ્વર મહાદેવથી ઘોડાસર બીઆરટીએસ રોડ પર બ્રહ્માણી ટ્રાવેલ્સનું પ્રાઈવેટ પાર્કિંગ આવેલું છે. અહી ગઈકાલે કેટલીક ખાનગી બસો પાર્ક કરવામાં આવી હતી. મોડી રાત્રે કોઈ કારણોસર એક ગાડીમાં આગ લાગી હતી. જોતજોતામાં આગ પાર્ક કરાયેલી અન્ય ગાડીઓમાં પણ ફેલાઈ ગઈ હતી. સ્થાનિકોએ આગને જોતા જ રાત્રે 3.43 કલાકે ફાયર વિભાગને જાણ કરી હતી, અને 3.45 કલાકે ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની 7 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને આગ બૂઝવવાનું શરૂ કર્યું હતુ. 10 મિનીટમાં આગ કાબૂમાં આવી હતી.

  • 7 ગાડીઓને નુકસાન

પરંતુ તે સુધીમાં ગાડીઓ બળી ગઈ હતી. કુલ 7 ગાડીઓને નુકસાન પહોંચ્યું હતું. જેમાં 6 બસ અને એક કાર સામેલ છે. જોકે, આ આગ કયા કારણોસર લાગી છે તે હજી જાણ શકાયું નથી. ઘટના સ્થળે તાત્કાલિક પહોંચેલા બસ માલિક દિપક પટેલે કહ્યું કે, અમે રાત્રે સૂતા હતા ત્યારે ફોન આવ્યો કે તમારી બસોમાં આગ લાગી છે. રસ્તામાં મેં પણ ફાયરને ફોન કર્યો તો જાણ કરી અમે ગાડી પહેલે જ મોકલી છે. એક બસમાંથી બીજી બસોમાં નુકસાન. અમારી કુલ 7 ગાડીને નુકસાન થયું છે. પણ સીટ, ટાયરને કેટલુ નુકસાન થયું છે તે જોવુ પડશે.

(4:32 pm IST)