Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

આગકાંડ બાદ કોર્પોરેશન અને ફાયરના નવા નિયમ જારી થયા

બે ફોર્મમાં સંચાલકોને બધી માહિતી આપવી પડશે : સુરતના ગોઝારા કાંડ બાદ ફાયરસેફ્ટી સાધનોની ડિમાન્ડ વધી છે : કોન્ટ્રાકટર-ડિસ્ટ્રીબ્યુટર્સ લાભ ઉઠાવી રહ્યા છે

અમદાવાદ,તા. ૨૮ : સુરત અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટી મુદ્દે કડક નિયમોનુ પાલન કરાવવા માટે હવે રાજય સરકાર, તમામ કોર્પોરેશનો અને નગરપાલિકા સહિતના સત્તાવાળાઓએ અસરકારક ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન-ફાયરવિભાગ દ્વારા પણ લો અને હાઈ રાઇઝ બિલ્ડીંગમાં ચાલતા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનલ, કોલેજ, સ્કૂલ જેવી શૈક્ષણિક ઇત્તર પ્રવૃત્તિ ચલાવતી સંસ્થાઓની ફાયર સેફ્ટી મુદ્દે નવા નિયમો જારી કરી બે ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે, જેમાં હવેથી ૪૦ મુદ્દાઓની ઝીણામાં ઝીણી માહિતી સંચાલકોએ અમ્યુકો-ફાયર સત્તાધીશોને આપવી પડશે. બીજીબાજુ, સુરત અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર અને ફાયર બ્રિગેડ હરકતમાં આવતા વિવિધ સંસ્થાના સંચાલકો ફાયર સેફ્ટીના સાધનો ખરીદવા માટે પડાપડી કરી રહ્યાં છે. પરિણામે, ફાયર સેફ્ટીના સાધનોનું ડિમાન્ડ અને વેચાણ વધતાં ડિસ્ટ્રીબ્યુટર્સ અને કોન્ટ્રાક્ટર્સ તેનો ફાયદો ઉઠાવી રહ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે. જેમાં કેટલાક ડિસ્ટ્રીબ્યુટર્સ વધેલી ડિમાન્ડનો ગેરલાભ લઇ બમણા અને ત્રણ ગણા ભાવે સાધનોનું વેચાણ કરી રહ્યાં હોવાની વાત સામે આવી રહી છે. બીજી તરફ બિલ્ડીંગ સંચાલકોએ ફાયર સેફ્ટીનું વાર્ષિક મૂલ્યાંકન પણ કરાવવું પડશે, તેના માટે ખાસ કોન્ટ્રાકટ આપીને તેની નોંધ રાખવી પડશે. આ બધી ગુંચવડોને કારણે બિલ્ડીંગ મેન્ટેનન્સ ખર્ચ વધશે. તેની સાથે ફાયર સેફ્ટીનુ મૂલ્યાંકન કરતા કોન્ટ્રાકટરોના રાફડા ફાટી નીકળે તેવી પણ શકયતા સેવાઈ રહી છે. ક્લાસીસની માન્યતાથી લઈ ઇમરજન્સી એક્ઝિટ સુધીની માહિતી આપવી પડશે. અમ્યુકોએ શૈક્ષણિક સંસ્થાઓ માટે એનઓસી મેળવવા માટે કોર્પોરશન દ્વારા બે ફોર્મ જાહેર કરવામાં આવ્યા છે. આ ફોર્મ મુજબ હવે બિલ્ડીંગમાં ૪૦ મુદ્દાની માહીતી આપવામાં આવશે. જેમાં બિલ્ડીંગ સંચાલકની માહિતી, ક્લાસીસના દરવાજા, તેની લંબાઇ પહોળાઇ, ક્લાસીસની માન્યતાથી લઈ ઇમરજન્સી એક્ઝિટ તેમજ ધાબાની સ્થિતિ સુધીની વિગતો આપવાની રહેશે. આ ઉપરાંત દરેક બિલ્ડીંગનો વાર્ષિક ફાયર મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવાની સાથે એક સોંગદનામુ આપવાનું રહેશે. તેની સાથે સાથે તેઓ રાજ્ય સરકારના નિયમોથી લઇને ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ ૨૦૧૩-૧૪ મુજબ નિયમોનુ પાલન કરી રહ્યા છે. જો બિલ્ડીંગમાં ફાયરસેફ્ટી વર્કિંગ કંડીશનમાં નહીં હોય તેમજ એનઓસી રિન્યૂ ન કરાવી હોય ત્યારે આગની દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થાય તો એએમસી કે ફાયર વિભાગ જવાબદાર રહેશે નહી તેવી સ્પષ્ટ તાકીદ પણ કરાઇ છે. ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ફાયરસેફ્ટી સિસ્ટમનું ફાઇનલ ઇન્સ્પેક્શન કરવામાં આવે ત્યારે તેમની હાજરીમાં ઇન્સપેક્શનની કાર્યવાહી તેમજ સાધનોના ઇન્સ્ટોલેશનની વિડીયોગ્રાફી કરી તેને પેન ડ્રાઇવમાં વિડીયો ડોક્યુમેન્ટ તરીકે રજૂ કરવાના રહેશે. આઇએસઆઇના ધારાધોરણ મુજબ સિરીયલ નંબર દ્વારા ખરીદાયેલા સાધનોના બિલની કોપી અને ફાયર લિફ્ટ લાયસન્સની કોપી પણ આપવી પડશે. આ વિગતો આપ્યા બાદ સિટી સિવિક સેન્ટરમાં ફોર્મ જમા કરાવ્યા બાદ ચીફ ફાયર ઓફિસર એનઓસી આપશે.

(8:26 pm IST)