Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

અમદાવાદમાં ૪૩૧ ફુટના શ્રી ઉમિયા માતાજીના મંદિરનો આજે શિલાન્યાસ

શ્રી શ્રી રવિશંકર મહારાજ, આચાર્ય અવિચલદાસજી મહારાજ, વિજયભાઇ રૂપાણી, નિતીનભાઇ પટેલ સહિતની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ

રાજકોટ તા. ૨૯ : જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા ૪૩૧ ફૂટ ઊંચા મંદિર એવા વિશ્વ ઉમિયાધામનો ભવ્ય શિલાન્યાસ સમારોહ આજે શનિવારે અમદાવાદનાં એસ.જી.હાઈવે, વૈષ્ણોદેવી સામે, જાસપુર ખાતે સાંજે ૪ વાગ્યાથી યોજાશે. જેમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજય બ્રહ્મવિહારીદાસજી સ્વામી, આર્ટ ઓફ લિવિંગ(AOL)ના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર, રાષ્ટ્રીય સંત સમિતિના અધ્યક્ષ આચાર્ય અવિચલદાસજી મહારાજ સહિત ભારતભરમાંથી ૨૧થી વધુ વરિષ્ઠ સંતો-મહંતો, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ અને દેશ-વિદેશનાં દાતાઓ સહિત બે લાખથી વધુ ભકતો ઉપસ્થિત રહેશે. આ મંદિર ગુજરાતના અનોખા 'ટૂરિસ્ટ ટેમ્પલ' તરીકે નિર્માણ પામશે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા શ્રદ્ઘા-ભકિતના ધામમાં આકાર પામનારા વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર એવા વિશ્વ ઉમિયાધામના શિલાન્યાસ સમારોહ અંતર્ગત શુક્રવારે ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, વિધાનસભા વિપક્ષનાં નેતા પરેશભાઈ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા સહિત રાજકીય અગ્રણીઓ, વિવિધ સમાજનાં અગ્રણીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે શુક્રવારે વિશ્વ ઉમિયાધામ ખાતે વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતાજીનાં મંદિરના નિર્માણ સ્થળે જગત જનની મા ઉમિયાની ચલ પ્રતિષ્ઠાની સાથે ગણેશજી અને બટુક ભૈરવની ચલ પ્રતિષ્ઠા થઈ હતી. આ સાથે જ મા ગંગાનાં જળ ભરેલા ૧૦૮ નિધિ કળશ તથા જવારા સાથેની ૧૧,૦૦૦થી બહેનોની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે પોતાના ક્ષેત્રમાં અનોખો વિશ્વવિક્રમ સર્જાયો હતો. દિવસ દરમિયાન ૩૦,૦૦૦થી વધુ પાટીદાર ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું કે વિશ્વ ઉમિયાધામ દ્વારા નવી પેઢીમાં શિક્ષણનો સંચાર થશે, રમત-ગમત અને ખેલદિલીના પાઠથી સ્વાવલંબન દ્વારા નવી પેઢીને પગભર કરવાનો જે પ્રયાસ થયો છે, તેને હું બિરદાવું છું. મા ઉમિયાનાં વિશ્વના સૌથી ઊંચા મંદિરમાં આવનારી નવી પેઢીના સ્વપ્ન સાકાર થાય તેવી શુભકામના. જયારે અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે વિશ્વ ઉમિયાધામ ધર્મ-સમાજની સેવાની સાથોસાથ સામાજિક સમરસતાને પ્રસરાવનારૂ મહત્ત્વનું સ્થાન બની રહેશે. ઙ્ગઆ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનાં પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું હતું કે આધ્યાત્મિક ચેતનાથી સમાજનો વિકાસ થાય તેવી કામગીરી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને હાથ ધરી છે. ધર્મ સમાજનો આધાર છે. શિક્ષણ સમાજનો વિકાસ છે. રોજગાર સમાજની ધબકાર છે. અભિવાદન સમારોહની આભારવિધિ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનાં ઉપપ્રમુખ દીપકભાઈ પટેલે કરી હતી.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદને નામે વર્લ્ડ રેકોર્ડ સર્જાયો

વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસ સમારોહ નિમિત્તે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદને નામે 'લાર્જેસ્ટ વ્હીટગ્રાસ કેરિંગ પરેડ'નો રેકોર્ડ અર્પણ થયો હતો. જે અંતર્ગત ૧૧,૦૦૦ બહેનો માથા પર જવારા લઈને એક કિલોમીટર કરતાં વધુ સમય સુધી ચાલી હતી. તે અંગેનો રેકોર્ડ અર્પણ થયો હતો, એમ કહી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનાં ઉપપ્રમુખ ડી.એન.ગોલે જણાવ્યું કે આ શોભાયાત્રામાં ૧૧,૦૦૦ કરતાં પણ વધુ ૨૦,૦૦૦ મહિલાઓ ઉપસ્થિત રહેતાં જવારા પણ ખૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.

વિશ્વનું સૌથી ઊંચું મા ઉમિયાનું મંદિર ઝડપથી પૂર્ણ થાય : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આયોજિત દાતાઓનાં અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેલા નીતિનભાઈ પટેલે જણાવ્યું કે વિશ્વ ઉમિયાધામ માટે અત્યાર સુધી આયોજન થયું, હવે આપણે અમલીકરણનાં તબક્કે પહોંચ્યા છીએ ત્યારે આપણે સાથે મળીને સંગઠનને વધુ મજબૂત બનાવીએ. વધુ એકતા-વિશ્વાસ રાખીએ, એકબીજા સાથે સ્નેહ-પ્રેમ કેળવીને આપણું મુખ્ય લક્ષ્ય એવા વિશ્વના ઊંચામાં ઊંચા મા ઉમિયાના મંદિરનું નિર્માણકાર્ય શકય તેટલી ઝડપથી પૂર્ણ થાય.

૫૦૦ કરોડનો લક્ષ્યાંક પૂર્ણ થાય તેવો પ્રયત્ન : આર.પી.પટેલ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનાં પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું હતું કે મા ઉમિયાની અહીં ચલ પ્રાણપ્રતિષ્ઠા થઈ ચૂકી છે ત્યારે મને વિશ્વાસ છે કે શનિવારે શિલાન્યાસ સમારોહ દરમિયાન રૂપિયા ૫૦૦ કરોડના આંકને આંબી જવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ૩૭૫ કરોડના દાનની જાહેરાત થઈ ચૂકી છે અને દાનનાં આ પ્રવાહમાં અન્ય સમાજનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. સર્વસમાજને સાથે રાખી સમરસતાના ભાવ સાથે આ મંદિર નિર્માણ પામશે.(૨૧.૪)

(11:10 am IST)