Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

આંકલાવના ચમારામાં સગીરા પર નજર બગાડનારને ઠપકો આપતા માર માર્યો

આંકલાવ:તાલુકાના ચમારા ધક્કા ખાતે રહેતી એક સગીરાની રાત્રીના સુમારે નજીકમાં જ રહેતા એક શખ્સ દ્વારા આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. જે બાબતે ઠપકો આપવા જતા બન્ને પરિવારો વચ્ચે મારામારી થતાં આંકલાવ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર ગત ૨૬મી તારીખના રોજ ચમારા ખાતે રહેતી એક ૧૬ વર્ષીય સગીરા પોતાના ઘરે સુઈ ગઈ હતી ત્યારે નજીકમાં જ રહેતો નરેન્દ્રભાઈ ઉર્ફે જીગુ રાજેશભાઈ પઢિયાર આવી ચઢ્યો હતો અને સગીરાની આબરૂ લેવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. પરંતુ સગીરા જાગી જતાં તેણીએ બુમાબુમ કરતાં નરેન્દ્રભાઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. દરમ્યાન સાંજના પાંચેક વાગ્યાના સુમારે સગીરાના માતા-પિતા ઠપકો કરવા જતાં નરેન્દ્રભાઈ અને તેના પિતા રાજેશભાઈ સોમાભાઈ પઢિયાર દ્વારા ગમે તેવી ગાળો બોલીને નરેન્દ્રએ પોતાની પાસેનું કોતુ ગંગાબેનને ડાબા હાથની હથેળીએ મારી દઈને ઈજાઓ પહોચાડી હતી જ્યારે વચ્ચે પડનાર ઘરના સભ્યોને પણ માર માર્યો હતો. સગીરાને રાજેશભાઈએ પોતાની પાસેના લાકડાના ડંડાથી બરડાના ભાગે મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 
સામા પક્ષે રેખાબેન રાજેશભાઈ પઢિયારે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત ૨૬મી તારીખના રોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે ભાઈલાલભાઈ ગોતાભાઈ પઢિયાર, ગંગાબેન ભાઈલાલભાઈ પઢિયાર, દક્ષેશભાઈ ભયલાલભાઈ પઢિયાર તથા શંભુભાઈ પઢિયાર લાકડીઓ લઈને આવી ચઢ્યા હતા અને ગમે તેવી ગાળો બોલીને રાજેશભાઈને માથાના તથા પગના ભાગે લાકડીની ઝાપોટ મારી દીધી હતી. જ્યારે ગંગાબેને રેખાબેનને દાંતી મારી દીધી હતી. મયુરીબેન તથા નરેન્દ્રભાઈ વચ્ચે પડતાં તેમને પણ લાકડીઓથી માર માર્યો હતો.

(5:18 pm IST)