Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

અમદાવાદમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોની સંખ્યા વધી :3 વિસ્તારો કન્ટેઇન્મેન્ટમાંથી દૂર: 5 નવા મુકાયા

નવા માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં એએમસી સઘન અને હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનિંગ કામગીરી કરશે

 

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસોનો આંકડો 980 નોંધાયો હતો. ગઇકાલ કરતાંઆજે  કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. ગઇકાલે 992 કેસો હતા અમદાવાદમાં આજે 161 કેસો નોંધાયા છે. આમ ગઇકાલ કરતાં 3 કેસો વધ્યા છે. જયારે અમદાવાદ શહેરમાં આજે માઇક્રો કન્ટેઇન્મેન્ટની સંખ્યામાં પણ સામાન્ય વધારો થયો છે.આજે માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારનો આંકડો 100ની નજીક પહોંચ્યો છે. તેના પરથી અમદાવાદ શહેરમાં કોરોનોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટનો પ્રભાવ વધ્યો હોય તેમ જણાય છે.

આજે 5 નવા વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં મૂકાયાં છે. તેની સામે 3 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યા છે. આમ સરવાળે દૂર કરાયેલા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોની સરખામણીમાં નવા ઉમેરાયેલા વિસ્તારોની સંખ્યા વધુ રહેવા પામી છે. આજના માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો જોતાં પશ્ચિમ વિસ્તારમાં કોરોનાનો પ્રભાવ યથાવત રહ્યો છે.

આજે જાહેર થયેલા 5 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાંથી ચાર પશ્ચિમ વિસ્તારના છે. ઉત્તર પશ્ચિમ ઝોનના બે અને દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોન તથા પૂર્વ ઝોનના એક એક વિસ્તારનો સમાવેશ થાય છે. તેમાંય ચાંદલોડિયાની કાસા એલાઇટ તથા શ્રીનાથ એવન્યુના 24 મકાનોમાં 100 જણાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ હેઠળ મૂકાયાં છે. જોગાનુજોગ બંને એપાર્ટમેન્ટમાં સરખી સંખ્યા છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં આજે અમદાવાદ શહેરમાં 95 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો અમલમાં હતા. જે પૈકી રોજની માફક વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 3 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો.

તેની સામે 5 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ 95 વિસ્તારોમાંથી 3 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 92 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 5 વિસ્તારોનો સમાવેશ થતાં આંકડો 97 પર પહોંચ્યો છે. નવા જાહેર થયેલા વિસ્તારોમાં ઉત્તર પશ્ચિમ ઝોનના બે તથા દક્ષિણ પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોન, પૂર્વ ઝોનના એક એક સ્થળો છે. જેમાં રામોલ, વેજલપુર, વાસણા અને ચાંદલોડિયાના બે વિસ્તારોનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલે 29મી ઓક્ટોબરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે જણાવ્યું છે.

(11:11 pm IST)