Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

પારડીમાં પીઠી ચોળી સ્મશાનમાં ૩ મૃતદેહોને અગ્નિદાહ આપ્યા

કોરોના કાળમાં સેવાને પ્રાધન્ય આપતા કોરોના વોરિયર્સ : વલસાડના પારડીમાં મૃતદેહોને અગ્નિદાહ આપવાનું કામ કરતા કર્મચારીએ પોતાની ફરજને પ્રથમ પ્રાધાન્ય આપ્યું

વલસાડ  : વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોરોના એ કાળોકેર વર્તાવ્યો છે. જોકે આવા કપરા સમયે પણ પોતાના જીવને પણ જોખમમાં મુકી અને દર્દીઓની સારવાર કરી રહેલા તબીબોની સાથે અન્ય મેડિકલ સ્ટાફ  સાથે અનેક નામી-અનામી કોરોના વોરીયસ પોતાની જિંદગી દાવ પર લગાવી અને લોક સેવામાં લાગેલા છે.

ત્યારે વલસાડ જિલ્લાના પારડીના એક સ્મશાન ભૂમિમાં મૃતદેહોને અગ્નિદાહ આપવાનું કામ કરતા એક કર્મચારીએ પોતાના લગ્નના દિવસે જ પીઠી ચોળેલા વાધામાં પણ પોતાની ફરજને પ્રથમ પ્રાધાન્ય આપ્યું હતું. અને લગ્નના દિવસે પીઠી ચોળેલા વાઘા પહેરી સ્મશાનમાં પહોંચી અને ત્રણ મૃતદેહને અગ્નિદાહ આપી સાચો કોરોના વોરિયર્સ સાબિત થયો હતો.

વલસાડ જિલ્લાના પારડીમાં આવેલા સ્મશાનગૃહમાં ગૌરવભાઈ કમલેશભાઈ નામનો યુવક સ્મશાનમાં મૃતદેહોને અગ્નિદાહ આપવાનું કામ કરે છે. મંગળવારે ગૌરવભાઈના લગ્ન હતા એ વખતે તેમના ઘરે લગ્નનો મંડપ બંધાયો હતો અને ઘરે લગ્ન ગીતો ગવાઈ રહ્યા હતા. અને પરિવારજનોમાં ઉત્સાહમાં હતા એ વખતે જ તેમના લગ્નના દિવસે જ સ્મશાનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.

આથી સ્મશાન ગૃહના સંચાલકોએ ગૌરવ ભાઈને જાણ કરતા તાત્કાલિક પીઠી ચોળેલ વાઘા માજ તેઓ સ્મશાન પહોંચ્યા હતા. અને ટેકનિકલ પ્રોબ્લેમને સોલ્વ કર્યા બાદ પણ અડધો કલાક સુધી શ્મશાનમાં રોકાઈ અને ત્રણ મૃતદેહને અગ્નિદાહ પણ આપ્યો હતો. આમ તેઓએ પોતાના લગ્નના દિવસે પણ પીઠી ચોળેલ આવસ્થામાં શ્મશાનમાં આવી અને મૃતદેહોને અગ્નિદાહ આપી અને પોતાના લગ્નના દિવસે પણ પોતાની ફરજ અને આ આફતના સમયમાં હરસંભવ મદદરૂપ થવા માટેના પ્રયાસ કર્યા હતા.

જેના ભાગરૂપે પોતાની ફરજને વળગી રહી અને લગ્નના દિવસે પણ સ્મશાનમાં હાજર રહી. મૃતદેહોને અગ્નિદાહ આપી અને અન્ય લોકોને પણ પોતાની ફરજ નિષ્ઠાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આમ આ સ્મશાનના નાના કર્મચારીએ લગ્નના દિવસે પણ બજાવેલી પોતાની ફરજ નિષ્ઠાને સ્મશાનગૃહના સંચાલકોની સાથે લોકોએ પણ બિરદાવી હતી કરી.

 હિન્દુ ધર્મમાં લગ્નના દિવસો દરમિયાન વરરાજા કે તેના પરિવારજનો કોઈ સ્વજનની અંતિમવિધિમાં પણ જતા નથી અને સ્મશાન ભૂમિ નજીક જવાનું પણ બાધ્ય માનવામાં આવે છે. જો કે તેમ છતાં પણ આવી તમામ સામાજિક માન્યતાઓને દૂર રાખીને પણ ગૌરવભાઈ નામના આ સ્મશાનના કર્મચારીએ પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું. અને લગ્નના દિવસે પણ સ્મશાનમાં પીઠી ચોળેલી અવસ્થામા સ્મશાનમાં જઈ મૃતદેહોને અગ્નિદાહ આપી અને પોતાની સેવા બજાવી હતી.

ત્યારે ગૌરવભાઈ જેવા અનેક નામી અનામી કોરોના વોરિયર્સ અત્યારે પોતાના જીવને જોખમમાં મુકી અને પોતાના વ્યક્તિગત ગમા અણગમા અને પરિવારના પ્રસંગોને પણ બાજુમાં રાખી અને પોતાની ફરજને પ્રાધાન્ય આપી રહ્યા છે. ત્યારે કોરોનાના આ કપરા કાળમાં જીવને જોખમમાં મૂકી પોતાની ફરજ બજાવતા આવા કોરોના વોરિયર્સને સલામ છે.

(9:55 pm IST)