Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

વડોદરા : મારી દીકરીને મુસ્લિમ જજ સાથે સંબંધ છે, તેની સાથે નિકાહ કરાવવા મારી સામે જ કપડા કાઢી નગ્ન થઇ જાય છે

વડોદરા કોર્ટ પાસે ટાઇપિસ્ટ તરીકે કામ કરતા એક વૃધ્ધે પોલીસમાં ફરિયાદ કરી

વડોદરા તા. ૧૮ : વડોદરા કોર્ટ પાસે ટાઇપિસ્ટ તરીકે કામ કરતા એક વૃધ્ધે પોલીસમાં ફરિયાદ કરી છે કે, પોતાની વકીલ દીકરીને મુસ્લિમ જજ સાથે સંબંધો છે ને તેની સાથે નિકાહ પઢવા માગે છે પણ પોતે તૈયાર નથી તેથી ઘરની સામે જ જાહેરમાં નગ્ન થઈ જાય છે. આવું તેણે છ વાર કર્યું છે તેવો આક્ષેપ તેમણે કર્યો છે.

વાડી વિસ્તારમાં રહેતા ૮૧ વર્ષીય વયોવૃદ્ઘ પિતા નિવૃત્ત જજ સાથે કલાર્કની નોકરી કરે છે અને ન્યાયમંદિરમાં ટાઇપિસ્ટનું કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, તેમનાં પત્ની દિવ્યાંગ છે, તેમને ૨ દીકરા અને ૨ દીકરી એમ ૪ સંતાનો છે. બંને દીકરાનાં લગ્ન થઇ ગયાં છે જયારે ૪૩ વર્ષની વકીલ દીકરી અપરિણીત છે.

આ દીકરીનાં ૨૦ વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં પરંતુ ૬ મહિનામાં જ ફારગતી થઇ હતી. દરમિયાનમાં વકીલ પુત્રીને મુસ્લિમ જજ સાથે સંબંધો બંધાયા અને હવે દીકરી તેમના ઘર બહાર જ નિકાહ પઢવા માગે છે તેથી અવારનવાર ઝઘડા કરે છે. ગયા રવિવારે સવારે ૮.૩૦ વાગે આ મુદ્દે પુત્રી તેમને કુકર મારવા દોડી હતી.

વૃધ્ધે કહ્યું કે, મારી દીકરી અમને ગાળો બોલીને મારી સામે જ નિર્વસ્ત્ર થઇ ગઇ હતી. વયોવૃદ્ઘ પિતાએ કહ્યું કે છેલ્લા એક મહિનામાં જ દીકરી આ રીતે ૬ વખત તેમની સામે નિર્વસ્ત્ર થઇ ગઇ છે. મારા નિકાહ મુસ્લિમ જજ સાથે નહિ કરવા દો તો તમને જાનથી મારી નાખીશ અને બધાને ઘરમાંથી કાઢી મૂકીશ તેવી પણ ધમકી આપે છે.

આ ઉપરાંત તેણે પથારીવશ માતાને ટાંટિયા ખેંચી ફેંકી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. તેમણે કહ્યું કે, મારી દીકરીનાં લગ્ન ૧૯૯૫માં આણંદના સોજિત્રા ગામે કરાવ્યાં હતાં પરંતુ ૬ મહિનામાં જ પરત આવી ગઇ હતી. તેણે રૂ. ૧.૫૦ લાખ લઇ છૂટાછેડા લઇ લીધા હતા, હાલ અમારી આશ્રિત છે.

તેણે મને કહ્યું કે તમે મોટા દીકરાને ત્યાં જતા રહો, માતાને કહે છે કે તું નાના દીકરાને ત્યાં જા અને નાની દીકરીને મંદિરમાં જતા રહેવાનું કહે છે. મને મકાનમાંથી કાઢી નાખી વેચી દેવા માગે છે. આ માટે પોલીસમાં વારંવાર મારા વિરુદ્ઘ અરજી પણ કરે છે. પુત્રીએ બે દિવસ પહેલાં પોલીસ બોલાવી પકડાવી દીધા હતા.

જો કે તેમની દીકરીએ આ આક્ષેપોને ખોટા ગણાવ્યા છે. પુત્રીએ કહ્યું કે પિતા ઉંમર- લાયક છે, તેમની માનસિક સ્થિતિ ડામાડોળ છે. કૌટુંબિક તકરાર ચાલે છે, ઘરની મેટર છે તેના કારણે આક્ષેપો કરતી ખોટી ફરિયાદ નોંધાવી છે પણ તેમાં કોઇ તથ્ય નથી. વાડી પોલીસ સ્ટેશનના પીઆઇ આર.આર.વસાવાએ કહ્યું કે, દીકરી અને તેના પિતા વચ્ચે ઘણા સમયથી ઝઘડા ચાલ્યા કરે છે. પિતા કહે છે કે ઘરમાંથી બહાર કાઢી મૂકવા માટે દીકરી આવું કરે છે.હાલ, સ્થાનિક લોકોનાં નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે. બંને વચ્ચે રોજના ઝઘડા ચાલતા હોઇ અટકાયતી પગલાં ભરવાની કાર્યવાહી પણ કરાશે.

(3:39 pm IST)