Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

રાજકોટમાં એક સમયે ‘લાલિયા' ગુંડાની ધાક હતીઃ કેશુભાઇ પટેલે તેને ભરબજારમાં માર્યો ત્‍યારથી નેતા તરીકેનો સિક્કો પડયો

અમદાવાદ: ગુજરાતના રાજકારણના ભીષ્મ પિતામહ કહેવાતા કેશુભાઈ પટેલના નિધનથી ગુજરાતમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. તો સાથે જ એક શૂન્યવકાશ પણ સર્જાયો છે. જનસંધથી લઈને ભાજપના મૂળિયા રાજકારણમાં ઊંડા ઉતારવામાં કેશુબાપાનો મોટો ફાળો છે. ભાજપના લાખો કાર્યકર્તાઓનો હાથ પકડીને તેઓએ રાજનીતિમા ચાલતા શીખવાડ્યા હતા. ગુજરાતે એક અઠવાડિયાના ગાળામાં ત્રણ દિગ્ગજ મહાનુભાવોને ગુમાવ્યા છે. મહેશ અને નરેશ કનોડિયા જેવા દિગ્ગજ કલાકારો બાદ કેશુભાઈ પટેલનું નિધન ગુજરાત માટે મોટી ખોટ સાબિત થઈ છે. કેશુભાઈને રાજકીય કારકિર્દીને વેગ આપવામાં માં બે ઘટનાઓ બહુ જ મહત્વની ગણાય છે. 

પહેલી ઘટના

કેશુભાઈની કર્મભૂમિ રાજકોટ રહી હતી. પરિવારમા ખેતીની આવક બહુ જ નબળી હતી. તેથી તેઓએ મોરબીમાં લોટ દળવાની ઘંટી શરૂ કરી હતી. મોરબીમાં મચ્છુ ડેમ બંધાતો હતો, ત્યારે લોટ દળવાની ઘંટી નાંખીને તેઓએ તેમાંથી થોડી આવક રળી લીધી હતી. તેના બાદ તેઓ આરએસએસમાં જોડાયા હતા. સંઘ પ્રચારના સ્વંયસેવક તરીકે ગામડે ગામડે સાઈકલ લઈને ફરતા હતા. પ્રચાર કરવામાં તેઓએ કોઈ કચાશ બાકી ન રાખી. પરંતુ 1960ના દાયકામાં બનેલી એક ઘટના તેમને રાજકીય સ્તરે અમદાવાદ સુધી લઈ જવામાં મોટુ કારણ બની હતી.  રાજકોટમાં એક સમયે લાલિયો નામના ગુંડાની ધાક હતી. આ ગુંડો લોકોને પરેશાન કરતો હતો અને તેમની પાસેથી હપ્તો ઉઘરાવતો હતો. ત્યારે કેશુભાઈએ ભર બજારમા તેને માર માર્યો હતો. ત્યાંથી તેમનો નેતા તરીકેનો સિક્કો પડી ગયો હતો. કેશુબાપાએ જાહેરમા તેની ધોલાઈ કરી હતી.

જનસંઘથી પક્ષ સાથે સંકળાયેલા હતા. સૌરાષ્ટ્રના નેતા તરીકેની છાપ લાલિયાની ઘટના બાદ ઉભરી હતી. ત્યાર બાદ રાજકોટમાં આ દરમિયાન તેઓએ દૂધની ડેરી શરૂ કરી હતી. પછી 1980 થી ભાજપના ટોચના નેતા તરીકે રાજ્ય સ્તરે ગણતરી થવા લાગી.

બીજી ઘટના

અમદાવાદમા એક સમયે લતિફ નામના ગુંડાની ધાક હતી. ત્યારે અમદાવાદના દરિયાપુર, પોપટીયા વાર્ડ, જોર્ડન રોડ વગેરે વિસ્તારોમાં હિન્દુઓ તો ઠીક, પોલીસ પણ જઈ શક્તી ન હતી, ત્યાં  લતિફની દાદાગીરી સામે કેશુભાઈએ અવાજ ઉઠાવ્યો, એટલુ જ નહિ લતીફના ગઢ સમાન પોપટીયા વાર્ડમાં લોકદરબારનો જાહેર કાર્યક્રમ યોજ્યો હતો. તેનાથી નીડર અને હિમંતવાન નેતા તરીકેને છબી રાજ્યસ્તરે ઉભરી આવી. એ પછી સ્થાનિક ચૂંટણીઓમા તેઓએ લતિફને મુદ્દો બનાવ્યો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કબજો કરીને ઈતિહાસ સર્જ્યો હતો. એ જ સફળતા આજના ભાજપની મજબૂતી માટે કારણભૂત ગણાય છે.

(4:56 pm IST)