Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

સહકારી સંસ્થાઓ તેમના ધર્માદા ફંડમાંથી રાજય સહકારી સંઘ કે જિલ્લા સહકારી સંઘની મંજૂરી મેળવ્યા વગર ધર્માદા ફંડ વાપરી શકશે

અમદાવાદ,તા. ૨૯: કોવિડ-૧૯ની મહામારી સામે લડવા આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ બનાવવાના હેતુસર સહકારી સંસ્થાઓ તેમના ધર્માદા ફંડમાંથી રાજય સહકારી સંઘ કે જિલ્લા સહકારી સંઘની મંજૂરી મેળવ્યા સિવાય ધર્માદા ફંડ વાપરી શકશે તેવો રાજય સરકારે સંવેદનશીલ નિર્ણય કર્યો હોવાનું સહકારી મંડળીઓના રજિસ્ટ્રારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રાજયમાં કોરોનાની મહામારીને પહોંચી વળવા રાજય સરકાર દ્વારા અનેકવિધ પ્રજા કલ્યાણલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે લેવાયેલા વધુ એક હિતકારી નિર્ણય અનુસાર સહકારી સંસ્થાઓ તેમના વિસ્તારમાં કોવિડ-૧૯ની મહામારીમાં સામાજીક દાયિત્વ અદા કરવાના હેતુથી તબીબી સુવિધા સહિત જાહેર સેવાના હેતુ માટે કોઈ પણ સંસ્થા પોતાના ધર્માદા ફંડમાંથી રાજય કે જિલ્લા સહકારી સંઘની મંજૂરી મેળવ્યા સિવાય તા. ૩૦/૦૯/૨૦૨૧ સુધી ધર્માદા ફંડ વાપરી શકશે.

તદુપરાંત હાલમાં કોવિડ-૧૯ ની મહામારીના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને સરળતાથી ત્વરિત ઓકિસજન મળી રહે તે હેતુથી રાજયમાં આવેલ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને જરૂરી કાર્યવાહી કરી ઓકિસજન પ્લાન્ટ ત્વરીત ઉભા કરવા રાજય સરકાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

(10:26 am IST)