Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ખેત પેદાશો ના એક દેશ એક બજાર ભાવ ના વડાપ્રધાનના નિર્ણયથી ખેડૂતોનો આર્થિક વિકાસ થશે

કોંગ્રેસ સરકારના વર્ષોથી ખેડૂતોના નામે રસ્તા પર ઉતરીને વિરોધ કરવાની નીતિને વખોડતા કૃષિમંત્રી શ્રી આર. સી ફળદુ

ગાંધીનગર : તાજેતરમાં જ કેન્દ્ર સરકારે રજૂ કરેલ કૃષિ બીલનો વિરોધ કરી ખેડૂતોના નામે રસ્તા ઉપર ઉતરી આંદોલન કરતા કોંગ્રેસની આ વર્ષો જૂની નીતિ હોવાનું જણાવી કૃષિમંત્રી ફળદુ એ કોંગ્રેસની આંદોલન કરવાની નીતિને વખોડી કાઢી છે.

કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ એ જણાવ્યું છે કે, એક દેશ એક બજારના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ના હિંમતભર્યા નિર્ણયથી ડઘાઈ ગયેલી કોગ્રેસ આજે રસ્તા પર ઉતરીને ખેડૂતોના નામે રાજનીતી કરી રહી છે એ અત્યંત નિદનીય છે.ખેડૂતોના ખભે બંધૂક મૂકીને હર હંમેશ રાજનીતિ કરવા ટેવાયેલી કોગ્રેસને રાજયના ખેડૂતો ઓળખી ગયા છે તેમની આ મેલી મુરાદથી ખેડૂતો ભરમાવવાના નથી એવો અમને દ્રઢ વિશ્વાસ છે ખેડૂતો નુ હિત ભાજપા સરકારના હૈયે વસેલુ છે ગમે તેવી કૂદરતી આપદા આવી હોય તે તમામ વેળાએ ખેડૂતોનુ બાવડુ પકડીને બેઠા કરવાનુ કામ અમારી સરકારે કર્યુ છે એટલે આવી હરકતોથી ખેડૂતો ભરમાશે નહી એ ગુજરાત કોંગ્રેસે અને એમના નેતાઓએ સમજી જવાની જરૂર છે.

મંત્રી શ્રી ફળદુએ  ઉમેર્યું કે, ખેડૂતોના હિતને વરેલી કેન્દ્રની ભાજપા સરકારે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ એક દેશ એક બજારનો જે હિંમતભર્યો નિર્ણય કર્યો છે જેના પરિણામે વર્ષ ર૦રરમાં ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે તે ચોક્કસ પરિપૂર્ણ થશે એવો મને દૃઢ વિશ્વાસ છે. એક દેશ એક બજારના નિર્ણયથી સમગ્ર દેશમાં ગમે તે વેપારી કે ખેડૂત દેશના કોઇપણ APMCમાંથી ખરીદી કે વેચી શકશે. APMC બંધ થશે એ વાત તદ્દન ખોટી છે. APMC ચાલુ જ રહેશે. પરંતુ વિકસીત સમયમાં જે ખેડૂતોને ટેકનોલોજીનો ઉપયોગ કરવો હશે એ કરીને તેનો માલ સીધો દેશના અન્ય રાજયોમાં વેચી શકશે. જેના પરિણામે ખેડૂતોનું ટ્રાન્સપોર્ટેશન ઘટશે અને વધુ ભાવો મળશે. ખેડૂતોને હાલ જે સુવિધાઓ મળે છે એ ચાલુ જ રહેશે. ઇ-પ્લેટફોર્મના માધ્યમ દ્વારા દેશભરમાં રાજ્યના ખેડૂતો પોતાનો માલ વેચી શકશે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મેાદીને અભિનંદન આપતાં મંત્રી શ્રી ફળદુ એ ઉમેર્ય કે, ખેડૂતોનું ભવિષ્ય જોઇને આ કાયદો લાવ્યા છે તે આગામી ૧૦ વર્ષમાં મહત્વનો પુરવાર થશે. ખેડૂતોને જે હાલ સુવિધાઓ મળે છે એ પૂરેપૂરી મળવાની જ છે એટલે ખેડૂતો એ સહેજ પણ ચિતા કરવાની જરૂર નથી.ખેડૂતોને ટેકનોલોજીનો મહત્તમ લાભ મળે એ માટે વડાપ્રધાન શ્રી એ દ્વાર ખોલી દીધા છે. આજના ટેકનોલોજીના યુગમાં યુવા ખેડૂતો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ખેતી કરી શકશે જેનાથી ઉત્પાદન વધશે જેના પરિણામે મોટી કંપનીઓ સીધા ખેડૂતો પાસે કોન્ટ્રાક્ટ કરીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી શકશે અને ગુણવત્તાલક્ષી પાક ઉત્પાદન પણ મળશે. સાથે સાથે વેલ્યુ એડિશન કરીને ફાર્મર પ્રોડ્યુશર ઓર્ગેનાઈઝેશન (FPO) પણ સ્થાપાશે. આજે ટેકનોલોજી નહીં લાવીએ તો ગ્લોબલાઇઝેશનમાં ટકી શકીશું નહીં. પ્રધાનમંત્રીશ્રીએ દેશમાં પ્રોસેસિંગના દરવાજા ખોલી દીધા છે દેશમાં ૧૦ હજાર ફાર્મર પ્રોડ્યુશર ઓર્ગેનાઈઝેશન (FPO)  રચવાનો પણ નિર્ણય કરાયો છે. જે કમિટીઓ પાક ઉત્પાદન ભેગું કરીને વેચાણ કરશે એટલે ખર્ચા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.

