Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ધોરણ-૯ અને ૧૧ની રિ ટેસ્ટ લેવાશે : ૧૦મી સુધી પરીક્ષા

વાલીઓની રજૂઆત સંદર્ભે મહત્વનો નિર્ણય : નાપાસ થયેલા વિદ્યાર્થીઓને રિટેસ્ટ માટે નિર્ણય ઉપયોગી

અમદાવાદ,તા.૨૯ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ ધોરણ-૯ અને ૧૧ની રિ-ટેસ્ટ નહીં લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ વાલીઓએ આ સમગ્ર મામલે રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને હવેથી ધોરણ-૯ અને ૧૧ની રિ-ટેસ્ટ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ-૯ અને ૧૧ની એપ્રિલ ૨૦૧૯માં લેવાયેલી પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટ શાળાઓએ તા.૧૦ જૂન સુધી પૂર્ણ કરવાની રહેશે, અને તેનું પરિણામ ૧૫ જૂન સુધીમાં જાહેર કરવાનું રહેશે. રાજય સરકારના આ નિર્ણયને પગલે એકબાજુ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રાહતની લાગણી ફેલાઇ છે તો બીજીબાજુ, બોર્ડ અને સરકારના સત્તવાળાઓ વચ્ચે આટલા મોટા નિર્ણયને લઇ સંકલનનો અભાવ સપાટી પર આવ્યો છે. પરંતુ આ સંકલનના અભાવને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કેટલી ગંભીર હાલાકી ઉભી થઇ તે ગંભીર સવાલ છે. સરકારી તંત્રની આટલી ગંભીર બેદરકારી અને કોમ્યુનીકેશન ગેપને લઇ હવે ભારે ચર્ચા ઉઠવા પામી છે.  ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા શૈક્ષણિક સમિતિની બેઠકમાં બે મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં શાળાઓમાં નવરાત્રિનું વેકેશન નહીં આપવાનો અને ધોરણ-૯ અને ૧૧મા રિ-ટેસ્ટ લેવા નિર્ણય કરાયો હતો. જો કે, શૈક્ષણિક સમિતિ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા વચ્ચેના સંકલનમાં અભાવ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓના હિતમાં લેવાતા નિર્ણય અંગે કોઈ જ સંકલન સાધવામાં નથી આવતું. જેના કારણે એક નિર્ણય લીધા બાદ ફરીથી તે નિર્ણયને બદલવાની ફરજ પડે છે. અગાઉ શાળાઓમાં નવરાત્રિ વેકેશન નહીં આપવા અંગેની જાહેરાત કર્યાના ચાર દિવસ બાદ નિર્ણય બદલવો પડ્યો હતો અને વેકેશન યથાવત્ રીતે આપવાની જાહેરાત કરાઇ હતી, જ્યારે હવે ધોરણ-૯ અને ૧૧માં પણ રિ-ટેસ્ટ અંગેનો નિર્ણય પણ બદલવો પડ્યો છે. જે મુજબ, ધોરણ-૯ અને ૧૧ની એપ્રિલ ૨૦૧૯માં લેવાયેલી પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટ શાળાઓએ ૧૦ જૂન સુધી પૂર્ણ કરવાની રહેશે.

(8:30 pm IST)