Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

કાર તેમજ ટ્રક અથડાતા પિતા, પુત્રી સહિત સાતના કરૂણ મોત

શિરોહી-શિવગંજ ફોરલેન્ડ હાઈવે પર અકસ્માત : જોધપુરમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યા ત્યારે અકસ્માત સર્જાયો :અન્ય બે ગંભીરરીતે ઘાયલ થયા

અમદાવાદ,તા.૨૯ : રાજસ્થાનના શિરોહી નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં ભરુચના પરિવારના સાત સભ્યોના મોત થતાં સનસનાટી મચ ગઈ છે. આ અકસ્માતમાં અન્ય કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. આ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળેલી માહિતી મુજબ ભરુચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલી એકદંત રેસીડેન્સીમાં રહેતા ભાર્ગવ પરિવારને શિરોહી નજીક અકસ્માત નડ્યો હતો જેમાં સાત લોકોના મોત થઇ ગયા હતા. મૃત્યુ પામનારાઓમાં પિતા અને પુત્રીનો સમાવેશ થાય છે જ્યારે આ દુર્ઘટનામાં માતા-પુત્રને ગંભીર ઇજાઓ થઇ હતી. રાજસ્થાનના જોધપુરમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરિવારના સભ્યો પોતાની બોલેનો કારમાં પરત ફરી રહ્યા હતા ત્યારે શિરોહી નજીક આ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ભરુચના ઝાડેશ્વર રોડ ઉપર સ્થિત એકદંત રેસીડેન્સીમાં ફ્લેટ નંબર ૨૦૧માં રહેતા પરિવારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત બાદ આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. પ્રવિણ ભાર્ગવ, ડિમ્પલ, પુત્ર ચિરાગ અને પુત્રી શેરોન તેમના વતન જોધપુર ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. પ્રોફેશનથી જ્યોતિષ એવા પ્રવિણભાઈ ૧૫મી જૂનના દિવસે જોધપુર લગ્ન પ્રસંગમાં પરિવાર સાથે ગયા હતા અને આજે સવારે જોધપુર ખાતે રહેતા પરિવારના અન્ય સભ્યો સાથે પોતાની કારમાં પરત ફરી રહ્યા હતા. શિરોહી નજીક પહોંચ્યા ત્યારે ડ્રાઇવરે કાબુ ગુમાવતા તેમની ગાડી પલટી ખાઈને સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી જેમાં પિતા-પુત્રીના ઘટનાસ્થળે જ મોત થયા હતા. શિરોહી-શિવગંજ ફોરલેન્ડ હાઈવે પર પોસાલિયા ગામ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. અકસ્માતમાં ડિમ્પલ ભાર્ગવ અને ચિરાગ ભાર્ગવને ગંભીર ઇજા થઇ હતી. આ બંનેને તરત જ સારવાર અર્થે શિરોહીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પ્રવિણ ભાર્ગવના પરિવારના સભ્યો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સાથે સાતે હોસ્પિટલમાં પણ પહોંચ્યા હતા. ભરુચ ખાતેના પડોશીઓને જાણ થતાં આ લોકો પણ આઘાતમાં ગરકાવ થઇ ગયા હતા. એકદંત રેસીડેન્સીમાં ચાર સભ્યોના પરિવાર છેલ્લા છ વર્ષથી રહી રહ્યો હતો. અકસ્માતના કારણે પરિવારના સભ્યોમાં આઘાતના મોજાની સાથે સાથે જોધપુરમાં પણ આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. ખુશીનું મોજુ દુખમાં ફેરવાયું હતું.

મૃત્યુ પામેલાની યાદી...

અમદાવાદ,તા.૨૯ : રાજસ્થાનના શિરોહી નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં ભરુચના પરિવારના સાત સભ્યોના મોત થતાં સનસનાટી મચ ગઈ છે. આ અકસ્માતમાં અન્ય કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓના નામ નીચે મુજબ છે.

*   પ્રવિણભાઈ ભાર્ગવ (ઉંમર વર્ષ ૩૫)

*   સેરોન ભાર્ગવ (પુત્રી ઉંમર વર્ષ પાંચ)

*   કૈલાશબેન

*   સુમિત્રાબેન

*   ખુશ્બુબહેન

*   રેખાબેન

*   શાનવી (એક વર્ષ)

ઘાયલોની યાદી

*   ડિમ્પલ ભાર્ગવ (પત્નિ ઉંમર વર્ષ ૩૦)

*   ચિરાગ ભાર્ગવ (પુત્ર ઉંમર વર્ષ ૧૨)

(8:22 pm IST)