આ નવા કાયદાથી ટેકાના ભાવે ખરીદી બંધ થશે એવો અપપ્રચાર કોગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે તેનુ ખંડન કરતા મંત્રી શ્રી ફળદુએ કહ્યુ કે આ વાત તદ્દન ખોટી છે. ટેકાના ભાવે ખરીદી તો ચાલુ જ રહેશે પરંતુ જે ખેડૂતોને ટેકનોલોજીના માધ્યમથી માલ ખરીદ કે વેચાણ કરવો હશે એ કરી શકશે જેના પરિણામે ખેડૂતોને ઊંચા ભાવ મળવાના જ છે. UPA સરકારમાં જે ટેકાના ભાવે ખરીદી થતી હતી તે ભાવોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે ઉત્તરોત્તર વધારો કર્યો છે અને ખરીદી પણ વધુ પ્રમાણમાં કરી છે. ટેકાના ભાવે ખરીદીમાંથી ચારેક પ્રોડક્ટ બહાર લાવવામાં આવી છે એટલી આવી અફવાઓ ફેલાવવાનુ પણ કોગ્રેસે બંધ કરવુ જોઈએ

મંત્રીશ્રી ઉમેર્યું કે અમે કોંગ્રેસની જેમ ખેડૂતો જોડે રાજકારણ કરીએ તેવા નથી,  અમે ખેડૂતોને સાચી દિશા બતાવવા માંગીએ છીએ. ખેડૂતોનો વોટબેંકની જેમ ઉપયોગ ન કરો. તેમના હીતની વાત હોય ત્યારે તેમની પડખે ઊભા રહો. આવનાર સમયમા આ કાયદો ખરેખર ઐતિહાસિક પુરવાર સાબિત થશે અને ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવામાં પણ મહત્વપૂર્ણ પૂરવાર થશે.

કૃષિમંત્રી શ્રી ઉમેર્યુ કે, ખેડૂતોના હિતને વરેલી અમારી સરકારે અતિવૃષ્ટિથી નુકસાનગ્રસ્ત ખેડૂતોનો એક પણ દીકરો સહાયથી વંચિત ન રહી જાય એ માટે સંકલ્પ કર્યો છે. કુદરતી આપદા વખતે ખેડૂતોનું બાવડું પકડીને જુસ્સો વધારવાનું કામ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી સંવેદનશીલ સરકારે કર્યું છે. રાજ્યમાં ચાલુ વર્ષે વરસેલા ભારે વરસાદને કારણે થયેલ ખેડૂતોના પાકને થયેલ નુકસાન સંદર્ભે સહાય થવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રૂ.૩૭૦૦ કરોડનુ ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ રાજ્યના ૨૦ જિલ્લાના ૧૨૩ તાલુકાઓને આવરી લેવામાં આવ્યા છે.

મંત્રી શ્રી ફળદુએ ઉમેર્યું કે, કુદરતી આપદામાં અમારી સરકાર ખેડૂતોના પડખે ઊભી છે. ભૂતકાળમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પૂર આવ્યું ત્યારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી રૂબરૂ જઇ તેમની વચ્ચે રહ્યા હતા. એવું ગુજરાતમાં પહેલીવાર બન્યું છે કે કોઇ મુખ્યમંત્રી પૂર વખતે લોકો વચ્ચે ગયા હોય. ખેડૂતો તો અમારી સરકારથી ખુશ છે પણ વિપક્ષ કેમ ખેડૂતોના નામે પ્રશ્નો ઉભા કરે છે એ મને સમજાતું નથી.

તેમણે ઉમેર્યું કે, ભૂતકાળમાં પણ અમારી સરકારે કુદરતી આપદામાં ખાસ પેકેજ ખેડૂતો-નાગરિકોને સહાય થવા જાહેર કર્યા છે. જેમાં વર્ષ ૨૦૧૫-૧૬માં ૨૭૯  કરોડ, વર્ષ-૨૦૧૭-૧૮માં બનાસકાંઠા, પાટણ, મોરબી માટે રૂ.૧૭૦૬ કરોડ, વર્ષ-૨૦૧૮-૧૯માં રૂ.૧૬૭૮ કરોડ અને ગત વર્ષે માવઠા દરમિયાન રૂ.૩૭૯૫ કરોડ તથા ચાલુ વર્ષે રૂ.૩૭૦૦ કરોડ નું પેકેજ મળી અત્યાર સુધીમાં કુલ રૂ.૧૧,૧૫૮ કરોડના પેકેજ જાહેર કરીને સહાય પૂરી પાડી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

(8:53 pm IST)