Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ગાયના છાણથી બનાવેલા ૧૧ કરોડ દીવાથી દિવાળી કરાશે

કામધેનુ દ્વારા કેટલીક સંસ્થાઓને જોડાવાનું આમંત્રણ : રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા દિવાળી પહેલા ગાયના છાણમાંથી ૧૧ કરોડ દીવા બનાવીને તેનું વેચાણ કરાશે

અમદાવાદ,તા.૨૮ : દિવાળી તહેવારની ઉજવણીમાં દીવા પ્રગટાવવાનું અનેરું મહત્વ છે. પ્રકાશના પર્વ દરમિયાન તમને ભારતમાં દરેક ઘર કે ઓફિસની બહાર દીવા જોવા મળી જશે. કેટલાક લોકો લેમ્પ કે લાઈટો દ્વારા પોતાનું ઘર ઝગમગ કરતા હોય છે. ત્યારે વર્ષે રાષ્ટ્રીય કામધેનુ આયોગ દિવાળી પહેલા ગાયના છાણમાંથી બનેલા ૧૧ કરોડ દીવા વેચાય તેવા પ્રયાસ કરી રહ્યું છે. આયોગ કેટલીક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો, ગૌશાળા અને મહિલાઓ માટે કામ કરતી દેશભરની સહકારી મંડળીઓના સંપર્કમાં છે અને પ્રોજેક્ટમાં શામેલ થવા કહ્યું છે. આયોગના ચેરમેન વલ્લભ કથિરીયા કહે છે, ગૌ માયા દીયા પ્રોજેક્ટમાં જોડાઈને દેશભરની મહિલાઓને રોજગારી અને આર્થિક મદદ મળશે. મહિલા ઉદ્યમીઓ, ગૌશાળા અને સેલ્ફહેલ્પ ગ્રુપો સાથે કામ કરે તેવા અમે પ્રયાસ કરીશું.

બાદમાં મહિલાઓ તે દીવાને પોતપોતાના વિસ્તારમાં વેચી શકશે. કથિરિયા વધુમાં કહે છે, અમુક જગ્યાઓ પર ગાયના છાણમાંથી દીવા બનાવાય છે, પરંતુ દેશમાં પહેલીવાર હશે જ્યારે આટલા મોટા પાયે દીવાઓ બનશે. આયોગ પોતાની સાથે જોડાયેલા સંગઠનો તથા ગાયની રક્ષામાં જોડાયેલા લોકોના નેટવર્કથી દીવાને પ્રમોટ કરશે. ગૌ માયા દીયા પ્રોજેક્ટનું અમલીકરણ કરાવી રહેલા પુરીશ કુમાર કહે છે, વર્ષે ૧૧ કરોડ દીવા બનાવવાનો ટાર્ગેટ છે. અમે દરેક રાજ્યમાં વોલેન્ટિયર્સને લાઈનઅપ રાખ્યા છે. એક પરિવાર પ્રકારે અમુક દીવાઓને ખરીદશે. ઉલ્લેખનીય છે કે ગાયના છાણ તથા ગૌમૂત્રમાંથી હેન્ડ સેનિટાઈઝ, ફેસ માસ્ક સહિતના ઘણા પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધિકારીએ કહ્યું, પ્રોડક્ટ્સમાં બાયોગેસ, બાયો સીએનજી,પેપર, ડાયરી, પેન્સિલ, કેલેન્ડર, સાબુ અને શેમ્પૂ જેવી વસ્તુઓ બનતી હોય છે. હવન દરમિયાન લાકડાને બદલે ગાયના છાણાનો ઉપયોગ કરી શકાય છે. કથિરિયા કહે છે, ગાયના છાણથી બનેલા પ્રોડક્ટ્સનું મોટું માર્કેટ છે.

(7:24 pm IST)