Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

રાજ્યમાં રોજ 16 લાખ લોકોને રસી આપી શકાય તેવું આયોજન કરાયું : જયંતિ રવિ

એક દિવસમાં એક સેન્ટર પર 100 લોકોને જ રસી અપાશે: 16 હજાર વેકસીનેટરને તાલીમબદ્ધ કરાયા

અમદાવાદ :વૈશ્વિક મહામારી કોરોના સામે નાગરિકોને સુરક્ષિત કરવા માટે ટૂક સમયમાં રસી ઉપલબ્ધ કરવામાં આવશે. તેવી જાહેરાત આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતી રવિએ કરી છે. ત્યારે આ રસી કેવી રીતે આપવી એ માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર રાજયના આરોગ્ય વિભાગે સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ આ રસી આપવા માટે ડ્રાય રન-મોકડ્રીલનું આયોજન કરાયું છે. જે તા 28 અને 29 ડિસેમ્બર દરમિયાન યોજાઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે આ માટે ચાર રાજયોની પસંદગી કરી છે જેમાં ગુજરાતનો સમાવેશ કરાયો છે. ગુજરાત સહિત આંધ્રપ્રદેશ, પંજાબ અને આસામમાં આ ડ્રાય રન યોજાશે.

ડૉ. રવિએ આ અંગે પત્રકારોને વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, રસીકરણ દરમિયાન નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન અને સૂચનો મળી રહે એ હેતુથી રાજય સરકારે ચાર નિષ્ણાત તબીબ તજજ્ઞોની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. જેમાં ડૉ. નવીન ઠાકર-પીડીયાટ્રીક એસોસિએશનના વડા ડૉ. નિશ્ચલ ભટ્ટ- પીડીયાટ્રીશીયન. ડૉ. સપન પંડયા-ઇમ્યુનોલોજીસ્ટ અને ડૉ. ભદ્રેશ વ્યાસ-જામનગર ગુરુ ગોવિંદસિંગ કોલેજના એચઓડીનો સમાવેશ થાય છે.

રસી આપવા માટે લાભાર્થીઓના મોડ્યુલ પણ તૈયાર કરી દેવાયા છે આ માટે નાગરિકોએ એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. આ રસીનો ડોઝ 28 દિવસમાં બે વખત 14 દિવસના અંતરે લેવાનો રહેશે. રસી લીધા બાદ પણ કોરોના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જેમાં માસ્ક પહેરવો, સેનિટાઈઝરોનો ઉપયોગ તથા યોગ્ય સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવાનુ રહેશે. આ માટે નાગરિકોનો પૂરતો સહયોગ મળે એ અત્યંત જરૂરી છે. આ રસીકરણ માટે રાજયમાં 16 હજાર વેકસીનેટરને તાલીમબદ્ધ કરી દેવાયા છે. એક સેન્ટર પરથી એક દિવસમાં 100 લોકોને રસી અપાશે. રોજના 16 લાખ લોકોને રસી આપી શકાય એવું આયોજન કરાયું છે.

ભારત સરકાર દ્વારા દેશમાં કોવિડ-19 રસીકરણ પ્રોગ્રામના અમલીકરણ પહેલાં રસીકરણની જુદી-જુદી પ્રક્રિયા માટે ડ્રાય રન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં તથા રાજકોટ શહેર અને જિલ્લામાં ડ્રાય રન યોજાઈ રહ્યું છે. આ બંને જિલ્લાઓમાં વેક્સિનેશન માટે 19 સેશન સાઇટ નક્કી કરવામાં આવી છે. ડ્રાય રન અંતર્ગત રસીકરણના આયોજન, અમલીકરણ અને રિપોર્ટિંગની પ્રક્રિયા વચ્ચેના જોડાણોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

એટલું જ નહીં રસીકરણના વાસ્તવિક અમલીકરણ પહેલા પડકારો અને ઉપાયો વિશે પણ અભ્યાસ થઈ શકે તેવો હેતુ છે. ડ્રાય રન માટે દરેક સેશન સાઇટ માટે 25 લાભાર્થીઓ મળીને કુલ 475 લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી છે. દરેક સેશન સાઇટ પર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીઓ ઉપરાંત UNDP, યુનિસેફ અને WHO દ્વારા મોનીટરીંગ કરાઈ રહ્યું છે. આ ટ્રાયલ દરમિયાન ફીડબેક તૈયાર કરવામાં આવશે અને આ ફીડબેક ભારત સરકારને પહોંચાડવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત કોરોનાની વેક્સિનના સંશોધનમાં અગ્રેસર છે. દેશમાં બે રસી ફેઝ-૨માં અને ત્રણ રસીનું સંશોધન અંતિમ તબક્કામાં છે. ટૂંક સમયમાં ભારતમાં કોવિડ વેક્સિન ઉપલબ્ધ થનાર છે, ત્યારે ગુજરાત સરકારે વેક્સિનેશન માટે અસરકારક અને પરિણામલક્ષી પૂરતું આયોજન કર્યું છે. રસીકરણ અભિયાન માટે રાજ્ય કક્ષાએ મુખ્ય સચિવની અધ્યક્ષતામાં અઠવાડિયામાં બે વખત સ્ટેટ સ્ટિયરીંગ કમિટીની બેઠક યોજાય છે, તેમની અધ્યક્ષતામાં સ્ટેટ ટાસ્ક ફોર્સની બેઠકો યોજાઈ રહી છે.

