Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

ગુજરાત દિપોત્સવી અંક ૨૦૭૬નું મુખ્યમંત્રીએ કરેલું વિમોચન

કોરોના મહામારીના સમયમાં શબ્દ અને સાહિત્યના સથવારે દિપોત્સવીની મંગલ કામનાઓ જ્ઞાનના પ્રકાશને વધુ પ્રજ્જવલિત કરશે :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

અમદાવાદ,તા. ૨૮: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત દિપોત્સવી અંક ૨૦૭૬નું આજે વિમોચન કરતાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં શબ્દ અને સાહિત્યના સથવારે દિપોત્સવીની મંગલ કામનાઓ જ્ઞાનના પ્રકાશને વધુ પ્રજ્જવલિત કરશે. નવા વર્ષે નવા જોશ, અને હોશ સાથે કોરોનાની મહામારી સામે જીવનના ઉત્કર્ષના દ્વાર ખોલીને આપણે સૌએ આગળ વધવાનું છે. દિપાવલીનું પર્વ જ્ઞાનના પ્રકાશ અને વિકાસના સમન્વયનો અદકેરો અવસર છે. સોશિયસલ ડિસ્ટન્સીંગ, માસ્ક અને સેનિટાઈઝેશન સાથે આપણે સૌ ગુજરાતી બાંધવોએ કોરોનાને હરાવી, જ્ઞાનના પ્રકાશની જયોત પ્રગટાવીને દેશ, રાજય અને સમાજને ઉજળા કરવાનો સાચા હૃદયથી પ્રયાસ કરીએ એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત સર્જકોનું સાહિત્યસર્જન સંકલિત કરીને દિપોત્સવી અંક પ્રસ્તુત કરવા બદલ રાજયના માહિતી ખાતાના તમામ કર્મયોગી મિત્રોને એમણે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યાં હતાં. ગુજરાત સહિત સમગ્ર વિશ્વ આજે કોરોના સામે મક્કમ મુકાબલો કરી રહ્યું છે ત્યારે સાહિત્યની દીપજયોત ગુજરાતી બાંધવોને દિપોત્સવીના પર્વમાં વધુ ઉત્સાહ અને ઉમંગ પૂરો પાડશે એવી એમણે શ્રદ્ઘા વ્યકત કરી હતી. તેમણે કહ્યું કે, આ વર્ષે કોરોના મહામારીના કારણે આપણા સૌની કપરી કસોટી થઈ છે. પરંતુ રાજય સરકારની પ્રબળ નિર્ણયશકિત, ગુજરાતી બાંધવોની કોઠાસૂઝ તેમજ કર્મયોગને વરેલા વહિવટીતંત્રના સુયોગ્ય સામંજસ્યથી આ કપરા સમયમાં પણ વિકાસના દરેક ક્ષેત્રમાં આપણું ગુજરાત આગળ ધપતું રહ્યું છે. કોરોનાનો પ્રત્યેક ગુજરાતી બાંધવોએ સરકાર સાથે ખભેખભા મીલાવીને મજબૂત મુકાબલો કર્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીના સચિવશ્રી અને માહિતી પ્રસારણ વિભાગના સચિવશ્રી અશ્વિનીકુમારે દિપોત્સવી અંક વિશે જણાવ્યું હતું કે, પ્રતિવર્ષની આગવી પરંપરા મુજબ ગુજરાતના સાહિત્ય, કલા, ઇતિહાસ, સાંસ્કૃતિક વિરાસત અને સંસ્કાર વારસાને ગુજરાત દિપોત્સવી અંકના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવે છે. ગુણવંતભઈ શાહ, વિષ્ણુ પંડ્યા, જોરાવરસિંહ જાદવ, મહંમદ માંકડ, રદ્યુવીરભાઈ ચૌધરી, માધવ રામાનુજ, કુમારપાળ દેસાઈ, રાજેન્દ્ર શુકલ વગેરે જેવા લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોની સર્જનશીલ કલમે લખાયેલી સાહિત્યકૃતિઓ દિપોત્સવી અંકમાં પ્રસ્તુત કરવામાં આવી છે. ૩૦ અભ્યાસ લેખો, ૩૫ નવલિકાઓ, ૧૯ વિનોદિકાઓ, ૮ નાટિકાઓ અને ૧૦૮ જેટલી કાવ્યરચનાઓ ગુજરાત દિપોત્સવીના દળદાર અંકમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. આની સાથો સાથ ગુજરાતનું લોકજીવન, કુદરતી સૌંદર્ય, માનવ સંવેદનાઓને અભિવ્યકત કરતી ૬૪ જેટલી રંગીન તસવીરો ગુજરાત દિપોત્સવી અંકને વધુ આકર્ષક બનાવે છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, અધિક માહિતી નિયામક સર્વ અરવિંદભાઈ પટેલ,પુલકભાઈ ત્રિવેદી, નાયબ માહિતી નિયામક જગદીશ આચાર્ય વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

(10:58 am IST)