Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અમદાવાદના નિકોલમાં વ્‍યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને વેપારીનો ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસઃ ૭ વ્યાજખોરો સામે ગુન્હો

અમદાવાદ: વ્યાજખોરના ત્રાસથી વધુ એક વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા એક વેપારીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. નિકોલ પોલીસે 7 વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નિકોલ વિસ્તારમાં રહેતા એક વેપારીએ ડેરીના ધંધામાં નુકસાન જતા 7 વ્યારખોર પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. વેપારીએ આ વ્યાજે લીધેલા પૈસાનું સમય સર વ્યાજ ચૂકવ્યું હતું અને રૂપિયા પણ ચૂકવ્યા હતા. તેમ છતાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી જતા વેપારીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે વેપારીને તાત્કાલીક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતા નિકોલ પોલીસે હોસ્પિટલ પહોંચીને વેપારી પાસે આપઘાત કરવાનું કારણ જાણવા પ્રયત્ન કર્યો હતો. આ પૂછપરછ દરમિયાન વેપારીએ સમગ્ર વાત જાણાવતા નિકોલ પોલીસે 7 વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:33 pm IST)