Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

કોરોનામાં આશાનું કિરણઃ ૫ દિવસમાં રેટ ૫૩% વધ્યો

હાઇકોર્ટની ફટકાર બાદ રાજય સરકાર જાગી તો બીજી તરફ કોરોનાને હરાવવાની મથામણમાં આશાનું કિરણ દેખાયું

અમદાવાદ, તા.૨૯: ગુજરાતમાં બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પાછલા ચોવિસ કલાકના ૧૪,૧૨૦ નવા કોરોના કેસ નોંધાયા હતા આ સાથે રાજયમાં કુલ કોરોના કેસનો આંકડો ૫.૩૮ લાખ થઈ ગયો હતો. જોકે રાજયમાં ફેલાયેલા કોરોનાના આ અંધારયુગમાં આશાનું એક કિરણ જોવા મળ્યું છે. છેલ્લા ૨૭ દિવસમાં પહેલીવાર કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. ભલે તે ઘટાડો ખૂબ સામાન્ય ૧.૬ ટકા જેટલો હોય પરંતુ ઘટાડો થયો તે મહત્વની વાત છે. તો સામે પક્ષે આ જ ૨૪ કલાકના સમય દરમિયાન ૮૫૯૫ લોકો સ્વસ્થ થઈને પરત ફર્યા છે. જે સાથે રાજયનો રિકવરી રેટ ૬૧ ટકાએ પહોંચ્યો છે. જે પાંચ દિવસ પહેલા ૨૩ એપ્રિલના રોજ ૪૧ ટકા હતો. એબ્સોલ્યુટ ટર્મમાં વાત કરીએ તો દૈનિક ડિસ્ચાર્જ એટલે કે રિકવરી થવાનો આંકડો ૫૬૧૮ અંક વધ્યો છે જે ૫૩ ટકા જેટલો વધારો છે.

કોરોનાની સારવાર માટે DRDOના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા ૯૦૦ બેડની ધન્વંતરી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. હવે ત્યાં દાખલ થવા ઈચ્છતા કોરોના દર્દીઓએ કેટલીક પ્રક્રિયાનું પાલન કરવું પડશે. હાઈકોર્ટના આદેશ અનુસાર હવે ૧૦૮ એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓને અહીં એડમિટ કરાશે. સૌ પ્રથમ દર્દીના સગાએ ફોર્મ ભરી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ અને અન્ય જરૂરી રિપોર્ટ્સ આપીને ટોકન લેવાનું રહેશે. તેના માટે ફોર્મ સવારે ૮ થી ૯માં હોસ્પિટલની બહારથી લેવાના રહેશે. ટોકન લીધા પછી હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાં લઈને આવાનું રહેશે. દર્દીને એડમિટ કરાવવા આવતી વખતે ટોકન ફરજિયાત લઈને આવવાનું રહેશે.

જણાવાયા મુજબ, ગંભીર દર્દીઓને કે જેનું કોરોનાના અસરને કારણે ઓકિસજન લેવલ ૯૨%થી ઓછું થઇ ગયું છે, તેમને ટોકન ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. હોસ્પિટલમાં જેટલા બેડ પ્રવેશ પાત્ર હોય એટલા જ ટોકન ફાળવવામાં આવશે, તેમ પણ એક યાદીમાં જણાવાયું છે.

આ ઉપરાંત અમદાવાદના આધાર કાર્ડના એડ્રેસ વાળી શરત પર પડતી મૂકવામાં આવી છે. જેથી કોરોનાના દરેક દર્દીને સમય રહેતા યોગ્ય અને ત્વરીત સારવાર મળી રહે. તેમજ કોર્પોરેશનની આ યાદીમાં કહેવામાં આવ્યું છે કે, ધન્વંતરી કોવિડ હોસ્પિટલ પાસે ઉપલબ્ધ ગંભીર દર્દીઓની સારવાર માટેની ખાલી બેડની સંખ્યા પણ ડિસપ્લે કરવામાં આવશે. આ ઉપરાંત AMC ના આ નવા આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોઈપણ કોવિડ હોસ્પિટલ તાત્કાલિક સારવારની જરુર હોય તેવા કોરોના દર્દી કે અન્ય કોઇપણ દર્દીને દાખલ કરવાની ના પાડી શકશે નહીં પછી કારણ ભલે ગમે તે હોય. આ દરેક આદેશો આજે ગુરવારે સવારે ૮ વાગ્યાથી લાગુ કરવામાં આવ્યા છે.

(10:27 am IST)