Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અમદાવાદમાં બિલ્ડીંગનો આખેઆખો ફ્લોર ગેરકાયદેઃ કોર્પોરેશન તંત્રની તપાસ દરમિયાન પર્દાફાશ

અમદાવાદ :સુરતમાં તક્ષશિલા આગ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે. ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા આપી જાહેર નોટિસ આપવામાં આવી છે. તંત્ર દ્વારા ટેરેસ પર બનાવાયેલા ડોમ અને શેડ દૂર કરવા ચેતવણી આપવામાં આવી છે. રાજ્યભરમાં શોપિંગ મોલ, શૈક્ષણિક સંકુલ, ધાર્મિક સંસ્થાઓને તાકીદ કરવામાં આવી છે, અને આ અંગે અખબારોમાં નોટીસ આપી લોકોને ચેતવણી પણ આપી દેવાઈ છે. લોકોને જાતે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા આદેશ અપાયો છે, તો લોકો નહીં તોડે તો પાલિકા ડિમોલિશન કરશે તેવું તંત્ર દ્વારા કહી દેવાયું છે. ત્યારે ગુજરાતમાં સતત બીજા દિવસે વિવિધ શહેરોમાં આ કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે.

સુરતમાં બીજા દિવસે મેગા ડિમોલિશન

સુરતની તક્ષશિલા આર્કેડમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ ફાયર સેફટી અને ગેરકાયદેસર બાંધકામો પર મનપાએ હથોડો ઝીંકવાનું શરુ કર્યું છે. આજે બીજા દિવસે પણ મનપાનું ડિમોલિશન અભિયાન યથાવત રહેવા પામ્યું છે. આજે સવારથી જ શહેરના આઠ ઝોનમાં ડિમોલિશન ચાલી રહ્યું છે, જેમાં અલગ અલગ ઝોનની અંદાજે 15 જેટલી સ્કૂલમાં કરવામાં આવેલા ગેરકાયદેસર શેડનું ડિમોલિશન કરાઈ રહ્યું છે. તો સાથે જ 10 જેટલા શોપિંગ મોલમાં પણ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાની 26 ટીમ 24 સ્થળો ગેરકાયદેસર બાંધકામ તોડી રહી છે,

જેમાં અઠવા ઝોન, ઉધના ઝોન, કતારગામ ઝોન અને રાંદેર ઝોન, વરાછા-એ અને વરાછા-બી ઝોનમાં 3-3 સ્થળનો સમાવેશ થાય છે. જ્યારે ઉધનામાં 2 અને લિંબાયતમાં 5 સ્થળે અનધિકૃત બાંધકામનું ડિમોલીશન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે પણ મનપાએ ગેરકાયદેસર ઈમારતો પણ હથોડો ઝીંકાયો હતો, જેમાં સાત ઝોનની 16 ઈમારતોમાં બાંધકામ દુર કર્યા હતા. અઠવા ઝોન, સેન્ટ્રલ ઝોન અને વરાછા ઝોન-બીમાં એક એક જ્યારે રાંદેર ઝોનમાં કતારગામ ઝોન અને વરાછા ઝોન-એમાં ત્રણ ત્રણ જયારે લિંબાયત ઝોનમાં 4 બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ તોડાયું હતું, આમ કુલ કુલ ૪૨૯૭૦ ચોરસફૂટ બાંધકામ તોડી પડાયું હતું.

અમદાવાદમાં આખેઆખો માળ ગેરકાયદેસર

આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ લાલ આંખ કરતા શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી શરૂ કરી છે. જે અંતર્ગત વિવિધ કોચિંગ ક્લાસ અને ગેરકાયદેસર બાંધકામો કરનારા એકમો સામે કાર્યવાહી શરૂ કરાઇ છે. આજે પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના ખ્યાતનામ એવા સીજી રોડ પાસે આવેલા બાલાજી હાઇટ્સ બિલ્ડીંગમાં મોટી કામગીરી શરૂ કરાઇ. જ્યાં બ્લ્યુ રૂફટોપ રેસ્ટેરન્ટ દ્વારા બિલ્ડીંગના 9માં માળે કોઇપણ પ્રકારની મંજૂરી વગર આખેઆખી હોટલ ઉભી કરી દેવામાં આવી છે. જેને તોડવા માટે તંત્રની મોટી ફોજ ઉતરી પડી અને દિવાલ પર હથોડા મારવાની કામગીરી શરૂ કરાઈ હતી.

એએમસીના ઉત્તર ઝોન દ્વારા પણ નરોડા રોડ અને ઠક્કરનગર વિસ્તારમાં હોસ્પિટલ અને કોચિંગ ક્લાસ સામે કાર્યવાહી કરાઇ. જ્યાં નરોડા રોડ પર એપલ ચિલ્ડ્રન હોસ્પીટલ દ્વારા ધાબા પર કરવામા આવેલા શેડના બાંધકામને દૂર કરાયુ. તો ઠક્કરનગર રોડ પર આવેલા કોચિંગ ક્લાસમાં કરાયેલા બાંધકામને તોડી પાડવામાં આવ્યુ. દક્ષિણ પશ્ચિમ ઝોન દ્વારા માનસી ચાર રસ્તા નજીક આવેલા કોમ્પ્લેક્ષમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ સામે કાર્યવાહી કરવામાં આવી. જ્યાં શેડ અને પતરા સહીતના બાંધકામો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા. સૌથી મોટી કામગીરી સિંધુભવન રોડ પર આવેલી એલન ઈન્સ્ટિટ્યુટમાં કરવામાં આવી. જ્યાં ધાબા પર પાકા પાયે બાંધકામ કરીને બનાવાયેલા રૂમને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઇ છે.

વડોદરામાં પણ બીજા દિવસે તંત્ર એક્શનમાં...

સુરત આગકાંડ બાદ વડોદરા ફાયર બ્રિગેડ એક્શનમાં આવ્યું છે. હોટલ સહિત વિવિધ બહુમાળી ઇમારતોમાં ફાયર સેફ્ટીનું ચેકિંક હાથ ધરાયું હતું. હોટલ લોર્ડ રિવાઇવલમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરાઈ, તો હોટલના ટેરેસ પરથી ફાઈબર શેડ હટાવવા માટે નોટિસ અપાઈ છે.

(5:34 pm IST)