Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

અમદાવાદ ઇન્કમટેક્સ યુનિટના અધિકારીઓને ડિજિટલ એનાલિસિસ માટે ફોરેન્સિક ટ્રેનિંગ અપાશે

રેઈડની કામગીરીમાં ખાનગી કંપની તેમજ અન્ય સરકારી એજન્સીઓની મદદ લેવાની જરૂર નહીં પડે

અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરચોરોને ઝડપી પાડવા માટે ડીપાર્ટમેન્ટની કાર્યશૈલીમાં સતત બદલાવ લાવવામાં આવી રહ્યા છે, ત્યારે આગામી 1 મહિનામાં અમદાવાદ ઇન્કમટેક્સ યુનિટના અધિકારીઓને ડિજિટલ એનાલિસિસ માટે ફોરેન્સિક ટ્રેનિંગ આપવામાં આવશે. જેનાથી સર્ચ તેમજ રેઈડની કામગીરી દરમિયાન ખાનગી કંપની તેમજ અન્ય સરકારી એજન્સીઓની મદદ લેવાની જરૂર નહીં પડે.

સામાન્ય રીતે કરચોરો દ્વારા તેમના દસ્તાવેજો અને અલગ અલગ ટ્રાન્ઝેક્શનના પુરાવા ડિજિટલ સ્વરૂપે તેમના મોબાઈલ, ટેબ્લેટ ,લેપટોપ કે પેનડ્રાઇવમાં રાખવામાં આવતા હોય છે, જેને પાસવર્ડથી પ્રોટેક્ટ રાખવામાં આવતા હોય છે. આવા કરચોરો દ્વારા તેમની બેનામી સંપતિઓ તેમજ ટ્રાન્ઝેક્શન રેઇડ દરમિયાન અધિકારીઓના હાથે લાગી ન જાય તે માટે ડીલીટ અથવા તો મોબાઈલ ફોન ફેકટરી રિસેટ કરી દેતા હોય છે.

આવા વિવિધ ડીવાઇઝમાંથી ડેટા પાછો મેળવવા તેમજ કરચોરોના ડીવાઇઝના પુરાવાઓનું બેકઅપ લેવા માટે ખાનગી કંપનીઓના ટેક્નિકલ એક્સપર્ટ અથવા તો સેન્ટ્રલ ફોરેન્સિક લેબની મદદ લેવી પડે છે, જેમાં વધારે સમય લાગતો હોય છે. સમયનો બચાવ થાય તેમજ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને પણ ટેક્નિકલ જ્ઞાન મળી રહે તે ઉદ્દેશથી ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવશે.

ઇન્કમટેક્સ વીભાગના અધિકારીઓને તેમની ટ્રેનિંગ દરમિયાન કોઈપણ પ્રકારની ટેક્નિકલ ટ્રેનિંગ આપવામાં આવતી હોતી નથી, જેને કારણે ડિજિટલ પુરાવા એકત્ર કરવામાં ઇન્કમટેક્સના અધિકારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.સાથે જ ગુપ્ત માહિતી મેળવવા માટે અન્ય એજન્સીઓની પણ મદદ લેવી પડતી હોય છે.

જ્યારે પણ કોઈ વ્યક્તિના ઘર કે ઓફીસ પર રેડ પડતી હોય ત્યારે તેના ડિજિટલ ડીવાઇઝનું બેકઅપ લેવામાં આવતું હોય છે, જેનું એનાલિસિસ કરીને કેટલી કરચોરી કરી છે તેનું વિશ્લેષણ કરાતું હોય છે. સામાન્ય રીતે એક મોબાઈલ ફોનનો તમામ ડેટા બેકઅપ લેવા માટે 6 થી 10 કલાકનો સમય લાગતો હોય છે અને લેપટોપનો ડેટા બેકઅપ લેવા માટે મોબાઈલ ફોન કરતા ઓછો સમય લાગતો હોય છે. જેને કારણે એક રેઇડ ઓછામાં ઓછી 3થી 4 દિવસ સુધી ચાલતી હોય છે.

રેઇડ ની કામગીરી વહેલી પૂર્ણ થાય તેમજ ડિજિટલ પુરાવાઓનું પૃથક્કરણ યોગ્ય રીતે થઈ શકે તે ઉદ્દેશથી અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઇન્કમટેક્સ વિભાગના એન્ફોર્સમેન્ટ વિભાગના અધિકારીઓને ફોરેન્સિક ટ્રેનિંગ આપવાનો નિર્ણય કર્યો છે. જેના માટે ગાંધીનગર ફોરેન્સિક યુનિવર્સિટીના ડિરેકટર જે.એમ.વ્યાસની મદદ માંગવામાં આવી છે. જે.એમ વ્યાસ દ્વારા પણ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને ટેક્નિકલ તાલીમ આપવા માટે તૈયારી બતાવી છે. જેને કારણે ટૂંક સમયમાં જ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ ટેક્નિકલ જ્ઞાનથી સજ્જ થઈ જશે અને કરચોરો પર કરવામાં આવતી રેઇડની કામગીરી વહેલી પૂર્ણ થઈ શકશે.

(12:31 am IST)