Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

માનવ સેવા એ કોંગ્રેસનો પહેલો હેતુ :માત્ર રાજકારણ કરનાર પક્ષ નથી : પ્રદેશ પ્રભારી ડૉ. રઘુ શર્મા

કોંગ્રેસ દ્વારા ઇન્દિરા ગાંધી આઇસીયુ વિથ એમ્બ્યુલન્સ વાન અને મોબાઈલ ક્લિનિક વાન અર્પણ વિધિ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર: કોંગ્રેસ દ્વારા કોરોનાના પગલે ઇન્દિરા ગાંધી આઇસીયુ વિથ એમ્બ્યુલન્સ વાન અને મોબાઈલ ક્લિનિક વાન અર્પણ વિધિ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના સફળ પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, માનવ સેવા એ કોંગ્રેસનો પહેલો હેતુ છે. જે માટે છ એમ્બ્યુલન્સ મોબાઈલ ક્લિનીક, ગુજરાતમાં વિપત્તીના સમયે નાગરિકોને આરોગ્ય સેવામાં રાહત મળી રહે તે માટે લોકાર્પણ કર્યું છે. કોંગ્રેસ માત્ર રાજકારણ કરનાર પક્ષ નથી. સામાન્ય – મધ્યમવર્ગના નાગરિકોને સારી આરોગ્ય સુવિધા મળી રહે તે માટે ડોરસ્ટેપ સુધી ઈન્દિરા ગાંધી આઈ.સી.યુ. ઓન વ્હિલ અને ઈન્દિરા ગાંધી મોબાઈલ ક્લિનીક રાહત કાર્ય કરશે. ગંભીર પ્રકારના દર્દીને દુરથી ઓક્સિજન અને વેન્ટીલેટર સાથે હોસ્પિટલ સુધી પહોંચાડવા સક્ષમ છે.

ગુજરાત રાહત સમિતિના મેનેજીંગ ટ્રસ્ટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ ત્રણ ઈન્દિરા ગાંધી I.C.U. ઓન વ્હીલ્સ ત્રણ મોબાઈલ ક્લિનીકનું લોકાર્પણ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓને કારણે પીડિત ભાઈ-બહેનોને મદદ કરવાનાં ઉદ્દેશ્યથી ગુજરાત રાહત સમિતિની સાર્વજનિક ટ્રસ્ટ હેઠળ 1983માં સ્થાપના સ્વ. અહમદભાઈ પટેલની પ્રેરણાથી થઈ હતી. સ્વ. મહંત વિજયદાસજી, સ્વ. અમરસિંહભાઈ ચૌધરી, સ્વ. માધવસિંહ સોલંકી, સ્વ. સી.ડી. પટેલ સહિતના અનેક દિવંગત મહાનુભાવો આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ રહી ચુક્યા છે. ગુજરાત રાહત સમિતિ સેવા કાર્યો કરવાનું કામ હંમેશા કરતી રહી છે.

રાજ્યના પશુધનને બચાવવા માટે ગુજરાતમાં જુદા – જુદા સ્થળોએ 130 જેટલા કેમ્પ ચલાવીને અંદાજે સવા લાખ અબોલ પશુઓને નિભાવીને બચાવવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે. આ ઉપરાંત હરિયાણાથી ઘાસની ટ્રેનો મંગાવીને પશુપાલકોને વિતરણ સહિત અનેક સેવાકીય પ્રકલ્પો હાથ ધરીને પ્રજાની પડખે રહેવાનું કામ ટ્રસ્ટે કર્યું છે. ગુજરાતના કાર્યકર્તાઓએ દુષ્કાળ, વાવાઝોડો, પુર, ધરતીકંપ હોય કે કોઈ પણ માનવ સર્જીત આફત હોય દરેક આપદા વખતે કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા હંમેશા અગ્રેસર રહ્યો છે. ગુજરાતમાં અને દેશમાં કોરોના મહામારીની પહેલી લહેરમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ નિષ્ઠા પૂર્વક કામ કર્યું હતું.

કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ અમિતભાઈ અને વિધાનસભા કોંગ્રેસપક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણી નેતૃત્વમાં ફ્રુડ પેકેડ, રાશનકીટ પહોચાડવી, ફસાયેલા લોકો માટે વ્યવસ્થા કરવી, જેવા અનેક સેવા કાર્યોનું કામ કર્યું હતું. સોનિયાજીની પ્રેરણાથી સ્વ. અહમદભાઈએ આખા દેશમાં ટ્રેનો માટેની સુવિધા કરાવી હતી જે માટેનું ભાડુ કોંગ્રેસ પક્ષે ચુકવ્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ સેવાકીય ભાવથી રાજનીતિ કરે છે. સેવાભાવ એ કોંગ્રેસના લોહીમાં છે. કોવિડ મહામારી અંગે સુપ્રિમકોર્ટની ભાજપ સરકારને વારંવાર ફટકાર એ નિષ્ફળતાની સાબિતી છે. રાજ્યોની સાથે સાથે દેશ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ રાજસ્થાન મોડેલની સરાહના કરી હતી. એમ્બ્યુલન્સ, ઓક્સિજન, રેમડેસીવીર ઈન્જેક્શન વગેરેના અભાવે જ્યારે ગુજરાતમાં નાગરિકો મૃત્યુ પામતા હતા તે વખતે રાજસ્થાન જેવુ પ્રમાણમાં ઓછી આવક ધરાવે તેના તત્કાલીન આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માએ રાજસ્થાનમાં સફળ કામગીરી કરી જેના પરિણામે લાખો લોકોના જીવ બચ્યાં હતા.

ગુજરાત રાહત સમિતિ દ્વારા ઈન્દિરા ગાંધી I.C.U. વ્હીલ્સ ત્રણ મોબાઈલ ક્લિનીકનું લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા પબ્લિક એકાઉન્ટ કમીટીના અધ્યક્ષ પુંજાભાઈ વંશ, ગુજરાત કોંગ્રેસ સંગઠનના સહપ્રભારી જીતેન્દ્ર બઘેલ, ડૉ. બિશ્વરંજન મોહંતી, એ.આઈ.સી.સી.ના પૂર્વ મહામંત્રી દિપક બાબરીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થભાઈ પટેલ, ધારાસભ્ય સી.જે. ચાવડા, ભીખાભાઈ જોષી, હિંમતસિંહ પટેલ, પ્રતાપ દુધાત, ઈમરાન ખેડાવાલા, વિરજીભાઈ ઠુંમર, એ.આઈ.સી.સી. સહમંત્રી નિલેશભાઈ પટેલ, ગૌરવ પંડ્યા, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ડૉ. મનિષ દોશી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, અશોક પંજાબી, ચેતનભાઈ રાવલ સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનો – કાર્યકરો, યુવક કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ. અને મહિલા કોંગ્રેસના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

(10:57 pm IST)