Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ઘરકંકાસમાં માતાએ બે માસુમ પુત્રીઓને કેનાલમાં ફેંકી દીધી

ગાંધીનગરના દહેગામના આત્રોલી ગામની ઘટના : પુત્રીઓનાં અપહરણનું તરકટ રચનારી માતા પોલીસની કડક પુછપરછમાં ભાંગી પડી, એક છોકરીની લાશ મળી

દહેગામ, તા. ૨૮ : ઘરમાં કંકાસ થતા પતિ-પત્નીના ઝઘડા થવા એક સામાન્ય વાત છે પરંતુ કંકાસમાં ક્યારેક વ્યક્તિ માનસિક રીતે પડી ભાંગતા પતિ અથવા પત્ની આપઘાત પણ કરી લે છે તેવા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવી ચૂક્યા છે, પરંતુ ઘર કંકાસમાં બાળકોની હત્યા કરી નાંખવી તે એક ચોંકાવનારી વાત છે અને આવો એક કિસ્સો ગાંધીનગર જિલ્લાના દહેગામમાં બન્યો છે. જેમાં બે માસુમ બાળકીઓનો ભોગ લેવાયો છે.

ગાંધીનગરના દહેગામમાં ડબલ મર્ડરનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં સગી જનેતાએ જ બે પુત્રીઓને કેનાલમાં ફેંકી દીધી હતી અને ત્યાર બાદ બંન્ને પુત્રીઓના અપહરણનું તરકટ રચ્યું હતું. જોકે પોલીસે પણ આકરી પૂછપરછ કરતા માતા પડી ભાંગી હતી. અને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જેથી પોલીસ પણ દંગ રહી ગઇ હતી. ગાંધીનગર જિલ્લાના દહેગામના આત્રોલી ગામની આ ઘટના છે. જ્યાં પતિ-પત્નીના ઘર કંકાસથી તંગ આવી સગી જનેતાએ જ કડદરા પાસે આવેલ કેનાલમાં પોતાની બે માસુમ દીકરીઓને ફેંકી દીધી હતી. અને ત્યાર બાદ બંન્ને દીકરીઓનું અપહરણ થયાનું તરકટ રચ્યું હતું. પરંતુ પોલીસે આ મામલે માતાનું તરકટ પકડી પાડ્યું હતું અને આકરી પૂછપરછ કરતા માતા પડી ભાંગી હતી અને બંન્ને બાળકીઓને કડદરા પાસે આવેલ કેનાલમાં ફેંકી હોવાની કેફિયત કરી હતી. જેમા પોલીસે પણ તાત્કાલિક કેનાલ પાસે પહોંચી તપાસ આદરી હતી. જેમા એક માસુમનો મૃતદેહ મળ્યો હતો જ્યારે એકની શોધખોળ હાથ ધરી છે.

(8:51 pm IST)