Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

અમદાવાદ : તીવ્ર ગરમી વચ્ચે જનજીવન પર પ્રતિકુળ અસર

અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૧ ડિગ્રીઃ અમદાવાદ સહિતના ગુજરાતભરમાં બપોરના ગાળામાં તમામ રસ્તા સૂમસામ થયા : તીવ્ર તાપનો લોકોને અનુભવ

અમદાવાદ, તા.૨૫: હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન આવતીકાલે આજની સરખામણીમાં વધશે નહીં પરંતુ પારો ૪૧ની આસપાસ રહેશે. તીવ્ર ગરમીના પરિણામસ્વરૃપે જનજીવન ઉપર પણ પ્રતિકુળ અસર થઈ રહી છે. બપોરના ગાળામાં લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રસ્તાઓ સુમસામ થઈ ગયા છે. આજે પણ બપોરના ગાળામાં તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. પારો ૪૧થી પણ ઉપર અનેક જગ્યાએ પહોંચી ગયો છે. અમદાવાદ સહિત ડીસા, ગાંધીનગર, ઈડર, અમરેલી, સુરેન્દ્રનગર, ભુજમાં પારો ૪૧થી ઉપર રહ્યો હતો. આગામી બે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં નજીવો ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં વધતી ગરમી વચ્ચે વધારે પાણી પીવાની સલાહ નિષ્ણાત તબીબો લોકોને આપી રહ્યા છે. અમદાવાદ શહેરમાં વધતી ગરમી વચ્ચે હવે ઘણી જગ્યાઓએ પાણીની પરબોની પણ લોકો દ્વારા શરૃઆત કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાણીજન્ય રોગના કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના માત્ર ૨૧ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૫૯૬, કમળાના ૧૫૯, ટાઇફોઇડના ૧૮૬ કેસ સપાટી ઉપર આવ્યા છે. એપ્રિલ ૨૦૧૭માં ઝાડા ઉલ્ટીના ૬૧૮ કેસ સપાટી ઉપર આવ્યા હતા. એપ્રિલ મહિનામાં ઝાડા ઉલ્ટીના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. કમળાના કેસો પર એપ્રિલ ૨૦૧૭ની સરખામણીમાં ઓછા નોંધાયા હોવા છતાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નથી. મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના ૨૧ દિવસના ગાળામાં જ સાદા મેલેરિયાના ૧૬૪ કેસ સપાટી ઉપર આવ્યા છે. ઝેરી મેલેરિયાના ૧૫ કેસો નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના ૧૦ મામલા સપાટી ઉપર આવ્યા છે. જ્યારે ચિકનગુનિયાના ૩ કેસ નોંધાયા છે.  હવામાન વિભાગ દ્વારા  ઉચા તાપમાનને લઇને કોઇ ચેતવણી જારી કરવામાં ન આવતા તંત્રે રાહતનો દમ લીધો છે. વધતી  ગરમી વચ્ચે  સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય-પાણીજન્ય રોગના કેસો નોંધાઈ રહ્યા છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવાની જરૃરિયાત દેખાઈ રહી છે. ગરમીના પ્રમાણમાં હાલમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં લોકોને વધુ ગરમીનો અનુભવનો સામનો કરવો પડી શકે છે. હાલમાં વધતા તાપમાની વચ્ચે પાણીથી ફેલાતી બિમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આજે અનેક વિસ્તારોમાં પારો એકાએક વધ્યો હતો. આજે સુરેન્દ્રનગરમાં પારો ૪૧.૩ ડિગ્રી સુધી પહોંચ્યો હતો. અમદાવાદમાં પણ આવતીકાલે પારો ૪૧થી ઉપર પહોંચી શકે છે. બપોરના ગાળામાં વધતી ગરમીના કારણે લોકો હવે બહાર નિકળવાનું ટાળતા જનજીવન પણ ખોરવાઈ ગયું છે. ગાંધીનગરમાં ૪૧.૨, ઇડરમાં ૪૧, વડોદરામાં ૪૦.૨, રાજકોટમાં ૪૦.૮, સુરેન્દ્રનગરમાં ૪૧.૩ અને કડંલા એરપોર્ટમાં ૩૯.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૧ અને લઘુત્તમ તાપમાન ૨૨.૬ ડિગ્રી નોંધાયું હતું. મ્યુનિસિપલ તંત્ર દ્વારા હિટવેવને લઈને પગલા લેવામાં આવી રહ્યા છે.

(9:51 pm IST)