Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સત્તા મંડળના અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે શાબ્દિક ટપાટપીના દ્રશ્યો સર્જાયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સત્તા મંડળના અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે શાબ્દિક ટપાટપીના દ્રશ્યો સર્જાયા

દુકાનો હટાવવાની કામગીરીને લઈને વિરોધ  લોકોના લારી ગલ્લા અચાનક કોઈ પણ સુચના વગર હટાવતા વિવાદ :સ્થાનિકો પાસે જમીન ગુમાવ્યાનું અને બેરોજગારીના દુઃખની સાથે હવે તંત્રએ ધંધો કરવા દેવાની મનાઈ ફરમાવતા રોષ ફેલાયો

રાજપીપળા :નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની રેલ્વે સ્ટેશન સામે એકતા દ્વાર પાસે કેટલાક ગરીબ લોકો દુકાન કરી પોતાની રોજી રોટી ચલાવી રહ્યા હતા.જે દુકાનો હટાવવાની કામગીરીને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના તાબા હેઠળના નાયબ મામલતદાર પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળ પર આવ્યા હતા.જેને લઈને દુકાનદારો તથા સત્તામંડળના અધિકારી વચ્ચે ચકમક જરી હતી.તેમજ શાબ્દિક બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા.અગાઉ પણ આ વિસ્તારમાં ભૂતકાળમાં આવા ઘણા દ્રશ્યો સર્જાયા છે જેને લઈને ગામ લોકો તથા પોલીસ વચ્ચે વારંવાર ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા છે.

કેવડીયાથી ગરુડેશ્વર મુખ્ય રોડને અડીને આવેલા અને જમીન ગુમાવનાર સ્થાનિકોને રોજગારી પણ મળી નથી એવા લોકોના લારી ગલ્લા અચાનક કોઈ પણ સુચના વગર હટાવતા વિવાદ થયો હતો.સ્થાનિકો પાસે જમીન ગુમાવ્યાનું અને બેરોજગારીના દુઃખની સાથે હવે તંત્રએ ધંધો કરવા દેવાની મનાઈ ફરમાવતા રોષ ફેલાયો છે.બીજી બાજુ સ્થાનિકો એમ પણ કહી રહ્યા છે કે રોજગારી આપશો તો અમે ધંધો નહિ કરીએ.

કોરોના કાળ બાદ છૂટ છાટ મળતા સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના તમામ પ્રોજેક્ટો ખુલ્લા કરતા દર શની રવિની રજાઓમાં હજારોની સંખ્યામાં આવતા હોવાથી સ્થાનિક કેવડિયા, ગભાણા સહિતના ગામોના લોકો સ્ટેચ્યુના મુખ્ય માર્ગ પર ચા-નાસ્તા, પડીકાની લારીઓ ગોઠવી ધંધો કરવા લાગ્યા હતા.સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના આધિકારીઓ ગરુડેશ્વર મામલતદારે સ્થાનિક સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળની પોલીસ અને નર્મદા પોલીસ સાથે રાખી ગભાણાથી કેવડિયા પોલીસ સ્ટેશન સુધી કોઈને નડતર રૂપ ન બની ધંધો કરતા 20 જેટલા લોકોના લારી ગલ્લા હટાવી લેવાતા રોજગારી છીનવાઈ ગઈ.સ્થાનિકો તંત્રના અધિકારીઓને અનેક રજૂઆતો કરી છતાં અધિકારીઓ એક ના બે ન થયા.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના અધિકારીઓએ કહ્યું કે પરમિશન વગર તમારાથી કશું જ ન કરી શકાય.દરમિયાન દુકાનદારો અને અધિકારીઓ વચ્ચે સામાન્ય ચકમક પણ જરી હતી.અત્રે એ ઉલ્લેખનીય છે કે અધિકારીઓએ દબાણો કરતા સ્થાનિકોનોનો માલ બગડ્યો ત્યારે ખરેખર તંત્ર આવા ગરીબોને હટાવી શું કરવા માંગે એ પ્રશ્ન હાલ ઉઠી રહ્યા છે.

નર્મદા જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન દિનેશ તડવીએ જણાવ્યું હતું કે સત્તા મંડળના જોરે સ્થાનિક આદિવાસીઓ સાથે અન્યાય થાય છે.ક્યાં છે સૌનો સાથ સૌનો વિકાસ, જો સ્થાનિક આદિવાસીઓ પોતાની માંગ મુદ્દે રસ્તા પર ઉતરશે તો મારે પણ એમની પડખે રહેવું જ પડશે.નીતિ વિષયક પ્રશ્નો સરકાર હલ કરશે પણ રોજગારીને લગતા પ્રશ્નો સ્થાનિક કક્ષાએ હલ કરવા જોઈએ.જેમ નગરપાલિકા-મહાનગરપાલિકા કરે છે એમ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પણ લારી ગલ્લા વાળાઓ પાસે રોજે રોજનું ભાડું વસુલી પાસ ફડાય તો સ્થાનિકોને રોજગારી પણ મળશે અને સત્તા મંડળને પણ આવક થશે.રોજગારી અને ધંધો કરવો એ અમારો હક છે.મારી સરકાર સમક્ષ માંગ છે કે સરકાર સાથે પેકેજ સુધારા વધારા માટે વાત ચિત ચાલુ છે નિણર્ય ન આવે ત્યાં સુધી લોકોને થતી કનડગત બંધ થવી જોઈએ.માનસિક આઘાતમાં લોકો જીવી રહ્યા છે.જમીનો ગુમાવનાર પરિવારોને રોજગારી આપો.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે PM મોદીએ જાહેર મંચ પરથી કહ્યુ હતુ કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિહાળવા દેશ-વિદેશથી પ્રવાસીઓ આવશે એટલે સ્થાનિકોને રોજગારી મળશે, સ્થાનિક આદિવાસીઓ પ્રવાસીઓને દેશી રોટલા અને શાક જમાડીને પણ પોતાનું જીવન ધોરણ ગુજારી શકશે.તો બીજી બાજુ સ્થાનિકો ધંધો કરી રહ્યાં છે એમને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના અધિકારીઓ હટાવી રહ્યા છે.ત્યારે સત્તા મંડળ સાચું કે પીએમ મોદી એ પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના અધિકારીઓએ એમ કહી લારી ગલ્લાઓ ઉઠાવી લીધા કે તમારી પાસે કોઈ મંજૂરી નથી.હવે અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સ્થાનિક આદિવાસીઓ ધંધો રોજગાર કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ પાસે મંજૂરી માંગશે તો શું એમને મંજૂરી મળશે કે કેમ.હાલ તો રોજગારી વગર સ્થાનિકોના હાલ બેહાલ થયા છે.

(10:16 pm IST)