અમદાવાદઃ તા.૨૯, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર લઈ રહેલાં કોરોનાના દર્દીઓ અને તેમની દિવસ-રાત સેવા કરતાં ડોકટર્સ અને નર્સ સાથે ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સીધો સંવાદ કરીને સંપૂર્ણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ગાંધીનગર ખાતે સીએમ ડેશબોર્ડના માધ્યમથી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર લઈ રહેલાં કોરોનાના દર્દીઓ અને તબીબો સાથે સંવાદ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, કોરોનાના દર્દીઓનો જીવ બચાવવા માટે રૂ. ૫૦ હજારથી વધુ કિંમતનું લાઈફ સેવિગ ઈન્જેકશન આપવા સરકાર કટિબદ્ઘ છે. રાજય સરકાર પાસે પુરતી માત્રામાં આ ઈન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ છે.
મુખ્યમંત્રીશ્રી સાથેના આ સંવાદ દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ શ્રેષ્ઠ સારવાર અને ઉત્ત્।મ સુવિધા બદલ કોરોનાના દર્દીઓએ રાજય સરકારનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો.
કોરોનાના દર્દીઓને બચાવવા સિવિલ હોસ્પિટલ-અમદાવાદ ખાતે કોવિડ-૧૯ વોર્ડમાં જીવના જોખમે દિવસ-રાત કામ કરતાં કોરોના વોરિયર્સ જેવાં કે, ડોકટર્સ, નર્સ અને તબીબી સ્ટાફને પણ મુખ્યમંત્રીશ્રીએ તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન આપીને તેમનો જુસ્સો વધાર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી તથા કોરોના દર્દીઓ અને તબીબો વચ્ચે થયેલા સંવાદના મુખ્ય અંશો :
મુખ્યમંત્રીશ્રી : કેમ ચાલે છે, દર્દીઓના ડિસ્ચાર્જમાં વધારો થયો છે કે નહીં ?
તબીબ શ્રી મુકતેશ : હા સાહેબ, ખૂબ સરસ ચાલે છે. દર્દીઓના ડિસ્ચાર્જમાં સુધારો થયો છે અને અહિંયા કોઈ સમસ્યા નથી, પૂરતી માત્રામાં સાધનો, દવાઓ બધુ જ ઉપલબ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીઃ કોરોના દર્દીઓની સારવાર પ્રોટોકોલ મુજબ થાય છે કે નહીં
તબીબ શ્રી મુકતેશઃ હા સાહેબ, પ્રોટોકલ મુજબ જ સારવાર થાય છે અને સિવિલના સિનિયર ડોકટર્સ પણ કોવિડ વોર્ડની મુલાકાત કરે છે.
મુખ્યમંત્રીશ્રી : નવીનભાઈ આપની તબિયત કેવી છે ?
દર્દી શ્રી નવીનભાઈ સોલંકી : ખૂબ સારી છે, હવે તાવ નથી. શરૂઆતમાં ક્રિટિકલ કન્ડિશન હોવાથી ૧૨ દિવસથી ICU માંથી સારવાર બાદ હવે સંપૂર્ણ સ્વસ્થ છું.
હું આવ્યો ત્યારે ૯૫ ટકા એવું હતુ કે, હવે હું જીવી નહીં શકુ... પણ ડો. કાર્તિક પરમાર અને તેમની ટીમની સારવાર બાદ માત્ર ચાર દિવસમાં મને ખૂબ સુધાર લાગ્યો. સ્ટાફના સહયોગથી મારુ જીવન બચ્યુ છે. હું મારા પરિવારને મળી શકીશ.
સાહેબ, હું કદાચ સિવિલમાં ન આવ્યો હોત તો, હું બચી શકયો ન હોત. અહિં સિવિલમાં જમવાથી માંડીને તમામ સુવિધા ખૂબ સરસ છે. હું રાજય સરકાર અને સિવિલના તબીબોનો આભાર માનું છું.
મુખ્યમંત્રીશ્રી : આપ કેમ છો ?
દર્દી શ્રી કુરેશી ઉસ્માન ગનીઃ સાહેબ, સારવાર ખૂબ સારી ચાલે છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી તાવ નથી. અહીં હોસ્પિટલમાં જમવા તેમજ આરોગ્ય સહિતની સુવિધાઓ સુંદર છે.
મુખ્યમંત્રીશ્રી : આપ કયા વિસ્તારમાંથી આવો છો ?
દર્દી શ્રી કુરેશી ઉસ્માન ગની : સાહેબ, મીરઝાપુરથી... મારા દ્યરના કોઈ પણ સભ્યને કોરોનાનો ચેપ લાગ્યો નથી... સિવિલના તબીબો નિયમિત મને ચકાસવા પણ આવે છે.
મુખ્યમંત્રીશ્રી : આપની તબિત કેવી છે બહેન ?
