Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

શાળાએથી ઘરે પરત ફરતા ગૂમ થયેલ વિદ્યાર્થીની લાશ મીની નદીમાંથી મળી આવતા ચકચાર

વડોદરા:વરસાદના કારણે વહેલી છોડી દેવાયેલી શાળામાંથી ઘરે જવા માટે નીકળેલો ધો.૨નો વિદ્યાર્થી ભેદી સંજોગોમાં ગુમ થયા બાદ આજે સવારે તેની અનગઢ ગામ પાસે મિની નદીમાંથી લાશ મળી આવી હતી. વિદ્યાર્થીનું મિની નદીમાં ડૂબી જવાના કારણે મોત થયું હોવાની પ્રાથમિક અહેવાલના પગલે નંદેસરી પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

નંદેસરીગામ મોતીશીવાની ચાલીમાં રહેતો ૭ વર્ષીય સંદીપ અજીતસિંહ રાઠોડ ઉંડેરા તરફ જવાના રોડની પાછળ આવેલી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત સિહાકુઈની પ્રાથમિક શાળામાં ધો.૨માં અભ્યાસ કરતો હતો. ગઈ કાલે સંદીપને તેના પરિવારજનો બપોરની પાળીની શાળામાં છોડી આવ્યા હતા. જોકે સવારથી વરસાદ વરસતો હોવાના કારણે શાળા શરૃ થવાના અડધો કલાકમાં જ છોડી દેવાઈ હતી.

દરમિયાન પરિવારજનોને આ અંગેની જાણ ન હોઈ સંદીપને લેવા માટે કોઈ ગયું નહોંતુ જેના કારણે તે શાળામાંથી છેલ્લે એકલો ઘરે જવા માટે નીકળ્યો હતો. જોકે સ્કુલમાંથી નીકળ્યા બાદ તે ભેદી સંજોગોમાં ગુમ થતાં પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી છે. એક તબક્કે તેનું કોઈ બાઈકચાલક અપહરણ કરી ગયો હોવાની વાત પણ વહેતી થતાં આ બનાવની નંદેસરી પોલીસ મથકમાં તેના અપહરણની ફરિયાદ પણ નોંધાઈ હતી.

(4:55 pm IST)