Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

મહેસાણા:વિજાપુરમાં શિક્ષિત પરિણીતાને સામાન્ય મામલે જીવતી સળગાવી દેવાની ઘટનાથી અરેરાટી મચી જવા પામી

મહેસાણા : વિજાપુરમાં શિક્ષિત પરિણીતાને સામાન્ય મામલે ઉશ્કેરાયેલા સાસરીયાઓએ જીવતી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અંગે પોલીસે પતિ, સાસુ અને કાકા સસરા સામે ગુનો દાખલ કરીને તપાસ આરંભી છે. 

વિજાપુરના ટીબી રોડ પર આવેલ ઋષિવન સોસાયટીમાં સંયુક્ત પરિવારમાં રહેતી શિક્ષિત પરિણીતા ચેતના ગોસ્વામી (૩૨ વર્ષ)ની બેનના પતિ જીગરભાઇનો દસેક દિવસ પહેલા અકસ્માત થયો હતો. તેમની ખબર અંતર કાઢવા જવા તેણીએ પોતાના પતિ જીગ્નેશ અરવિંદગીરી ગોસ્વામીને કહેતા તેણે સરખો જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ, ફોન ઉપર પણ બસમાં જવાનું કહેતા તેણીનો પતિ ઉશ્કેરાટમાં ઘરે આવેલ અને તકરાર કરીને પરિણીતાને માર માર્યો હતો. તે વખતે ઉશ્કેરાટમાં આજે તો મારી નાંખવી છે. તેવું કહીને પતિએ દિવાસળી સળગાવીને ચેતનાના ડ્રેસ ઉપર ચાંપી દીધી હતી. જ્યારે સાસુ કોકીલાબેન અને કાકાજી ભરત ગોસ્વામીએ તેણીનો બન્ને હાથ પકડી રાખતાં દાઝવા લાગી હતી. જેથી પરિણીતાએ હાથ છોડાવીને પોતાના બેડરૂમમાં જઇ ન્હાવાના રૂમાલથી પોતાના શરીર પર લાગેલી આગ માંડ માંડ ઓલવી હતી. ઘટનાની જાણ થતાં યુવતીના પિતા અને કૌટુંબી ભાઇ વિજાપુર આવી ગયા હતા. જ્યારે શરીર ઉપર દાઝી જવાના લીધે પરિણીતાને ખુબ જ બળતરા થતી હોવાથી તેણીને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે વિજાપુર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 

(6:01 pm IST)