Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

રાજયસભાનો ચૂંટણી જંગ : હાલની સ્થિતિ મુજબ ભાજપ ૧ બેઠક ગુમાવશે : જોડ-તોડની નીતિ શરૂ

ગુજરાતમાં ભાજપ બંને બેઠક બચાવવા મેદાનમાં : કોંગ્રેસ તૂટશે ? : હજુ કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડી બીજેપીમાં જોડાય તો નવાઇ નહિ

નવી દિલ્હી, તા. ર૯ : લોકસભા ચૂંટણીમાં બીજેપીના બે રાજયસભાના સાંસદ અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીએ ગાંધીનગર અને અમેઠીથી જીત મેળવતા બન્ને સીટ ખાલી પડતા હવે આગામી સમયમાં રાજયસભાની ચૂંટણી યોજાશે. જેના માટે બીજેપી અત્યારથી જ કોંગ્રેસના ધારાસભ્યોને તોડી બીજેપીમાં સામેલ કરવાનું ઓપરેશન શરૂ કરી દીધું છે. હાલની પરિસ્થિતિ જોતા બીજેપી રાજયસભાની એક બેઠક ગુમાવશે તે નક્કી છે, પરંતુ જોડ-તોડની રાજનીતિમાં માહેર બીજેપી હવે કોંગ્રેસના ધારાસભ્યોને તોડી પોતાના પક્ષમાં સામેલ કરી રાજયસભાની બન્ને સીટ જીતવાના પ્રયાસ કરશે. બીજેપી કોંગ્રેસના ૧૧ મત ઓછા કરવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. આ અંતર્ગત રાજયના વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, જીતુ વાઘાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ હાજર રહ્યા હતાં. હવે ચર્ચાએ જોર પકડયું છે કે શું કોંગ્રેસ તૂટે છે ? અગામી સમયમાં કોંગ્રેસમાંથી રાજીનામાં પડે તો નવાઇ નહીં.

હાલના બીજેપી અને કોંગ્રેસના સંખ્યાબળ અનુસાર, બંને પક્ષો પોતાના એક-એક ઉમેદવારને આરામથી રાજયસભામાં મોકલી શકે તેમ છે. જોકે, બીજેપી આ બંને બેઠકો જીતવા ઇચ્છે છે. જો બીજેપીને બંને બેઠકો જીતવી હોય તો તેને ૧ર૦ ધારાસભ્યોના વોટ જરૂરી છે. બીજેપી હાઇકમાન્ડનો પ્રથમ ટાર્ગેટ કોંગ્રેસના ૧૦ જેટલા અસંતુષ્ટ ધારાસભ્યોને તોડવા માટેનો છે. જો આટલા ધારાસભ્ય તૂટી જાય અને કેટલાકનું ક્રોસ વોટીંગ કરવામાં આવે તો બીજેપીનો બેડો પાર થઇ શકે તેમ છે.

કોંગ્રેસમાંથી આમ પણ વિકેટો પડવાનો સીલસીલો અટકી નથી રહ્યો, અને તેમાંય લોકસભા ચૂંટણીમાં બીજેપીને જંગી બહુમતી વિજય મળતા હવે રાજયસભાની ચૂંટણી યોજાય તે પહેલા બીજેપી કોંગ્રેસમાં ર૦૧૭માં કર્યું હતું તેમ વધુ ધારાસભ્યોને પોતાના તરફ આકર્ષવાનું શરૂ કરી દીધું છે.

લોકસભા ચૂંટણી સાથે ચાર વિધાનસભા બેઠકોની પણ પેટા ચૂંટણી યોજાઇ હતી જેમાં બીજેપીના ચારેય ઉમેદવારોની ભવ્ય જીત થઇ હતી. આ ચાર નવા સભ્યો કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા, આશાબેન પટેલ, રાઘવજી પટેલ અને પરસોત્તમ સાબરિયા છે. બીજેપીના ચાર નવા ધારાસભ્યોએ આજે વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં પદ અને ગોપનિયતા શપથ લીધા હતા.

બીજી બાજુ રાજયના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સાથે બનાસકાંઠાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મુલાકાત કર્યા બાદ ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ સર્જાય તેવા એક પછી એક સમાચાર જાણવા મળી રહ્યા છે. અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપીને તમામ લોકો ચોંકાવી દીધા હતા. અલ્પેશ ઠાકોરે બીજેપીની વાહવાહી કરી હતી. તો બીજી બાજુ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને એક નિવેદન આપ્યું હતું. અલ્પેશ ઠાકરે ભવિષ્યવાણી કરી હતી કે, ભવિષ્યમાં હજી કોંગ્રેસમાં ૧પ થી ૧૭ ધારાસભ્યો બીજેપીમાં જોડાય તો નવાઇ નહીં. કોંગ્રેસમાં આંતરિક વિખવાદના કારણે ૧પથી ૧૭ ધારાસભ્યો નારાજ હોવાથી તેઓ કયારેય પણ બીજેપીમાં જોડાઇ શકે છે.

અલ્પેશ ઠાકોરના નિવેદનથી એવું લાગી રહ્યું છે કે તે સંપૂર્ણ બીજેપીના શરણે આવી ગયો છે તો અલ્પેશે પોતાના નિવેદનમાં કોંગ્રેસ પર માછલા ધોયા હતા. અલ્પેશ અને ધવલસિંહનું કોંગ્રેસ વિરોધી વલણ જોવા મળી રહ્યું છે, જયારે અલ્પેશ અંગે સીએમ અને પ્રદેશ પ્રમુખને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે વેઇટ એન્ડ વોચની નીતિ જણાવી હતી. અલ્પેશ અંગે સીએમ અને પ્રદેશ પ્રમુખે જવાબ આપ્યો હતો કે, 'અલ્પેશ અંગે સમય આવે જોઇશું'

અલ્પેશે ભાર મૂકીને જણાવ્યું કે, બીજેપીમાં જોડાવાનું હાલ તેનું કોઇ આયોજન નથી. બીજેપીના અનેક નેતાઓ તેના સંપર્કમાં છે. હું મારા મતવિસ્તાર માટે કામ કરવા માગું છું.

(11:56 am IST)