Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

અમદાવાદમાં બી.જે. મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગ દ્વારા આંતરરાષ્‍ટ્રીય કોન્‍ફરનસઃ યુએસએ, કેનેડા, ઓસ્‍ટ્રેલિયા સહિતના દેશોના નિષ્‍ણાંત તબીબો જાણકારીનું આદાન-પ્રદાન કરશે

અમદાવાદ: AIICME 2020ની 25મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ AIPNA*ICPનું આયોજન બી.જે.મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સના માધ્યમથી યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલીયા સહિતના દેશોના નિષ્ણાંત તબીબો પેથોલોજીમાં થઇ રહેલા નવા સંશોધનો અંગેની જાણકારીનું આદાન પ્રદાન કરશે.

આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં 13 વિદેશના અને 14 ભારત દેશના કુલ 27 જેટલા પેથોલોજી તબીબો દ્વારા જુદા જુદા સંશોધનો અંગે ત્રણ દિવસ લેક્ચર આપવામાં આવશે. આ અંગે પેથોલોજી વિભાગના મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, 21મી સદીમાં પેથોલોજીને લગતા તમામ પ્રકારના ઇન્વેસ્ટીગેશનનું મહત્વ રોગના નીદાન અને સારવાર માટે ખુબ જ મોટુ સ્થાન ધરાવે છે.

હવે પેથોલોજી વિભાગ ફક્ત નિદાન પુરતુ સીમિત નથી પરંતુ દર્દીને કઇ સારવાર આપવી ત્યાં સુધીનું થઇ ગયું છે. આ કોન્ફરન્સમાં વિશ્વમાં થયેલા પેથોલોજી રીસર્ચની જાણકારી તબીબોને મળશે જેનો લાભ દર્દીઓને પણ થશે. કોન્ફરન્સમાં કેન્સર, ચેપીરોગ, જીનેટીક રોગગો સહિતના વિષય પર વ્યાખન અને કેસ સ્ટડી પણ રજૂ કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં WHOની નવી ગાઇડલાઇન, નવા સંશોધનો રજૂ કરવામાં આવશે અને કોન્ફરન્સના કારણે ઇન્ટરનેશનલ નોલેજ એક્સચેન્જ થશે.

25મી આ કોન્ફરન્સમાં 160 જેટલા ઇ પોસ્ટ રીસર્ચ દેશના વિવિધ ભાગોમાંથી તબીબોએ મોકલી આપ્યા છે. તે રીસર્ચ અમરિકાની કમિટી દ્વારા તપાસવામાં આવશે અને તેમાંથી જેને પ્રથમ નંબર(વિજેતા) જાહેર કરવામાં આવશે. તેને યુએસમાં એક મહિનો ટ્રેનિંગ માટે જવાનું ઇનામ આપવામાં આવશે. ઉપરાંત બીજા કેટલાક પ્રાઇઝ પણ કોન્ફરન્સમાં નક્કી કરવામાં આવશે.

નોંધનીય છે કે, છેલ્લા 25 વર્ષથી દર વર્ષે આ કોન્ફરન્સ દેશના જુદા જુદા ભાગોમાં યોજવામાં આવે છે. આ વર્ષે પહેલીવાર અમદાવાદના પંડિત દિન દયાલ ઓડીટોરીયમ ખાતે 31 જાન્યુઆરીથી 3 દિવસ કોન્ફરન્સ યોજાવાની છે. જેમાં દેશમાંથી 763 લોકો ભાગ લઇ રહ્યાં છે તે પણ એક નવો રેકોર્ડ છે. આ પહેલાં વર્ષ 2000 યોજાયેલી કોન્ફરન્સમાં 460 લોકોએ ભાગ લીધો હતો જે રેકોર્ડ આ વર્ષે તુટશે.

(4:59 pm IST)