દર્દી શ્રી સંધ્યાબેન : સાહેબ, પહેલાં કરતાં વધુ સારું છે. હું નવ દિવસથી સારવાર લઈ રહી છું. અહિંયા તમામ વ્યવસ્થા ખૂબ સારી છે. છેલ્લાં કેટલાંક દિવસથી તાવ નથી.
મુખ્યમંત્રીશ્રી : બહેન, આપ કયાંથી આવો છો.
દર્દી શ્રી સંધ્યાબેન : સાહેબ, મણિનગરથી.. સાહેબ અહિંયા તબિબના સ્વરૂપે અમને ભગવાન મળ્યા હોય તેવી અનુભૂતિ થાય છે.
મુખ્યમંત્રીશ્રી : બહેન, આપ જલ્દીથી સાજા થઈ જાઓ તેવી શુભકામનાઓ..
મુખ્યમંત્રીશ્રી : પ્રભાવતી બેન આપને ખૂબ ખૂબ ધન્યવાદ.. અને અભિનંદન.. આપ ખૂબ જ સારું કામ કરો છો..
નર્સ શ્રી પ્રભાવતી બેન : સાહેબ આપનો આભાર.. અમને આપની સાથે વાત કરતાં ગર્વ થાય છે. સાહેબ અમે કોરોનાના દર્દીઓની સામાન્ય દર્દીઓની જેમ જ સારવાર કરીએ છીએ.
મુખ્યમંત્રીશ્રી : બહેન આપને દર્દીઓની સેવા કરવાનો મોકો મળ્યો છે તો દિલથી સેવા કરજો..
મુખ્યમંત્રીશ્રીઃ ડો. કાર્તિક આપ પ્રથમ દિવસથી જ ખૂબ સારું કામ કરો છો.. આપ સારવારની સાથે દર્દીઓ સાથે સહાનુભૂતિ પણ રાખો છો તે બદલ તમને શુભેચ્છાઓ..
મુખ્યમંત્રીશ્રી : કુલદિપભાઈ આપની તબિયત કેવી છે..
દર્દી શ્રી કુલદિપ મિશ્રાઃ સાહેબ, શરૂઆતમાં શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી હતી. પરંતુ, ડોકટર દ્વારા ખાસ ઈન્જેકશન આપ્યાં બાદ હવે ખૂબ સારું છે.
સાહેબ આવ્યો ત્યારે જીવવાનો ભરોસો નહોતો.. આજે ઓકિસજન સિસ્ટમના સહયોગ વિના હરી ફરી શકું છુ અને વાત-ચીત કરી શકું છુ.
મુખ્યમંત્રીશ્રીઃ યુસુફભાઈ હવે કેવું છે..
દર્દી શ્રી યુસુફ માણેક : સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર..
ડોકટર કાર્તિકભાઈ અને કરણભાઈએ ખૂબ મહેનત કરી મને મોતના મુખમાંથી બચાવ્યો છે.. મને અત્યારસુધીમાં ૭૦-૮૦ બાટલા ચડાવ્યા છે અને ઈન્જેકશન આપ્યા છે.. હવે હું સંપૂર્ણ હરતો ફરતો થઈ ગયો છું..
સાહેબ, ગુજરાતની સિવિલમાં એક નંબરની સારવાર મળે છે.. દિવસમાં ચાર-ચાર વાર સફાઈ થાય છે.. સાહેબ મારા જેવા ગરીબ માણસને બચાવ્યો તે બદલ આભાર..
સાહેબ, મારી ત્રણ પેઢીમાં મેં પ્રથમવાર મુખ્યમંત્રીશ્રી સાથે વાત કરી છે જે બદલ આપનો આભાર..
મુખ્યમંત્રીશ્રી : પિનાકીનભાઈ આપની તબિયત કેવી છે..
દર્દી શ્રી પિનાકીન પટેલ : સાહેબ, ડોકટરોએ ખૂબ મહેનત કરી છે.. જયારે હું ૧૧ દિવસ પહેલાં સિવિલમાં આવ્યો ત્યારે મને શ્વાસ લેવામાં તકલીફ હતી. કફ અને તાવ પણ હતો. તપાસમાં ન્યૂમોનિયા આવ્યો હતો.
સાહેબ મને ICUમાંથી દાખલ કરાયો હતો અને મને ૧૦૦ ટકા ઓકિસજન સપોર્ટ સિસ્ટમની જરૂર હતી. આજે ૪૦ થી ૬૦ ટકા જેટલો ફરક દેખાઈ રહ્યો છે..
મને લાઈફ સેવિંગ ઈન્જેકશન પણ આપવામાં આવ્યું છે.. આપનો ખૂબ ખૂબ આભાર.
મુખ્યમંત્રીશ્રીઃ સિવિલમાં દિવસ-રાત કાર્યરત આપ તમામ કોરોના વોરિયર્સને કોરોના દર્દીઓની સેવા બદલ લાખ લાખ અભિનંદન...