રાજ્યમાં વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાના છ વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ 41 સ્ટોર તથા 2189 કૉલ્ડ ચેઈન પોઇન્ટ હાલની પરિસ્થિતિએ ઉપલબ્ધ છે. આ તમામ સ્ટોર ખાતેના સાધનોનું તાંત્રિક ઓડિટ કરવામાં આવ્યું છે. ભારત સરકારના માર્ગદર્શન મુજબ હેલ્થ કેર વર્કરની માહિતી તૈયાર કરવામાં આવી રહી છે.

આજ સુધીમાં કુલ 4.31 લાખ હેલ્થ કેર વર્કરો-આરોગ્ય કર્મચારીઓની માહિતી એકત્ર કરવામાં આવી છે. 6.3 લાખ ફ્રન્ટલાઈન વર્કરોની માહિતી એકત્ર કરવામાં આવી છે, ઉપરાંત પચાસ વર્ષથી વધુ વયની 1.3 કરોડ વ્યક્તિઓની વિગતો એકત્ર કરવામાં આવી છે અને અન્ય બીમારી ધરાવતી વ્યક્તિઓ કે જેની વય 50 વર્ષથી ઓછી છે એવી 2.68 લાખ વ્યક્તિઓની માહિતી પણ એકત્ર કરવામાં આવી છે.

કોરોના વેક્સિનેશન સંદર્ભે શુ કહે છે નિષ્ણાત તબીબો

કોરોના વેક્સિનેશન માટે ગુજરાત સંપૂર્ણ સજજ છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે વેક્સિનેશન માટે નિષ્ણાંત તબીબોની ટાસ્ક ફોર્સની રચના કરી છે. આજે ગાંધીનગરમાં આ ટાસ્ક ફોર્સના નિષ્ણાત તબીબોએ રસીકરણને લઈને મીડિયાના પ્રશ્નોના જવાબો આપ્યા હતા.

ડૉ.નવીન ઠાકર

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા નિષ્ણાત ડો. નવીનભાઈ ઠાકરે આ રસીકરણથી આડઅસર થશે તેવી ગેરમાન્યતાઓ દૂર કરતા જણાવ્યું હતું કે, કોઈપણ રસીકરણ બાદ સામાન્ય તાવ, થોડી અશક્તિ જેવી સામાન્ય અસરો થતી જ હોય છે જે આ કોવિડ-19 ની રસી બાદ પણ થઈ શકે છે. પરંતુ કોઈપણ પ્રકારની ગંભીર આડઅસર આ રસીને કારણે થયેલી હોય તેવો એકપણ કિસ્સો નથી. એટલે નાગરિકોએ ગભરાવાની સહેજ પણ જરૂર નથી.

ડૉ.નિશ્ચલ ભટ્ટ

આ રસીની સલામતી અને અસરકારકતા ઉપર ભાર મૂકતા ડૉ.ભટ્ટે જણાવ્યું કે, આપણું શરીર કોરોના વાયરસને એન્ટીજન તરીકે ઓળખે અને તે પ્રમાણે વાયરસને રિસ્પોન્ડ કરી વાયરસને એક્ટિવ જ ના થવા દે તે પ્રકારની આ રસી છે. હાલ આ રસી ફેઝ 3 માં છે. ખૂબ જ ક્લિનિકલ નિયમનોમાંથી આ રસી પસાર થઈ ચૂકી છે જે તમામ તબક્કે નાગરિકોની સલામતીને પ્રથમ અગ્રીમતા આપવામાં આવી છે. M-RNA પ્રકારની આ રસી હોવાથી વ્યક્તિના ડી.એન.એ.ને બદલી નાખશે તેવી બેબુનિયાદ વાતોમાં આવવું નહીં. આ લાઈવ વાયરસ વેક્સિન ન હોવાથી નાગરિકના ડીએનએને બદલી શકે નહિ.

આ રસી સંદર્ભે કોઈપણ પ્રકારની આડઅસર સંબંધિત અફવાઓ કે નકારાત્મક માહિતી આવે કે જેનાથી આ રસીકરણને લઈને નાગરિકોમાં ગેરસમજ ફેલાય તેવી માહિતી પ્રસિદ્ધ કે ટેલિકાસ્ટ કરતા પહેલા મીડિયાના મિત્રોને નિષ્ણાત તબીબો સાથે પરામર્શ કરી સાચી માહિતી લોકો સુધી પહોંચાડવા પણ અનુરોધ કર્યો હતો.

ડૉ. સપન પંડ્યા

કેન્સર, કિડનીની બીમારી, ટીબી, સહિત ગંભીર રોગો એટલે કે કોમોર્બિડ દર્દીઓને પણ આ રસી આપવામાં આવશે. તેનાથી કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી. આવા દર્દીઓને એન્ટી બોડી રિસ્પોન્સ સામાન્ય વ્યક્તિઓ કરતા સામાન્ય ઓછો આવે તેવું શક્ય છે પરંતુ તે પણ કોરોનાને ફાઇટ આપવા પૂરતું હશે.

ડૉ. ભદ્રેશ વ્યાસ

વિવિધ દેશોમાં મળીને ૩૫ લાખ જેટલા લોકોને રસી અત્યાર સુધીમાં અપાઇ ચૂકી છે, પરંતુ એક પણ કિસ્સો એવો નથી જોવા મળ્યો જેમાં આ રસીને કારણે કોઈ પણ ગંભીર આડ-અસર દેખાઈ હોય. એટલે અફવાઓ માં આવવું નહિ અને રસીથી આડઅસર થશે તેવી અફવાઓ ફેલાવવી નહિ. જે આપણા સૌના હિતમાં છે

(8:44 am IST)