Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

કોંગ્રેસના બે સભ્યો રાજ્યસભામાં જશે : ભાજપના કોઇ કારનામા અને કાવતરામાં સફળ થવાના નથી

તોડફોડની રાજનીતિને બદલે ગૃહવિભાગમાં ધ્યાન આપો તો ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધરશે: મનીષ દોશીના પ્રહાર

અમદાવાદ : રાજ્યસભા ચૂંટણીની તારીખ જાહેર થઇ ચુકી છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને એક બીજા પર ધારાસભ્ય તોડવાની વાતો કરી રહ્યા છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં આવવા આમંત્રણ આપી દેતા રાજનીતિ ગરમાઇ છે

  કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ પ્રદિપસિંહ જાડેજાના નિવેદન પર વળતો જવાબ આપતા કહ્યુ હતું કે દીનદયાલ ઉપાધ્યાય ખરીદ વેચાણ સંઘ ચૂંટણી આવે છે ત્યારે સક્રિય થઇ જાય છે. ભાજપના મંત્રીઓ અને નેતાઓ ખરીદ વેચાણમાં સક્રિય હોય છે. ભાજપ પોતાની મહત્વકાંક્ષાઓ સંતોષવા માટે પૈસાના કોથડા ખુલા મુકે છે. પરંતુ રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને કહેવું છે કે જેટલુ કામ તમે તોડફોડની રાજનીતિ માટે કરો છે તેટલુ જ કામ જો તમે ગૃહવિભાગમાં ધ્યાન આપો તો ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધરશે

   વધુમાં તેમણે જણાવ્યુ હતું કે પાર્ટી છોડનાર લોકોને પ્રજાએ પોતાનો મિજાજ આપી દીધો છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ બન્ને જીવતા જાગતો નમૂના છે. જ્યાં સુધી કોંગ્રેસના ધારાસભ્યની વાત છે તો તમામ ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓ એક છે. ભાજપના કોઇ કારનામા અને કાવતરામાં સફળ થવાના નથી. કોંગ્રેસ તરફથી બે સભ્ય રાજ્યસભામાં જશે. કોંગ્રેસના ધારાસભ્યો એક થઇ ભાજપને જવાબ આપશે.

   કોંગ્રેસ પ્રવક્તા ડો મનિષ દોશીએ પત્રકાર પરિષદમાં કહ્યુ હતું કે ભાજપ સરકાર પોલીસનો ઉપયોગ વિરોધ પક્ષના ધારાસભ્ય પર જાસુસી કરવા માટે કરે છે . જો સરકારે સારા કામ માટે પોલીસ તંત્ર અને આઇબીનો ઉપયોગ કર્યો હોત તો આજે રાજ્યમાં બુટલેગરો બેફામ બન્યા ન હોત. કોંગ્રેસના ભુતકાળમાં ધારાસભ્યોને ધમકાવા માટે જિલ્લા પોલીસ વડા અને પોલીસનો ઉપયોગ કરી ખોટા કેસ કરવામાં આવ્યા અને દબાણ ઉભુ કર્યુ અને પોતાના ભળી જાય એટલે ગંગાજળની જેમ સાફ થઇ જાય છે.

(10:24 pm IST)