Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

આયુર્વેદિક કોલેજોમાં એડમીશન લેવા વિદ્યાર્થીઓનો ધસારો

કોરોનાકાળમાં આર્યુવેદ અગ્રેસર : આમ તો આર્યુવેદનું મહત્વ પૌરાણિકકાળથી ચાલતું આવ્યું છે, એલોપેથીના જમાનામાં આર્યુવેદની ઉપેક્ષા થતી હતી

અમદાવાદ,તા.૨૭ : આમ તો આર્યુવેદનું મહત્વ પૌરાણિકકાળથી ચાલતું આવ્યું છે. પરંતુ  એલોપેથીના જમાનામાં આર્યુવેદની ઉપેક્ષા થતી હતી. પણ જે પ્રકારે દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું અને કરોડોની સંખ્યામાં કેસો નોંધાતા અને મોટી સંખ્યામાં લોકોના મોત થતા ફરી આર્યુવેદનું મહત્વ વધ્યું છે. કોરોનાકાળમાં આર્યુવેદ અગ્રેસર રહ્યું છે. કોરોનામાં રાજ્યમાં ૪૦ ટકાથી વધુ કોરોના દર્દીઓએ આર્યુવેદ સારવાર લીધી છે સાથે જ આર્યુવેદ કોલેજમાં એડમીશન માટે વિદ્યાર્થીઓએ કતાર લગાવી છે. કોરોના કાળમાં આર્યુવેદ આર્શિવાદ રૂપ રહ્યું. રાજ્યમાં ૩૦થી ૪૦ ટકા કોરોના દર્દીઓએ આર્યુવેદ સારવાર લીધી હોવાનું ગુજરાત આર્યુવેદ બોર્ડ ચેરમેન ડૉ.હસમુખ સોનીએ જણાવ્યું છે.  તેમણે વધુમાં જણાવ્યું કે, ઘણા એવા દર્દીઓ હતા કે જેમણે, ઓક્સિજન લેવલ ઓછું હોવાના કારણે જે તકલીફો હતી તેવા દર્દીઓએ પણ આર્યુવેદિકની ઉપચાર પદ્ધતિ અપનાવી અને સારા પરિણામો મળ્યા. દેશના આયુષ વિભાગે યોગ્ય સમયે કોરોનાના દર્દીઓ માટે ગાઈડલાઈન આપી અને કોરોના જેવી મહામારીમાં આર્યુવેદની માંગ વધી છે.

       જેના કારણે આર્યુવેદ કોલેજોમાં એડમિશન લેવા માટે આ વર્ષે વિધાર્થીઓનો ધસારો જોવા મળ્યો. હાલ રાજ્યમાં ૨૬માંથી ૧૦ આર્યુવેદિક કોલેજ છે અને આર્યુવેદિકની ૨૦૦૦ સીટો છે. જેમાં પ્રથમ રાઉન્ડમાં ૩૦ ટકા સીટો ભરાઈ ગઈ છે. માત્ર ભારતના જ નહીં વિદેશના વિદ્યાર્થીઓ પણ આર્યુવેદ ભણવા ગુજરાત આવી રહ્યા છે. બીજીતરફ નીટની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓને ૭૨૦માંથી ૫૬૦ ગુણ આવ્યા હોય જેઓને અસાનીથી મેડિકલ સેલ્ફ ફાયનાન્સ અને ડેન્ટલમાં એડમિશન મળી શકે તેવા વિદ્યાર્થીઓએ પણ આયુર્વેદમાં પ્રવેશ મેળવ્યો છે. મહત્વનુ છે કે, આપણા દેશમાં ઋષિમુનિઓના કાળથી આર્યુવેદનું મહત્વ છે. પણ કોરોનામાં સારવાર માટેની દવા ઉપલબ્ધ નથી તેવા સમયે લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ આર્યુવેદિક પધ્ધતિ ખૂબ ઉપયોગી સાબિત થઈ.

(8:36 am IST)