Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

દેત્રોજ તાલુકાના રૂદાતલ ગામે માતાજીના પ્રાણ પ્રતિષ્ઠામાં દર્શનાર્થે આવેલ ત્રણ યુવકોનું તળાવમાં ડૂબી જવાથી મોત

દેત્રોજ:તાલુકાના રુદાતલ ગામે માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દર્શનાર્થે આવેલા દેવી પૂજક સમાજના ત્રણ યુવકો ગામના જંબુસર તળાવમાં ડૂબી જવાથી મોત નિપજતા દેવી પૂજક સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે દેત્રોજ તાલુકાના રુદાતલ ગામે માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી આસપાસના દેવી પૂજક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.જેમાથી એક યુવાના રુદાતલ ગામે આવેલ જંબુસર તળાવમાં નાહવા પડતા અંદર ડૂબવા લાગતા બીજા બે ઇસમો તેને બચાવવા તળાવમાં પડતા ત્રણેય જણા ડૂબી જવા પામતા તળાવના કિનારે બેસેલા દેવી પૂજક સમાજના યુવક દ્વારા બુમાબુમ કરતા આસપાસના ગ્રામજનો દોડી આવી તળાવમાં ડૂબી ગયેલ યુવકોને બહાર નિકાળી સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્ટિપલ ખાતે લઇ જવામાં આવતા સ્થળ પરના હાજર તબીબે ત્રણેય યુવાનોને મૃત જાહેર કરી બનાવની જાણ દેત્રોજ પોલીસને કરતા દેત્રોજ પોલીસ કડી ભાગ્યોદય હોસ્ટિપલ ખાતે પહોંચી મરણજનાર ત્રણેય ઇસમોના પરિવારજનોના નિવેદનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દેવી પૂજક સમાજના ત્રણ યુવકાનાં મોત ના પગલે કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો હતો અને સમાજમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.

(5:46 pm IST)