Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નિયમમાં મોટો ફેરફાર :ધો.1 થી 5નાં શિક્ષકને ધો.6 થી 8માં સ્થાન નહીં

સિનિયોરિટી પણ અલગ ગણાશે: ધોરણ 6થી 8માં હવે સમકક્ષ બદલી થઇ શકશે

અમદાવાદ : રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં અંદાજે બે લાખ જેટલા શિક્ષકોની બદલીના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે ધોરણ.૧ થી ૫ના શિક્ષકોને વધના કિસ્સામાં ધોરણ.૬ થી ૮ માં સમાવવામાં આવશે નહી. બંનેની સિનિયોરિટી અલગ-અલગ જ ગણવામાં આવશે. જેના કારણે હવે પ્રાથમિક શિક્ષકોની જીલ્લા ફેર બદલીમાં સરળતા રહેશે.

અત્યાર સુધીમાં ધોરણ.૧ થી ૮ ને સળંગ એકમ ગણવામાં આવતો હોવાથી સિનિયોરિટીના લાભથી અનેક શિક્ષકો વંચિત રહેતા હોવાથી તેમની બદલીઓમાં વિલંબ થતો હતો. પ્રાથમિક શાળાઓમાં ધોરણ.૮નો સમાવેશ કરવામાં આવ્યા બાદ શિક્ષકની ભરતી માટે પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું શરૂ કરાયું હતુ. બે ભાગમાં વહેચાયેલ પ્રાથમિક શાળામાં ધોરણ.૧ થી ૫ના શિક્ષકોની ભરતીમાં PTCની લાયકાત નક્કી કરાઈ હતી, જ્યારે ધોરણ.૬ થી ૮માં બી.એડ અથવા તો PTC સાથે ગ્રેજ્યુએશન ફરજિયાત કરાયુ હતુ.

  જોકે આ પહેલા માત્ર PTCની લાયકાતથી ભરતી થતી હતી. જેથી ધોરણ.૬ થી ૮માં જે-તે સમયે લાયકાત વાળા શિક્ષકો પુરતા નહોતા. માટે શિક્ષણ વિભાગે ટેમ્પરરી એવી જોગવાઈ કરી હતી કે, ધોરણ.૧ થી ૫માં જે શિક્ષકો વધમાં પડતા હોય તેઓને ધોરણ.૬ થી ૮માં સમાવવાના રહેશે. આમ વધારાના શિક્ષકો ઉચ્ચ પ્રાથમિકમાં સમાવિષ્ટ થવાના કારણે બદલીના સંજોગોમાં ધોરણ.૧ થી ૮નો સળંગ એકમ ધ્યાનમાં લેવામાં આવતો હતો.

(6:58 pm IST)