Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ભાજપના ચાર ધારાસભ્યના શપથ : સંખ્યાબળ ૧૦૫ થયું

અધ્યક્ષે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા : કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ચારેય ધારાસભ્યોનો પેટા ચૂંટણીમાં જીત થઇ : ગૃહમાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત

અમદાવાદ, તા.૨૮ : ભાજપના નવા ચૂંટાયેલા ચાર ધારાસભ્યોને આજે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં ભાજપે લોકસભામાં ક્લીન સ્વીપ સાથે ચાર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં પણ ભગવો લહેરાવ્યો હતો. ઉંઝા, માણાવદર, ધ્રાંગધ્રા અને જામનગર (ગ્રામ્ય) બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા ધારાસભ્યોનો જ્વલંત વિજય થયો હતો.  આજે આ ચારેય ધારાસભ્યોને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમની ઓફિસમાં ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ સાથે જ ગુજરાતની ૧૮૨ બેઠકો સાથેની વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધીને ૧૦૫નું થયું છે. માણાવદર બેઠક પરથી વિજેતા થયેલા ધારાસભ્ય જવાહર ચાવડા, જામનગર ગ્રામ્ય બેઠકના વિજેતા ધારાસભ્ય રાઘવજી પટેલ, ધ્રાંગધ્રા બેઠકના ઉમેદવાર પરષોત્તમ સાબરિયા અને ઉંઝા પેટા ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરનારા ધારાસભ્ય આશા પટેલને વિધાનસભા અધ્યક્ષે શપથ ગ્રહણ કરાવ્યા હતા.  આ  ધારાસભ્યોના શપથગ્રહણ દરમ્યાન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા સહિતના ભાજપના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. લોકસભા ચૂંટણી પૂર્વે માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા તેમજ ઉંઝાના કોંગી ધારાસભ્ય આશા પટેલે રાજીનામું આપ્યું હતું. જ્યારે જામનગરના રાઘવજી પટેલે બે વર્ષ અગાઉ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અહેમદ પટેલ વિરુદ્ધ મતદાન કરીને છેડો ફાડ્યો હતો. ડિસેમ્બર ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાઘવજી પટેલ ભાજપમાંથી લડતાં તેમને કોંગ્રેસના વલ્લભ ધારવિયા સામે પરાજય થયો હતો. જો કે ધારવિયા પણ બાદમાં ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી હતી. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પાસે ૭૧ ધારાસભ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૯૯ બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને ૭૭ બેઠકો મળી હતી. અગાઉ કોંગ્રેસના કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા હતા અને તેમને પુરવઠા મંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો હતો. એકબાજુ લોકસભાની ચૂંટણી બાદ ભાજપની સ્થિતિ મજબૂત બની છે જ્યારે કોંગ્રેસની હાલત વધારે કફોડી બની ગઈ છે.

(7:55 pm IST)