Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

આજે વિશ્વ રક્તપિત્ત દિવસ-30 જાન્યુઆરી:આજે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ૧૨ હાઇએન્ડેમીક જીલ્લાઓમાં વર્ચ્યુઅલ ગ્રામસભાના માધ્યમથી રકતપિત્ત વિશે જનજાગૃતિ અભિયાનની શરૂઆત થશે

“સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન - પખવાડિક” અંતર્ગત ૩૦મી જાન્યુઆરી થી ૧૩મી ફેબ્રુઆરી દરમ્યાન રકતપિત્ત વિશે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે કામગીરી હાથ ધરાશે: રાજયમાં રકતપિત્ત રોગનો પ્રમાણદર દર ૧૦૦૦૦ની વસ્તીએ 0.28 ટકા પહોંચ્યો: ડીસેમ્બર-૨૦૨૧ અંતિત કુલ ૯ હાઇએન્ડેમીક જીલ્લાઓ (વડોદરા, દાહોદ, પંચમહાલ, નર્મદા, છોટાઉદેપુર, મહીસાગર, સુરત, નવસારી, વલસાડ) માં રોગનું પ્રમાણદર ૧ ટકા કરતા ઓછું લાવવામાં સફળતા મળી

અમદાવાદ :વિશ્વમાં દર ૩૦મી જાન્યુઆરીએ રક્તપિત્ત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં રક્તપિત્ત રોગને લઇને લોકોમાં જાગૃકતા વધે અને તેને રોકવા માટેના સહિયારા પ્રયાસો હાથ ધરી શકાય તે હેતુથી આ ઉજવણી થાય છે.

ઘણા સમય સુધી રક્તપિત્તને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બની છે. કેટલાક લોકો માને છે કે, આ રોગ અડવાથી ફેલાય છે. જોકે આ વાત તદ્દન ખોટી છે. રક્તપિત્ત અડવાથી ફેલાતો નથી. સંક્રામક રોગ હોવા છતાં પણ અડવાથી, હાથ મળાવવાથી, સાથે ઉઠવા-બેસવાથી ફેલાતો નથી.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષોથી રક્તપિત્તને નાથવા માટે અનેકવિધ પગલા હાથ ધરવામાં આવ્યા છે. કોરોનાકાળની વચ્ચે વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન રકતપિત્તના વણશોધાયેલ દર્દીઓ શોધવા એકટીવ કેસ ડીટેકશન એન્ડ રેગ્યુલર સર્વે, સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન, હાર્ડ ટુ રીચ એરીયા કેમ્પેઇન જેવી ખાસ ઝુંબેશ હાથ ધરીને સધન કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી.
જેમાં જનરલ હેલ્થ સ્ટાફ અને આશાની ટીમો દ્વારા ઘરે-ઘરે તપાસ કરી રકતપિત્ત નવા દર્દી શોધીને ત્વરીત બહુ ઔષધિય સારવાર હેઠળ મુકી તેઓને રોગ મુકત કરેલ છે.
રાજયના ૧૨ હાઇએન્ડેમીક જીલ્લામાં પ્રમાણદર ૧ કરતાં વધુ હોય, આ કામગીરીની અસરથી ડીસેમ્બર-૨૦૨૧ અંતિત ૯ હાઇએન્ડેમીક જીલ્લાઓ (વડોદરા, દાહોદ, પંચમહાલ, નર્મદા, છોટાઉદેપુર, મહીસાગર, સુરત, નવસારી, વલસાડ) માં રોગનું પ્રમાણદર ૧ કરતાં નીચે લાવી એલીમીનેશનનું ધ્યેય હાંસલ કર્યું છે.
રીકન્સ્ટ્રકટીવ સર્જરી કેમ્પ દ્વારા અને રૂટીનમાં  કુલ ૮૧૭૯  સર્જરી કરી દર્દીઓની વિકૃતિ દૂર કરી છે. વર્ષ  ૧૯૯૬-૯૭ થી ૨૦૨૧-૨૨  (ડીસેમ્બર-૨૦૨૧ અંતિત) સુધી રકતપિત્તના કારણે પગમાં બધીરતા ધરાવતાં કુલ-૧,૭૮,૯૧૩ રકતપિત્તગ્રસ્તો ને માઇક્રો સેલ્યુમલર રબર પગરખાં (એમ.સી.આર.) પુરા પાડેલ છે. જેના કારણે પગમાં બધીરતા ધરાવતાં રકતપિત્તગ્રસ્તોને પગમાં ન રૂંઝાય તેવા ચાંદા (અલ્સર) થી બચાવી શકાય છે. 
આવો જાણીએ રકતપિત્ત શું છે?
રકતપિત્ત માઇક્રોબેકટેરીયમ લેપ્રસી નામના સૂ્ક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને અસર થાય છે. આ રોગ કોઇપણ ઉંમરે સ્ત્રી અથવા પુરુષ એમ બંને જાતિને થઇ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યક્તિ થી બીજી વ્યક્તિને શ્વાસોશ્વાસ મારફત ચેપ લાગી શકે છે. વહેલુ નિદાન અને નિયમિત બહુઔષધિય સારવારથી રક્તપિત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ / અપંગતા અટકાવી શકાય છે.
રકતપિત્ત રોગના ચિન્હો-લક્ષણો
શરીરના કોઇપણ ભાગમાં આછું, ઝાંખુ, રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું પડવુ, જ્ઞાનતંતુઓનું જાડા થવું અને સ્પર્શ કરવાથી દુઃખાવો ન થવો.
રકતપિત્તના દર્દીને સારવાર કયાંથી મળે?
રકતપિત્ત કોઇપણ તબકકે સંપૂર્ણપણે મટી શકે છે. નજીકના તમામ સરકારી દવાખાના, સબસેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલ, ડીસ્ટ્રીકટ જનરલ હોસ્પિટલ ખાતે એમ.ડી.ટી. (મલ્ટી ડ્રગ ટ્રીટમેન્ટ) બહુઔષધિય સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. .
( અમિતસિંહ ચૌહાણ)

(6:49 pm IST)