Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

આદિવાસીઓ પર અત્યાચાર કરનારા અધિકારીઓને સસ્પેન્ડ કરો: કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલની માંગ

-સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારનાં આદિવાસીઓને પડખે કોંગ્રેસ, માનવ અધિકાર પંચમાં કરાઇ રજુઆત

રાજપીપળા: લોકડાઉન વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારનાં છ ગામનાં આદિવાસીઓની મુશ્કેલી વધી સર્વે અને ફેન્સિંગ કરવાથી છેલ્લાં 20 દિવસથી પોતાની જમીનો બચાવવા ઝઝૂમી રહેલા સ્થાનિક આદિવાસીઓ એકલા હાથે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી રહ્યાં છે. ત્યારે આ મુદ્દો હવે કોંગ્રેસે પકડ્યો છે અને આ 6 ગામ સહિત 19 ગામનાં ગ્રામજનોની પડખે ઉભા રહીને તેમની સાથે લડતમાં ઉતર્યા છે.  

  કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો ઝડપીને તેને દિલ્હી સુધી ગજવ્યો અને સોશિયલ મીડિયામાં ભાજપ સરકાર વિરુદ્ધ તેમની કામગીરી વિરુદ્ધ લખતા વધુ એક વિવાદ ઉભો થયો છે.

રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયામાં જાહેરમાં લખ્યું છે કે, ‘એક તરફ કોરોના વાઈરસથી સમગ્ર દેશ પરેશાન છે અને લોકડાઉન અમલમાં છે તેવા સમયે કેવડીયા કોલોનીમાં પોલીસની બળજબરીથી આદિવાસી ભાઈઓ-બહેનો ઉપર અત્યાચાર કરીને તેમને તેઓનાં રહેઠાણથી ભગાડવાની અને જમીન ખાલી કરવાની વિડીયો જોઈને અત્યંત વ્યથિત છું. આદિવાસી સમાજ ઉપર અત્યાચાર કરી રહેલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક હાથે કામ લેવામાં આવે અને લોકડાઉનનાં સમયે જમીનો ખાલી કરવાનો નિર્ણય કેમ થઈ શકે ? આ નિર્ણય કરનાર સામે પણ પગલાં ભરવામાં આવે

   આ આદિવાસી પરિવારોનો વનસંપત્તિ પર આદિવાસીનાં અધિકાર કાયદા નીચે અધિકાર છે. જો સરકારને જમીનની જરૂર હોય તો જમીન સંપાદન બળથી કે અત્યાચારથી ન જ કરી શકાય. આ માટે કોંગ્રેસની કેન્દ્ર સરકારે બનાવેલ જમીન મેળવવવા માટેની પ્રક્રિયા અને પૂરતા વળતર પછી સમજણ થાય તો જ જમીન મેળવવી જોઈએ. હાલ લોકડાઉનનાં સમયે આદિવાસી પરિવારો ઉપર અત્યાચાર કરીને જે ફેન્સિંગનું કામ કરવામાં આવી રહ્યું છે તે તાત્કાલિક રોકાવવું જોઈએ. માનવ અધિકારપંચ અને મહિલા આયોગને અનુરોધ છે કે, આ વીડીયો જે પ્રાપ્ત થયેલ છે તેમાં મહિલાઓ સહિત આદિવાસી સમાજ ઉપર અત્યાચાર થઈ રહ્યાંનો પુરાવો હોવાંથી જવાબદારની સામે કડક પગલાં ભરવામાં આવે.

(9:21 pm IST)