Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

કોંગ્રેસ ગુજરાતમાં બે આંકમાં બેઠકો મેળવશે : એહમદ પટેલ

મતદાન બાદ કોંગ્રેસના કયા નેતાઓએ શું કહ્યું? : ગુજરાતની જનતા ભાજપના શાસનમાંથી પરિવર્તન ઇચ્છે છે : મોદી સરકારની નિષ્ફળતાથી લોકો રોષમાં : સાતવ

અમદાવાદ, તા.૨૩ : ગુજરાત લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન  ચાલી રહ્યું હતું ત્યારે બીજીબાજુ, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને ઉમેદવારોએ પોતપોતાની જીતની આશા વ્યકત કરી હતી. તો, કોંગ્રેસના નેતાઓએ મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને દિગ્ગજ એહમદ પટેલે પરિવારજનો સાથે આજે ભરૂચના પીરામણ ખાતે મતદાન કર્યું હતું. એહમદ પટેલે દેશમાં આ વખતે કોંગ્રેસના જીતવાની આશા વ્યકત કરતાં જણાવ્યું હતું કે, મોદી સરકારના શાસન અને નિષ્ફળતાઓથી પ્રજા ત્રસ્ત છે., તેથી આ વખતે પ્રજા મોદી શાસનને જાકારો આપશે અને કોંગ્રસને ફરી એકવાર તક આપશે. ગુજરાતમાં પણ કોંગ્રેસ આ વખતે ડબલ ડિઝીટમાં બેઠકો ેમેળવી ભાજપને આંચકો આપશે. દરમ્યાન આણંદ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ આશા વ્યક્ત કરી હતી કે, ગુજરાત લોકસભા ચૂંટણીમાં તેઓ ૧૬ જેટલી બેઠકો જીતશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ બોરસદમાં તો ભરતસિંહ સોલંકીએ આણંદમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ બંને નેતાઓએ આશા વ્યક્ત કરી હતી કે આ ચૂંટણીમાં તેઓ ૧૬ કરતાં વધારે બેઠકો જીતશે. લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસને ગુજરાતભરમાં વ્યાપક જનસમર્થન સાંપડયુ છે તેવો ઉલ્લેખ કરી કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે એવો દાવો કર્યો હતો કે, કોંગ્રેસ ગુજરાતમાં ૨૬માંથી ૧૫થી વધુ બેઠકો પર જીત હાંસલ કરશે. ગુજરાતમાં જનતા હવે પરિવર્તન ઇચ્છે છે. ભાજપ સરકારના ખોટા વાયદા-વચનોથી જ નહીં, સરકારની નિષ્ફળતાને લીધે ગુજરાતની જનતા નાખુશ છે. રાજીવ સાતવે ભાજપ સરકાર પર નિશાન સાધી જણાવ્યુ ક, મોંઘવારીએ માઝા મૂકી છે. આમજનતા માટે જીવન જીવવુ દોહ્યલુ બન્યુ છે. શિક્ષિત યુવાનો નોકરી-રોજગારી માટે ફાંફા મારી રહ્યાં છે. ખેડૂતો આત્મહત્યા કરવા મજબુર બન્યાં છે.પાંચ વર્ષના શાસનમાં ભાજપે પ્રજાલક્ષી કાર્યો જ કર્યાં નથી. હવે જનતાએ ભાજપને સત્તા પરથી દૂર કરવા મનોમન નક્કી કરી લીધુ છે જે અમને ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યુ છે.

કોંગ્રેસે પ્રજાલક્ષી વાતો સાથે હકારાત્મક મુદ્દા સાથે ચૂંટણી પ્રચાર કર્યુ જયારે ભાજપે હલકી ભાષાનો ઉપયોગ કરી નકારાત્મક મુદ્દાઓ સાથે ચૂંટણી પ્રચાર કર્યો છે તેવો આક્ષેપ કરતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે મુદ્દા આધારિત ચૂંટણી ઢંઢેરાની વાતો લોકો સમક્ષ મૂકી હતી. કોંગ્રેસને રાજ્યમાંથી જનસમર્થન સાંપડયુ છે. લોકોમાં ભાજપ વિરુધ્ધ આક્રોશ છે.ભાજપ પાસે ચૂંટણી માટે મુદ્દાઓ જ નથી એટલે જ તે અન્ય મુદ્દા ઉઠાવી પ્રજાને ગેરમાર્ગ દોરે છે.ભાજપના શાસનની નિષ્ફળતાથી પ્રજા હવે કંટાળી ચૂકી છે.

અલ્પેશ ઠાકેરે ઇમાનદાર સરકાર ચૂંટવા હાકલ કરી

અમદાવાદ, તા. ૨૩ : કોંગ્રેસમાંથી છૂટા પડેલા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, ઈમાનદાર સરકાર રચવા માટે મતદાન કરવામાં આવે. આજે હિટવેવની આગાહી છે પરંતુ તેની વચ્ચે બહાર નીકળી મતદાન કરજો. અને દેશમાં ઈમાનદાર અને વિકાસ કરે તેવી વિકાસશીલ સરકાર ચૂંટજો.

(10:01 pm IST)