Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

જે વ્યક્તિ પોતાનું સુખ સૌની સાથે વહેંચે છે, તેમના જીવનમાં દુઃખોની બાદબાકી અને સુખનો સરવાળો થયા જ કરે છે ”: સ્વામી માધવપ્રિયદાસજી

SGVP ગુરુકુલ, અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીનું બોલ્ટન (યુકે) ખાતે ભવ્ય સ્વાગત

બોલ્ટન, યુકે તા. 29, SGVP ગુરુકુલ, અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજી યુ.કે. સત્સંગ વિચરણ દરમિયાન બોલ્ટન પધાર્યા હતા.

‘શ્રી કચ્છી લેવા પટેલ સમાજ - બોલ્ટન’ના પ્રમુખ શ્રી માવજીભાઈ લીંબાણી, ઉપપ્રમુખ મૂળજીભાઈ હિરાણી વગેરે કમિટિના સભ્યોએ સ્વામીશ્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

બોલ્ટન ખાતે પૂજ્ય સ્વામીશ્રીએ પંચદિનાત્મક ‘શ્રીમદ્‌ભાગવત કથા પારાયણ’નો લાભ આપ્યો હતો. કોરોનાના કપરા કાળમાં દિવંગત થયેલા ભક્તજનોની પવિત્ર સ્મૃતિ આ કથા સાથે જોડાયેલી હતી. કથા દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ પ્રાગટ્યોત્સવ, ગોવર્ધનલીલા - અન્નકૂટોત્સવ જેવા ઉત્સવોની સુંદર ઉજવણી કરવામાં આવી હતી. આ તમામ ઉત્સવોની તૈયારીમાં બોલ્ટનનાં ઉત્સાહી ભાઈબહેનોએ ખૂબ જ સુંદર તૈયારીઓ કરી હતી.

પૂજ્ય સ્વામીશ્રીએ ભાગવતજીની કથાના પ્રસંગોની સાથે કથાના સુંદર રહસ્યો સમજાવ્યા હતા. ગોવર્ધનલીલાના પ્રસંગનું વર્ણન કરતા સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, “ભગવાન શ્રીકૃષ્ણનારાયણે અન્નકૂટોત્સવ કર્યો. અન્નકૂટનો પ્રસાદ નાનામાં નાના મનુષ્યો સુધી વહેંચવામાં આવ્યો. આપણા જીવનમાં આવનારા સુખના પ્રસંગો સૌની સાથે વહેંચવા જોઈએ. જે વ્યક્તિ પોતાનું સુખ સૌની સાથે વહેંચે છે, તેમના જીવનમાં દુઃખોની બાદબાકી અને સુખનો સરવાળો થયા જ કરે છે.”

“સુખનો અર્થ માત્ર ભૌતિક સુવિધાઓની ઉપલ્બધિ નથી. સુખ એટલે આંતરિક શત્રુઓનો નાશ થવો. સુખ એટલે જીવનમાં સદ્‌ગુણોની અભિવૃદ્ધિ થવી. સુખ એટલે પરિવારમાં સંપ, સંસ્કાર અને સત્સંગનું વધતું રહેવું.” પ્રસંગોપાત શાસ્ત્રી ભક્તિવેદાંતદાસજી ભાગવતજીના પ્રસંગો ઉપર સુંદર કથાવાર્તા કરતા હતા.

કથા દરમિયાન ગવૈયા પાર્ષદ ઘનશ્યામ ભગતે ખૂબ જ મધુરા સ્વરે વિવિધ ભજનોનું શ્રવણ કરાવ્યું હતું. પૂજ્ય સ્વામીજીની સંગાથે SGVP ગુરુકુલથી પધારેલા કર્મકાંડ નિષ્ણાંત શાસ્ત્રી શ્રી જ્વલંતભાઈ મહેતાએ કથાના પ્રારંભે ભગવાન, ભાગવતજી અને પિતૃઓનું પૂજન કરાવ્યું હતું.

પંચદિનાત્મક કથા દરમિયાન કુરજીભાઈ પીંડોરીયા, અરવિંદભાઈ તથા હરેશભાઈ વરસાણી, કીર્તિભાઈ હિરાણી, રવિભાઈ પટેલ વગેરે બોલ્ટન, માન્ચેસ્ટર, ઓલ્ડહામ આદિ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પધારનારા ભક્તજનો રહસ્યપૂર્ણ કથાનું શ્રવણ કરીને ખૂબ જ પ્રસન્ન થયા હતા.

 

 

(4:49 pm IST)