Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ગાંધીનગર નજીક રાયપુર નર્મદા કેનાલમાંથી મળી આવેલ યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો:પતિએ શંકાના આધારે હત્યા કરી હોવાના ગુનાહની કબૂલાત

ગાંધીનગર:શહેર નજીક રાયપુર નર્મદા કેનાલમાં બે દિવસ અગાઉ યુવતિનો મૃતદેહ હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ સંદર્ભે ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે  આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આપેલી સૂચનાના પગલે એલસીબીના પીઆઈ જે.જી.વાઘેલાએ સ્ટાફના માણસોને આ દિશામાં કામગીરી કરવા તાકીદ કરી હતી. જેેના અનુસંધાને યુવતિ પાસે મળી આવેલા પર્સમાં રહેલા આધારકાર્ડ ઉપરથી યુવતિ ઓડીસાના સીલેટપાડા, ઉડેનબુધ્ધની જયોત્સના બૃષણભાઈ મોના હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે વધુ તપાસ કરતાં જયોત્સનાબેને સુજીત કુંજાભાઈ કુમ્હાર રહે.જામઝરણ ગામ ઓડીસા સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાનુ બહાર આવ્યું હતું. સુજીત દહેગામના ચીસકારી પાસે આવેલી કંપનીમાં નોકરી કરતો હતો. જયોત્સના દીલ્હી ખાતે રહેતી હતી અને દહેગામ ખાતે રહેતો સુજીત સાથે ફોન ઉપર વાતચીત થતી હતી. દરમ્યાનમાં પત્ની જયોત્સનાનો ફોન વારંવાર વ્યસ્ત રહેતો હોવાથી પતિ સુજીતને શંકા ગઈ હતી કે તેની પત્નીને અનય કોઈ સાથે પ્રેમ સંબંધ છે જે વહેમ રાખીને બન્ને વચ્ચે ઝગડા પણ થયા હતા. દરમ્યાનમાં ગત બુધવારે જયોત્સના પતિને મળવા દીલ્હીથી અમદાવાદ આવી હતી ત્યાં રાત્રે હોટલમાં રોકાયા બાદ ગુરૃવારે દહેગામ આવવા નીકળ્યા હતા. જયાં રસ્તામાં રાયપુર નજીક બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી જેથી જયોત્સના રસ્તામાં ઉતરી ગઈ હતી અને સુજીતે તેની પાસે જઈ માથા અને મોઢાના ભાગે ઉપરાઉપરી પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી અને મૃતદેહ ત્યાં મુકીને જતો રહયો હતો. હાલ તો પોલીસે સુજીતની ધરપકડ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

(5:22 pm IST)