Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

મહિલાઓ સાથે ગેરબંધારણીય વર્તન બંધ કરાવવા કોર્ટમાં રિટ

છાત્રોને માસિક ધર્મ સાબિત કરવા નિર્વસ્ત્ર કરાઈ હતી : અત્યંત ગંભીર ઘટનાની નોંધ લઈ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પણ યોગ્ય પગલાં લેવા સુચનાઓ આપી

અમદાવાદ, તા. ૨૮ : કચ્છમાં આવેલી એક હોસ્ટેલમાં ૬૮ છોકરી માસિકધર્મમાં છે કે કેમ તે માટે તેમને નિર્વસ્ત્ર કરીને તપાસવાના ચકચારી મામલે હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી થઇ છે. જે રિટમાં હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ જે. વોરાએ આદેશ કરતાં નોંધ્યું છે કે,' રિટમાં જે ઘટનાનો હવાલો અપાયો છે અત્યંત ગંભીર હોવાથી કોર્ટ ચોક્કસથી તેને ધ્યાનમાં લેશે. રાજ્ય અને કેન્દ્ર સરકાર સમગ્ર મામલે કોર્ટને આસિસ્ટ કરીને જાહેરહિતની અરજીમાં યોગ્ય કાર્યવાહી કરે.લ્લ રાજ્ય સરકાર તરફથી પણ કોર્ટને કહેવાયું હતું કે, મુદ્દો તાકીદે ધ્યાનમાં લેવા જેવો છે અને સરકાર કોર્ટને દરેક પ્રકારથી મદદ કરવા તૈયાર છે.

હાઇકોર્ટે કેસની સુનાવણી ૨૦મી જાન્યુઆરીના રોજ મુકરર કરી છે.

મામલે નિર્ઝરી મુકુલ સિંહા તરફથી જાહેરહિતની અરજી કરાઈ છે. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ કચ્છની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં ૬૦થી વધુ છાત્રાને તેઓ માસિક ધર્મમાં છે કે નહીં સાબિત કરવા  નિર્વસ્ત્ર થવાની ફરજ પડાઈ હતી. ઘટના અંગે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે અને માસિકધર્મમાં હોવાથી છોકરીઓ કે મહિલાઓ સાથે ભેદભાવ રાખી ગેરબંધારણીય વ્યવહાર કરવાની ઘટનાઓને અંકુશમાં લેવા ચોક્કસ ગાઇડલાઇન બનાવવા સરકારને આદેશ કરવાની માગ કરાઈ છે. રિટમાં એવી પણ માગ કરાઈ છે કે, માસિકધર્મમાં હોવાથી મહિલાઓને જુદી રાખવાની પ્રથા ગેરબંધારણીય છે. પ્રથાને રોકવા અને તેને જડમૂડથી અટકાવવા સરકારે ગાઇડલાઇન્સ બનાવવી જોઇએ. સુનિશ્ચિત કરાય કે કોઇ પણ શૈક્ષણિક સંસ્થા, હોસ્ટેલ કે રહેઠાણના ક્ષેત્રમાં જ્યાં તેઓ ભણતી હોય, કામ કરતી કે અન્ય કોઈ કામ કરતી હોય એવા તમામ ખાનગી કે સરકારી સ્થળોની ઓચિંતી તપાસ કરવાનો નિયમ બનાવાય. આવા સ્થળોએ મહિલાઓનો માસિકધર્મના લીધે સામાજિક બહિષ્કાર કરવાની કુપ્રથાને નાથવા યોગ્ય તંત્રનું ગઠન કરવું જોઇએ. રિટમાં આદેશ કરતાં હાઇકોર્ટે નોંધ્યું છે કે,'૬૮ છોકરીને 'સ્ટ્રીપ ટેસ્ટલ્લ કરવાની ફરજ પડાઇ હોવાનો અત્યંત ચિંતાજનક કિસ્સો છે. તેઓ માસિકધર્મમાં નથી તે વાતની ખરાઇ કરવા તેમને કોલેજમાં પરેડ કરાવીને રેસ્ટરૂમમાં નિર્વસ્ત્ર કરીને તપાસ કરાઈ હતી. કેટલીક છોકરીએ હોસ્ટેલના ધાર્મિક નિયમોનો ભંગ કર્યો હોવાની રેક્ટરે પ્રિન્સિપાલને ફરિયાદ કર્યા બાદ ઘટના બની હતી, પરંતુ આવી ઘટનાઓ ખાસ કરીને માસિકધર્મમાં આવેલી છોકરીઓ-મહિલાઓનો સામાજિક બહિષ્કાર ગેરબંધારણીય હોવાની અરજદારની રજૂઆત છે. બંધારણમાં દરેકને ન્યાય, સમાનતા અને સ્વતંત્રના હક આપે છે, જેનો આવી ઘટનાઓના લીધે ભંગ થાય છે. મુદ્દો અત્યંત મહત્ત્વનો હોવાથી કોર્ટ કેસની વિગતવાર સુનાવણી હાથ ધરશે.લ્લ અરજદારે રજૂઆત કરી છે કે,'માસિકધર્મમાં આવવું એક સામાન્ય શારીરિક ક્રિયા છે અને દરેક મહિલા એના જીવનમાં તેનો અનુભવ કરે છે. તેથી માસિકધર્મમાં આવેલી યુવતી અપવિત્ર, ગંદી, અસમર્થ કે પછી અસમાન હોતી નથી. તેનો કોઇ પણ રીતે કોઇ પણ ખાનગી કે સરકારી સ્થળે સામાજિક બહિષ્કાર થવો જોઇએ નહીં. વાતની બહોળી પ્રસિદ્ધિ કરવા અને લોકોમાં જાગૃતિ લાવવા સરકારે પુરતું ફંડ પૂરું પાડવું જોઇએ.

(8:49 pm IST)