Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

કોરોના મહામારીના પગલે આ વખતે અમદાવાદમાં ફલાવર શો અને કાંકરીયા કાર્નિવલ રદ્દ

અમદાવાદ: જીવલેણ કોરોના મહામારીના પગલે આ વખતે અનેક મોટી-મોટી ઈવેન્ટ અને પર્વનું આયોજન નથી થઈ શક્યું. હાઈકોર્ટની ટકોર બાદ આંતરાષ્ટ્રીય પતંગોત્સવ પણ નથી યોજાવાનો, ત્યારે અમદાવાદમાં યોજાતો ફ્લાવર શો પણ નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કોરોના સંક્રમણને કારણે અમદાવાદમાં દર વર્ષે જાન્યુઆરી મહિનામાં યોજાતો ફ્લાવર શો આ વખતે નહીં યોજાય. અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા ફ્લાવર શો નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજ રીતે દર વર્ષે યોજાતો કાંકરિયા કાર્નિવલ પણ આ વર્ષે રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, દિવાળીના તહેવારો બાદ શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં  અચાનક વધારો થવા લાગ્યો હતો. જો કે હાલમાં કોરોના પર કાબૂ મેળવી લેવાયો છે, પરંતુ પતંગોત્સવ, કાર્નિવલ કે ફ્લાવર શોનું આયોજન કરવાથી ફરીથી સ્થિતિ વણસી શકે તેમ છે. આજ કારણે આવા તમામ આયોજન હાલ પૂરતા રદ્દ કરવામાં આવ્યાં છે.

(5:04 pm IST)