Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ગ્રાહકો પાસેથી પ્લોટના પૈસા ઉઘરાવી એજન્ટ જમા ન કર્યા

ઘરના ઘરનું સપનું જોનારા ગ્રાહકોનું સપનું રોળાયુ :વચેટિયા એજન્ટોએ જાહેર મંચ ઉપર આવી કૌશલ શાહ વિરૃધ્ધ બળવો પોકાર્યો :આગામી દિવસોમાં કાનૂની જંગ

અમદાવાદ,તા.૨૯ :બગોદરા હાઇવે પર આવેલ જોય રેસીડેન્સી સ્કીમ(જોયવીલા એન્ડ રિસોર્ટ)માં પ્લોટના બુકીંગ પેટે નિર્દોષ નાગરિકો પાસેથી ઉઘરાવેલી લાખો રૃપિયાની રકમ ઉઘરાવી બિલ્ડરના ખાતામાં જમા નહી કરાવી ગંભીર પ્રકારની છેતરપીંડી કરવાના પ્રકરણમાં ભોગ બનેલા વચેટિયા એજન્ટોએ મુખ્ય એજન્ટ એવા પ્રોપર્ટી કીટલી કંપનીના કૌશલ શાહ વિરૃધ્ધ જાહેરમાં ખુલ્લો બળવો પોકાર્યો છે. વચેટિયા એજન્ટોને લાખો રૃપિયાનો ચુનો લગાડનાર પ્રોપર્ટી કીટલીના મુખ્ય એજન્ટ કૌશલ શાહ વિરૃધ્ધ બિલ્ડર હિતેશભાઇ સિધ્ધપુરા દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી પરંતુ પોલીસ તરફથી પણ કોઇ નક્કર કાર્યવાહી નહી થતાં હવે છેતરપીંડીનો ભોગ બનેલા વચેટિયા એજન્ટો તેમના ગ્રાહકોના ન્યાય માટે હવે કાનૂની સહારો લે તેવી શકયતા છે. આ માટે આગામી દિવસોમાં તેઓ ગ્રાહક કોર્ટ સહિત કાયદાકીય વિકલ્પો અપનાવે તેવી પૂરી શકયતા છે. આ અંગે વિશ્વકર્મા લડત સમિતિના એજન્ટોએ આજે એક જાહેરમંચ પર આવી ઘરના ઘરનું સપનું જોનારા ૨૦૦થી વધુ ગ્રાહકોનું સપનું રોળી નાંખનારા અને લાખો રૃપિયાની છેતરપીંડી આચરનારા પ્રોપર્ટી કીટલીના કૌશલ શાહ વિરૃધ્ધ કાયદાકીય રાહે સખત પગલા લઇ સખત નશ્યત કરવા માંગણી કરી હતી. કૌશલ શાહની ઠગાઇનો ભોગ બનેલા એજન્ટો અમર મિસ્ત્રી, રાજેશ શર્મા તથા અન્યોએ જણાવ્યું હતું કે, બગોદરા હાઇવે પરની જોયવીલા એન્ડ રિસોર્ટ સ્કીમમાં પ્લોટના બુકીંગ માટે મેઇન એજન્ટ તરીકે પ્રોપર્ટી કીટલી કંપનીના કૌશલ શાહની નિયુકિત કરાઇ હતી. તેના હાથ નીચે અમારા જેવા વચેટિયા એજન્ટો નીમાયા હતા, જેઓને ગ્રાહકો લાવે તો દસ ટકા કમીશન અન્ય ઇન્સેન્ટીવની લાલચ આપવામાં આવી હતી. પરંતુ કૌશલ શાહે શરૃઆતનો થોડો સમય ગ્રાહકોની હપ્તાની રકમ બિલ્ડરમાં જમા કરાવ્યા બાદ પાછળથી કરારનો દૂરપયોગ કરી ગ્રાહકોને પ્લોટના એલોટમેન્ટ લેટર બારોબાર આપી અને બોગસ નાણાંની રસીદો આપી દઇ તેમની સાથે છેતરપીંડી આચરી હતી. આ સમગ્ર પ્રકરણમાં અમારા વચેટિયા એજન્ટોનો મરો થઇ ગયો છે. કારણ કે, ગ્રાહકોના પૈસા ગયા અને તેમને જમીનના પ્લોટ નથી મળ્યા તો, ગ્રાહકો પાસેથી ઉઘરાવાયેલી રૃ.૧૪ લાખથી વધુની રકમ પણ બિલ્ડરમાં જમા કરાવાઇ નથી. આ સમગ્ર મામલે પોલીસે યોગ્ય, નિષ્પણ અને અસરકારક તપાસ હાથ ધરવી જોઇએ. બીજીબાજુ, કૌશલ શાહે પોલીસ સમક્ષના નિવેદનમાં એવો બચાવ રજૂ કર્યો હતો કે, તેણે ઉપરોકત બિલ્ડરની જમીનનો દસ્તાવેજ થયેલ નહી હોઇ ગ્રાહકોના નાણાં બિલ્ડરમાં જમા કરાવ્યા ન હતા અને તેણે ગ્રાહકોને પૈસા પરત કરી દીધા હતા પરંતુ ગ્રાહકો કહે છે કે, અમને પૈસા પરત થયા જ નથી. આમ, એન.એ.કન્સ્ટ્રકશનના જેવું આ બીજું કૌભાંડ સામે આવ્યું છે, જે મામલે હવે આગામી દિવસોમાં ગ્રાહક કોર્ટ સહિતની કોર્ટ સુધી મામલો પહોંચે તેવી પૂરી શકયતા વર્તાઇ રહી છે.

(8:29 pm IST)